Unacademyના ટીચર કરણ સાંગવાનનો દાવો - 'બની શકે કે રાજકીય દબાણના કારણે મને બરતરફ કર્યો હોય'
Unacademy Controversy: અનએકેડમી દ્વારા બરતરફ કરાયેલા શિક્ષક કરણ સાંગવાને દાવો કર્યો છે કે "રાજકીય દબાણ"ના કારણે તેને ઑનલાઈન ટ્યુટરિંગ પ્લેટફોર્મ દ્વારા દૂર કરવામાં આવ્યો હોઈ શકે છે.
સોશિયલ મીડિયા પર તેમની ટિપ્પણીની વીડિયો ક્લિપ વાયરલ થયા બાદ વિવાદમાં ઘેરાયેલા કરણ સાંગવાને કહ્યું હતું કે તેઓ તેમના નિવેદન પર અડગ છે. કરણ સાંગવાને એક ઑનલાઈન ક્લાસ દરમિયાન વિદ્યાર્થીઓને શિક્ષિત નેતાઓને મત આપવા કહ્યું હતુ.

ઈન્ડિયા ટુડેના જણાવ્યા અનુસાર, કરણ સાંગવાને કહ્યું કે તેણે અનએકેડમીના ટૉપ મેનેજમેન્ટ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમણે કહ્યું કે તેઓ કંઈ નહિ કરી શકીએ.
કરણે કહ્યું, "હું 2021થી અનએકેડમી સાથે છું. મારી પ્રોફાઇલ હવે ત્યાંથી હટાવી દેવામાં આવી છે. બની શકે છે કે તેઓએ મને રાજકીય દબાણને કારણે હટાવી દીધો હોય. તેમના પર રાજકીય દબાણ હોઈ શકે છે." જ્યારે કરણને કૉન્ટ્રાક્ટ સમાપ્ત કરવા વિશે પૂછવામાં આવ્યુ ત્યારે સાંગવાને કહ્યું કે ઑનલાઈન પ્લેટફોર્મે તેના કરારમાં લખ્યું છે કે કોઈ રાજકીય નિવેદન હોઈ શકે નહીં, પરંતુ "રાજકીય નિવેદન" શું છે તેની કોઈ વ્યાખ્યા નથી.
કરણ સાંગવાને કહ્યું, "મે કોઈ નેતાનું નામ કે પાર્ટીનો ઉલ્લેખ કર્યો નથી. કરણ સાંગવાને કહ્યું, "એક ઈમેલમાં, તેમણે મને ટ્વીટ કરીને કહ્યું કે મે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આ અંગે કોઈ ચર્ચા થઈ નથી. મને મારો પક્ષ રજૂ કરવાની તક પણ આપવામાં આવી નથી.''
કરણ સાંગવાને કહ્યું કે તે પોતાના નિવેદન પર અડગ છે. સાંગવાને કહ્યું, "મે સાચુ કહ્યુ. મે જે કહ્યું તેના પર હું અડગ છુ. વ્યક્તિના જીવનમાં શિક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે."
તેમણે કહ્યું, "મને ટ્રોલ કરવામાં આવ્યો. મને વિવાદમાં ધકેલી દેવામાં આવ્યો.'' સાંગવાને તે આરોપોને પણ નકારી કાઢ્યા કે તે કોઈપણ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા છે.' તેમણે કહ્યું, "મારી પાસે યુટ્યુબ ચેનલ છે. હું બાળકોને મફતમાં ભણાવીશ. હું ફક્ત ભણાવવાનું જ કામ કરીશ."
કરણ સાંગવાને કહ્યું કે જ્યારે તેમને અનએકેડમી તરફથી ટર્મિનેશન લેટર મળ્યો ત્યારે તે રડી પડ્યા હતા. મારા અમુક વિદ્યાર્થીઓ પણ રડ્યા હતા. વિદ્યાર્થીઓના ભવિષ્ય વિશે કોઈ વિચારતુ નથી." તેમણે કહ્યું. "મને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. એક શિક્ષક તરીકે, હું વિદ્યાર્થીઓને સાચા માર્ગ પર માર્ગદર્શન આપીશ."
તમને જણાવી દઈએ કે વાયરલ થયેલી એક વીડિયો ક્લિપમાં, કરણ સાંગવાન દેશમાં ફોજદારી ન્યાય પ્રણાલીમાં સુધારા માટે સરકાર દ્વારા લાવવામાં આવેલા તાજેતરના બિલની ચર્ચા કરતા જોવા મળે છે. સાંગવાન વીડિયોમાં તેના વિદ્યાર્થીઓને કહે છે, "ભૂલશો નહીં, જ્યારે તમે આગલી વખતે મતદાન કરશો, ત્યારે એવા વ્યક્તિને મત આપો જે શિક્ષિત હોય જેથી તમારે ફરીથી આમાંથી પસાર થવું ન પડે. એવી વ્યક્તિ પસંદ કરો જે શિક્ષિત હોય અને વસ્તુઓ સમજે. એવી વ્યક્તિને પસંદ કરશો નહીં જે ફક્ત નામ કેવી રીતે બદલવું તે જાણે છે. યોગ્ય નિર્ણય લો.''












Click it and Unblock the Notifications
