ઉદયપુરમાં એક મહિના માટે કલમ 144 લાગુ, આખા રાજસ્થાનમાં ઈન્ટરનેટ સેવા બંધ
રાજસ્થાનના ઉદયપુરમાં ટેલરની ઘાતકી હત્યા બાદ અહીં સ્થિતિ ખૂબ જ તંગ છે.
ઉદયપુરઃ રાજસ્થાનના ઉદયપુરમાં ટેલરની ઘાતકી હત્યા બાદ અહીં સ્થિતિ ખૂબ જ તંગ છે. સમગ્ર રાજ્યમાં આ હત્યા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થિતિને જોતા રાજસ્થાન સરકારે મંગળવારે સમગ્ર ઉદયપુરમાં એક મહિના માટે કલમ 144 લાગુ કરી દીધી છે. રાજ્ય સરકારે હત્યાની તપાસ માટે વિશેષ તપાસ ટીમની પણ રચના કરી છે. SITમાં ADG, સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ અશોક કુમાર રાઠોડ, IG, ATS અને SP રેન્કના અધિકારીઓનો સમાવેશ થાય છે. સ્થિતિને જોતા સમગ્ર રાજ્યમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યુ છે.
ઉદયપુરના ડિવિઝનલ કમિશનર રાજેન્દ્ર ભટ્ટે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. ભટ્ટે કહ્યુ કે અમે ઉદયપુરના લોકોને શાંતિ જાળવવાની અપીલ કરીએ છીએ. પીડિત કન્હૈયા લાલના પરિવારને નોકરી આપવામાં આવશે. પરિવારને 5 લાખ રૂપિયાનુ વળતર પણ આપવામાં આવશે. સમગ્ર રાજસ્થાનમાં પોલીસ એલર્ટ પર છે. અજમેરના એસપી વિકાસ શર્માએ જણાવ્યુ કે સ્થિતિને જોતા સમગ્ર શહેરમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. સંગઠનો દ્વારા શાંતિ માર્ચનુ આયોજન અટકાવી દેવામાં આવ્યુ છે. પોલીસકર્મીઓની રજાઓ રદ કરવામાં આવી છે. અમે સુનિશ્ચિત કરીશુ કે શાંતિ જળવાઈ રહે અને કોઈપણ તેમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર NIAની ટીમ UAPA એક્ટ હેઠળ કેસ નોંધશે. તમને જણાવી દઈએ કે આ ઘટના ઉદયપુરના માલદાસ વિસ્તારમાં બની છે, જ્યાં કટ્ટરપંથીઓએ ટેલર કન્હૈયા લાલની હત્યા કરી દીધી હતી. આ હત્યા બાદ આરોપીએ એક વીડિયો શેર કર્યો હતો અને પીએમ મોદીને ધમકી આપી હતી અને આ ક્રૂર હત્યાને સિદ્ધિ ગણાવી હતી. આ કેસમાં બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યુ કે રિયાઝ અખ્તરે કન્હૈયા લાલ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો અને ઘોષ મોહમ્મદે ફોનથી રેકોર્ડિંગ કર્યુ.