આમ આદમી પાર્ટીનો મોટો આરોપ, કહ્યું- દિલ્હી અધ્યાદેશને લઈને બીજેપી-કોંગ્રેસ વચ્ચે સેટીંગ થયુ
દિલ્હી અધ્યાદેશને લઈને આમ આદમી પાર્ટી અને કોંંગ્રેસ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. એક તરફ વિપક્ષી પાર્ટીઓ એક થવાની વાતો કરી રહી છે ત્યારે બીજી તરફ આ બબાલ મોટુ રૂપ લઈ રહી છે. તમામ ઘટનાક્રમ વચ્ચે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ પર મોટો આરોપ લગાવ્યો છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનનો જવાબ આપતા આમ આદમી પાર્ટીના પ્રવક્તા પ્રિયંકા કક્કરે આરોપ લગાવ્યો અને કહ્યું કે, અમને માહિતી મળી છે કે રાહુલ ગાંધી અને બીજેપી વચ્ચે સમજૂતી થઈ છે. કોંગ્રેસે આ ગેરબંધારણીય વટહુકમ સામે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ, તે આટલો સમય કેમ લઈ રહ્યા છે?

પ્રિયંકા કક્કરે આગળ કહ્યું કે, કોંગ્રેસે સ્પષ્ટ કરવું જોઈએ કે તે દેશના બંધારણ સાથે ઉભી છે કે બીજેપી સાથે? આ સંવિધાન અને લોકતંત્ર બચાવવાની લડાઈ છે. આ વટહુકમ બંધારણની વિરુદ્ધ છે. સાંજ સુધીમાં બધું સ્પષ્ટ થઈ જશે.
અહીં તમને જણાવી દઈએ કે, પટનામાં વિપક્ષી પાર્ટીઓની બેઠક પહેલા મીડિયાને સંબોધતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, અમે બધા સાથે મળીને બીજેપી સામે લડવા માંગીએ છીએ અને અમારો એજન્ડા બીજેપી સરકારને હટાવવાનો છે. અમે સંસદના સત્ર પહેલા આ અંગે નિર્ણય લઈશું. આ વાત તેમણે દિલ્હી વટહુકમના સંદર્ભમાં કહી હતી.












Click it and Unblock the Notifications
