જમ્મુ કાશ્મીરમાં એક જ દિવસમાં ત્રણ આતંકી હુમલા, એક જવાન શહિદ
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ ખતમ થઈ રહ્યો હોવાના નરેન્દ્ર મોદી સરકારના દાવા ફરીથી પોકળ સાબિત થયા છે. એક સાથે ત્રણ જગ્યાએ આંતકીઓ સાથે અથડામણમાં એક જવાને તેનો જીવ ગુમાવ્યો છે.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની નબળી નીતિને કારણે કાશ્મીરમાં સતત આતંકી હુમલા થઈ રહ્યા છે ત્યારે છેલ્લા 15 કલાકમાં સેના અને આતંકીઓ વચ્ચે ત્રણ એન્કાઉન્ટર થયા છે.

આતંકવાદીઓ સાથેની આ અથડામણમાં સુરક્ષા દળોએ સોપોરમાં એક આતંકવાદીને ઠાર કર્યો છે તો કિશ્તવાડમાં એન્કાઉન્ટરમાં એક JCO શહીદ થયો છે. આ સિવા.ય ચાર જવાનો ઘાયલ થયા છે.
એક ઘટના શ્રીનગર બહાર જબરવાન જંગલ વિસ્તારમાં થઈ. અહીં બેથી ત્રણ આતંકીઓ હોવાની માહિતી હતી. જે બાદ સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું. થોડા સમય પછી આ ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યું, કારણ કે આતંકીઓ જબરવાના પહાડીઓના જંગલ તરફ ફરાર થઈ ગયા.
બીજી ઘટના કિશ્તવાડમાં રવિવારે સવારે ઘટી. જમ્મુ-કાશ્મીર પોલીસ અનુસાર, ત્રણથી ચાર આતંકવાદીઓ હોવાની માહિતી હતી. આતંકવાદીઓનું આ એ જ જૂથ હતું જેણે 2 નિર્દોષ ગ્રામજનોની હત્યા કરી હતી. કેશવન જંગલમાં લગભગ 11 વાગ્યાની આસપાસ એન્કાઉન્ટર શરૂ થયું હતું. આ એન્કાઉન્ટરમાં જેસીઓ રાકેશ કુમાર શહીદ થયા અને અન્ય ચાર સૈનિકો ઘાયલ થયા છે.
અન્ય એક ઘટનામાં જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો છે. જણાવી દઈએ કે, આ પહેલા શનિવાર 09 નવેમ્બરની રાત્રે સોપોરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.
કાશ્મીર ઝોન પોલીસે કહ્યું કે, બારામુલ્લાના સોપોર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે ચોક્કસ ઇનપુટ મળ્યો હતો, તેના પર કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ અને સુરક્ષા દળો દ્વારા સંયુક્ત આતંકવાદ વિરોધી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
