ભાજપમાં 75થી ઉપરના ટિકિટ તરસ્યા નેતાઓને ટિકીટ નહીં મળે!!!
ભાજપે કૂટનીતિ રમીને નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય રાજકારણમાં ઉતારવા માટે પક્ષમાં 75 વર્ષથી વધુની વયના નેતાઓને લોકસભા ચૂંટણીઓ માટેની ટિકીટ નહીં ફાળવવા અંગેના વિકલ્પ અંગે વિચારણા શરૂ કરી છે.
મહત્વની બાબત એ છે કે આ પગલું નવા રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે નહીં પણ પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરીના કાર્યકાળ દરમિયાન વિચારવામાં આવ્યું છે. તેના પર હવે રાજનાથ અમલ મૂકે એવી શક્યતા છે. આ બાબત સાથે આરએસએસ પણ સહમત હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે સંઘ પણ ઇચ્છે છે કે વધુ ઉંમર થઇ ગઇ હોવા છતાં રાષ્ટ્રીય રાજકારણમાં સક્રિય બની રહેલા નેતાઓને દૂર કરવા માટે કોઇ રસ્તો હોવો જોઇએ. ભાજપ આ નવા નિયમનું પાલન કરશે તો સૌથી પહેલા લોકસભાની ટિકીટ ફાળવણીમાં વરિષ્ઠ નેતાઓ એલ કે અડવાણી અને મુરલી મનોહર જોશીનું પત્તું કપાશે. આમ થશે તો અડવાણીનું દેશના વડાપ્રધાન બનવાનું સપનું રોળાઇ જશે.
આ બાબતને પુષ્ટિ ભાજપના જ નેતાએ આપી છે. નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહ વચ્ચેની બંધ બારણે યોજાયેલી બેઠકના બીજા જ દિવસે યશવંત સિંહાએ ભાજપના પીએમ પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીનું નામ આગળ કરવાના જાહેર નિવેદન પરથી તેનો સંકેત મળે છે. આ સાથે પાર્ટીના સંગઠન અને સંઘના કેટલાક નેતાઓ એમ પણ માને છે કે અડવાણીની વડાપ્રધાન બનવાની ઇચ્છા એકવાર પૂરી કરવી જોઇએ.
સંઘના સૂત્રોના જણાવ્યા અનુસાર સંઘે રાજનાથ સિંહ સાથે આ મુદ્દે વાતચીત કરી છે અને પાર્ટીમાંથી 75થી મોટી વયના કયા નેતાઓના નામને ટિકીટ ફાળવણી દરિયાન બાજુ પર મૂકવા તેની યાદી તૈયાર કરવાનું કહી દેવામાં આવ્યું છે. આ યાદીમાં 1927માં જન્મેલા અડવાણી, 1934માં જન્મેલા મુરલી મનોહર જોશી અને 1938માં જન્મેલા જસવંત સિંહાના નામ મોખરે છે.
મહત્વની બાબત એ છે કે આ વખતે કોંગ્રેસે રાજકારણમાં યુવા નેતાઓને વધારે મહત્વ આપવાની વાટ પકડી છે. જેનો સંકેત કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદે રાહુલ ગાંધીની સર્વસંમતિથી કરવામાં આવેલી નિયુક્તિ છે. આ વખતે ભાજપની દિલ્હીમાં રાજ કરવાની તકો વધારે ઉજળી દેખાઇ રહી છે ત્યારે કોંગ્રેસની ટક્કર ઝીલવા માટે ભાજપે પણ યુવા નેતાઓને આગળ કરવા પડશે.
બીજી તરફ રાજનાથ સિંહના નિવેદન કે નરેન્દ્ર મોદી લોકપ્રિય સર્વગ્રાહી નેતા છે અને યશવંત સિંહાના નિવેદન કે દેશ અને પક્ષના કાર્યકરોની મૂડ નરેન્દ્ર મોદી તરફી છે તે સૂચવે છે કે ભાજપ પીએમ પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીનું નામ જાહેર કરી શકે છે. જો આમ કરવામાં આવશે તો ભાજપને ચોક્કસપણે ફાયદો થશે. દેશભરના મતદારો મોદીને વોટ આપશે.