કોંગ્રેસને સાઈડલાઈન કરવા 3 મોટી વિપક્ષી પાર્ટીઓ એક મંચ પર આવશે
ત્રણ પક્ષોએ ભાજપ અને કોંગ્રેસથી દૂરી રાખવાનો નિર્ણય કર્યો છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે આજે કોલકાતામાં ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી. મમતા બેનર્જી નવીન પટનાયકને મળશે.
2024માં યોજાવા જઈ રહેલી લોકસભા ચૂંટણી માટે વિપક્ષે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી છે. હવે ત્રીજા મોરચાની કવાયત તેજ થઈ ગઈ છે. અહી સૌથી મોટી વાત એ છે કે આ વખતે કોંગ્રેસ વગર જ ત્રીજા મોરચાની તૈયારી શરૂ થઈ છે. ત્રીજો મોરચો કોંગ્રેસ વગર હોવો જોઈએ તે અંગે ત્રણ મહત્વના પક્ષો સહમત થયા છે.

દેશમાં હવે 2024 લોકસભા ચૂંટણી માટે માહોલ બની રહ્યો છે ત્યારે આ ત્રણેય પક્ષોએ ભાજપ અને કોંગ્રેસથી દૂરી રાખવાનો નિર્ણય કર્યો છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે આજે કોલકાતામાં ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી. મમતા બેનર્જી આવતા અઠવાડિયે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકને મળશે.
બીજેપી જે રીતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને વિપક્ષના ચહેરા તરીકે રજૂ કરી રહી છે અને રાહુલ ગાંધીના માધ્યમથી તમામ વિપક્ષી પાર્ટીઓને નિશાન બનાવી રહી છે તેને લઈને આ પક્ષો કોંગ્રેસથી દૂર થઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ લંડનમાં પોતાના ભાષણમાં જે રીતે કહ્યું કે ગૃહમાં વિપક્ષના નેતાઓના માઈક્રોફોન બંધ છે. આ સાથે રાહુલ ગાંધીએ દેશની લોકશાહી અને વર્તમાન સરકારની ટીકા કરી હતી. હવે બીજેપી રાહુલ ગાંધી પાસે માફીની માંગ કરી રહી છે. બીજી તરફ હવે વિપક્ષી પાર્ટીઓ હવે કોંગ્રેસથી દૂરી બનાવી રહી છે.
આ મુદ્દે ટીએમસી સાંસદ સુદીપ બંદોપાધ્યાયે પોતાના એક નિવેદનમાં કહ્યું કે, રાહુલ ગાંધીએ વિદેશમાં નિવેદન આપ્યું છે તેને લઈને જ્યાં સુધી રાહુલ ગાંધી માફી નહીં માંગે ત્યાં સુધી ભાજપ ગૃહ ચાલવા દેશે નહીં. મતલબ કે આ લોકો નથી ઈચ્છતા કે ગૃહ ચાલે. આ માટે તેઓ કોંગ્રેસનો ઉપયોગ કરી રહ્યા છે. ભાજપ ઈચ્છે છે કે રાહુલ ગાંધી વિપક્ષનો ચહેરો બને, જેથી તે ભાજપને મદદ મળે. હવે વડાપ્રધાન પદનો ચહેરો કોણ હોય તે પસંદ કરવાની જરૂર નથી. વિપક્ષનું બિગ બોસ કોંગ્રેસ છે એ માનવું બિલકુલ ખોટું છે.
તેમણે આગળ કહ્યું કે, મુખ્યમંત્રી મમતા બેનર્જી 23 માર્ચે નવીન પટનાયકને મળશે. આ બેઠકમાં બીજેપી અને કોંગ્રેસથી અંતર રાખવા અંગે ચર્ચા કરીશું તેમજ અન્ય વિપક્ષી દળોને સાથે લાવવાનો પ્રયાસ કરીશું. અમે એમ નથી કહી રહ્યા કે આ ત્રીજો મોરચો હશે, પરંતુ પ્રાદેશિક પક્ષો પાસે ભાજપને પડકારવાની તાકાત છે. ખુદ અખિલેશ યાદવે પણ પુષ્ટિ કરી છે કે અમે કોંગ્રેસ અને ભાજપ બંનેથી સમાન અંતર જાળવવા માંગીએ છીએ.
પત્રકારો સાથે વાત કરતા અખિલેશ યાદવે કહ્યું કે, બંગાળમાં અમે મમતા દીદી સાથે છીએ. અમારું સ્ટેન્ડ હવે એ છે કે અમે ભાજપ અને કોંગ્રેસથી સમાન અંતર જાળવી રાખીએ. જેમણે ભાજપની વેક્સિન લીધી છે તે સીબીઆઈ, ઈડી કે આઈટીથી ડરતા નથી.












Click it and Unblock the Notifications
