મોડા આવતા રેલવે કર્મચારી સાવધાન, અડધો કલાક મોડા આવશો તો પગાર કપાઈ જશે
મોડા આવવા માટે કુખ્યાત રેલવેના કર્મચારીઓ વિરૂદ્ધ રેલવે બોર્ડ એક્શનમાં જોવા મળી રહી છે. મોડા આવીને વહેલા જતા રહેતા રેલવે કર્મીઓ વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરવાના બોર્ડે આદેશ કર્યા છે.
અહેવાલો અનુસાર, ઓફિસ મોડા આવતા કર્મચારીઓ સામે કાર્યવાહી તો કરાશે અને પગાર પણ કાપવામાં આવી શકે છે.

રેલવે બોર્ડના એક આદેશમાં કહેવાયુ છે કે, કર્મચારીઓ સવારે 9 વાગ્યા સુધીમાં ઓફિસે પહોંચી જાય. આવુ નહીં કરનારાની અડધા દિવસની કેઝ્યુઅલ લીવ લાગુ કરવામાં આવશે, જેના કારણે તેમનો પગાર પણ કપાશે. જો કર્મચારી આવું વારંવાર કરશે તો તેની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.
બોર્ડે આદેશમાં આગળ કહ્યું કે, એવું જોવામાં આવ્યું છે કે સમયસર ઓફિસમાં આવતા કર્મચારીઓની ટકાવારીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેને વહીવટીતંત્ર દ્વારા ગંભીરતાથી જોવામાં આવી રહ્યો છે.
રેલ્વેએ તેના આદેશમાં કહ્યું છે કે, ઓફિસના તમામ અધિકારીઓ સવારે 9 વાગ્યા સુધીમાં તેમની સીટ પર અને ફરજ પર હાજર રહેવાની અપેક્ષા છે. તમામ અધિકારીઓએ એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમની નીચે કામ કરતા કર્મચારીઓ જ નહીં પરંતુ તેઓ પોતે પણ ઓફિસના સમયનું પાલન કરે.
આ આદેશમાં એ વાત પર ભાર મુકાયો છે કે, મોડા આવવાના દરેક દિવસ માટે અડધા દિવસની કેઝ્યુઅલ લીવ કપાશે. જો કે એક કલાક મોડા આવનારને મહિનામાં મહત્તમ બે વાર માફી મળશે.












Click it and Unblock the Notifications
