મમતા બેનર્જી પર હુમલા બાદ TMCએ જાહેર કર્યુ નિવેદન, કહ્યુ - આ રીતનો કોઈ પણ હુમલો...
મમતા બેનર્જી પર હુમલા બાદ ઘટના વિશે તૃણમૂલ કોંગ્રેસ(ટીએમસી)નુ નિવેદન પણ સામે આવ્યુ છે.
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના રાજકારણમાં એ વખતે હોબાળો થઈ ગયો જ્યારે નંદીગ્રામમાં નામાંકન બાદ ચૂંટણી પ્રચાર કરી રહેલ મુખ્યમંત્રી મમતા બેનર્જી એક હુમલામાં ઘાયલ થઈ ગયા. મમતા બેનર્જીનો આરોપ છે કે 4-5 લોકોએ તેમની સાથે ધક્કા-મુક્કી કરી. આ હુમલામાં તેમના પગ અને હાથમાં ઘણી ઈજાઓ થઈ છે અને હાલમાં મમતા બેનર્જી કોલકત્તાની એક હોસ્પિટલમાં ભરતી છે. આ સમગ્ર મામલે જ્યાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ રાજકીય ડ્રામા ગણાવ્યો છે ત્યાં હવે ઘટના વિશે તૃણમૂલ કોંગ્રેસ(ટીએમસી)નુ નિવેદન પણ સામે આવ્યુ છે. ટીએમસીએ કહ્યુ કે આવુ પહેલી વાર નથી જ્યારે મમતા બેનર્જીનો અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવી હોય.

'કોઈ પણ હુમલો તેમની ઈચ્છાશક્તિને નહિ તોડી શકે'
ટીએમસીએ ગુરુવારે ટ્વિટ કરીને એક નિવેદન જાહેર કરીને કહ્યુ, 'આ પહેલી વાર નથી જ્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જીને ચૂપ કરાવવાની કોશિશ કરવામાં આવી છે. આ પહેલા પણ જ્યારે તે ખેડૂતો સાથે ઉભા રહ્યા તે વખતે પણ તેમના પર હુમલો કરવામાં આવ્યો. પરંતુ આ રીતનો કોઈ પણ હુમલો તેમની ઈચ્છાશક્તિને તોડી નહિ શકે. મમતા બેનર્જી હતા, મમતા બેનર્જી છે અને મમતા બેનર્જી રાજ્યની જનતાનો સૌથી મજબૂત અવાજ બનીને રહેશે.'

ટીએમસીએ સ્થગિત કર્યો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાનો કાર્યક્રમ
ટીએમસીએ આરોપ લગાવ્યો કે આજે પશ્ચિમ બંગાળની જનતા પાસેથી મમતા બેનર્જીને જે ભારે સમર્થન મળી રહ્યુ છે તેને જોઈને એક ષડયંત્ર હેઠળ તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. બીજી તરફ ટીએમસીના સમર્થકોએ મમતા બેનર્જીના જલ્દી ઠીક થવાની કામના માટે હોસ્પિટલ પરિસરમાં હસ્તાક્ષર અભિયાન ચલાવ્યુ. મમતા બેનર્જીની હાલત જોઈને ટીએમસીએ આજે પાર્ટી ઘોષણાપત્ર જાહેર કરવાનો કાર્યક્રમ સ્થગિત કરી દીધો છે અને કહ્યુ કે તેમના ઠીક થયા બાદ જ ઘોષણાપત્ર જાહેર કરવામાં આવશે.

ચૂંટણી પંચે માંગ્યો ઘટનાનો રિપોર્ટ
તમને જણાવી દઈએ કે મમતા બેનર્જીનો ઈલાજ કોલકત્તાની એસએસકેએમ હોસ્પિટલમાં થઈ રહ્યો છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ મમતા બેનર્જીના પગ અને હાથમાં ઈજા થઈ છે અને તે 48 કલાક સુધી ડૉક્ટરોના નિરીક્ષણ હેઠળ છે. હુમલા બાદ પત્રકારો સાથે વાત કરતી વખતે મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે પહેલા અચાનક કોઈએ તેમને ધક્કો માર્યો અને ત્યારબાદ 4-5 લોકોએ તેમની સાથે ધક્કા-મુક્કી કરી. મમતા બેનર્જીએ કહ્યુ કે તે આ સમગ્ર મામલાની ફરિયાદ ચૂંટણી પંચને પણ કરશે. વળી, ઘટના માટે કેન્દ્રીય ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી પાસે તત્કાલ રિપોર્ટ માંગ્યો છે.












Click it and Unblock the Notifications
