આંધી-તોફાનથી અસરગ્રસ્ત ભારત, 40 ના મોત, 48 કલાકની ચેતવણી
રવિવારે સાંજે આવેલા ભયાનક વાવાઝોડા અને પવનોએ દેશના ઘણા રાજ્યોમાં ભારે તબાહી મચાવી છે અને સેંકડો લોકો ઘાયલ થઈ ગયા છે.
રવિવારે સાંજે આવેલા ભયાનક વાવાઝોડા અને પવનોએ દેશના ઘણા રાજ્યોમાં ભારે તબાહી મચાવી છે અને સેંકડો લોકો ઘાયલ થઈ ગયા છે. આ વાવાઝોડામાં અત્યાર સુધીમાં દેશભરમાં 40 લોકોના મોત થઈ ચૂક્યા છે. વાવાઝોડાના આ કહેરથી ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને દેશની રાજધાની દિલ્હી સૌથી વધુ અસરગ્રસ્ત છે. ઉત્તરપ્રદેશ સૌથી વધુ અસરગ્રસ્ત થયુ છે. જ્યાં 18 લોકોના મોત નીપજ્યા છે. વાવાઝોડાના કહેરને કારણે ઘણી ફ્લાઈટો રદ કરવી પડી અને ઘણી ફ્લાઈટ્સને તરત જ ડાયવર્ટ કરવી પડી. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (આઈજીઆઈ) પર લગભગ 180 ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ છે.
ઉત્તરપ્રદેશ બાદ વાવાઝોડાએ પશ્ચિમ બંગાળને સૌથી વધુ અસર કરી જ્યાં 12 લોકોના મોત નીપજ્યા છે. મૃતકોમાં બાળકો પણ શામેલ છે. વળી, આંધ્રપ્રદેશ અને તેલંગાના પણ વાવાઝોડાની ઝપેટમાં આવી જતાં 9 લોકોના મોત નીપજ્યા છે. વળી, દિલ્હીમાં પણ વાવાઝોડાની અસરને કારણે 2 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. અહીં 109 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.
દિલ્હી-એનસીઆરમાં વાવાઝોડાને કારણે થોડોક સમય મેટ્રો, રેલ અને ફ્લાઈટ્સ પણ પ્રભાવિત થઈ જેમાં હજારો લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. વાવાઝોડા દરમિયાન દિલ્હીના પોલિસ કંટ્રોલ રૂમમાં કુલ 260 કોલ્સ આવ્યા. માત્ર દિલ્હીમાં વાવાઝોડાને કારણે 190 વૃક્ષો, 40 જગ્યાઓએ થાંભલા અને 31 જગ્યાઓએ દિવાલ પડી ગઈ છે. હવામાન વિબાગે હાલમાં જાણકારી આપી છે કે દેશના ઘણા રાજ્યોમાં આગામી બે દિવસ સુધી આ પ્રકારના વાવાઝોડાનો સામનો કરવો પડી શકે છે.