રાજ્યમાં હજુ ઠંડીથી રાહત નહી, આ દિવસો દરમિયાન માવઠું થઈ શકે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતમાં આજથી ત્રણ દિવસ બાદ એટલે કે 22થી 24 જાન્યુઆરી દરમિયાન માવઠું થઈ શકે છે.
અમદાવાદ : ગુજરાત સહિત હાલ ઉત્તર-પશ્ચિમ ભારતમાં ભારે ઠંડી પડી રહી છે ત્યારે હજુ ઠંડીથી રાહત મળવાની કોઈ સંભાવના નથી. હાલ ઉત્તર-પશ્ચિમ ભારત ભારે ઠંડીની ઝપટમાં છે અને મોટાભાગના શહેરોમાં તાપમાન 10 ડિગ્રી નીચે નોંધાઈ રહ્યું છે ત્યારે હવે ખેડૂતો માટે પણ એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે.

કાતિલ ઠંડી વચ્ચે હવે હવામાન વિભાગે ઉત્તર ભારતમાં માવઠાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતમાં આજથી ત્રણ દિવસ બાદ એટલે કે 22થી 24 જાન્યુઆરી દરમિયાન માવઠું થઈ શકે છે. હાલ શિયાળુ પાક તૈયાર થઈ ગયો છે અને કાપણીમાં થોડો જ સમય બચ્યો છે ત્યારે માવઠાની ખબરે ખેડૂતોની ચિંતા વધારી છે. હવામાન વિભાગે કમોસમી વરસાદ સાથે સાથે કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ સંભાવના વ્યક્ત કરી છે.
ગુજરાતની વાત કરીએ તો, ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં પણ માવઠું જોવા મળશે તેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલે રાજ્યમાં 23થી 29 જાન્યુઆરી દરમિયાન માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. જો રાજ્યમાં કમોસમી વરસાદ થશે તો જીરૂ સહિતના શિયાળુ પાકને મોટુ નુકસાન થઈ શકે છે.
અહીં તમને જણાવી દઈએ કે, ચોમાસાના છેલ્લા ભાગમાં ભારે વરસાદને કારણે રાજ્યમાં ખેડૂતોને મોટુ નુકસાન ભોગવવુ પડ્યુ હતુ ત્યારે હવે જો આ કમોસમી વરસાદ પડે તો આ વખતે પણ ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતી સર્જાઈ શકે છે.












Click it and Unblock the Notifications
