ઓબીસી અનામત વગર જ થશે UP Civic Election 2022, હાઇકોર્ટનો નિર્ણય
UP Civic Election 2022 : અહલાબાદ હાઇકોર્ટની લખનઉ બેચે ઉત્તર પ્રદેશમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મોટો નિર્ણય કર્યો છે. કોર્ટે ચૂકાદો આપતા જણાવ્યું હતું કે, ઓબીસી અનામત વગર જ ચૂંટણી સમયસર યોજાશે.
UP Civic Election 2022 : અહલાબાદ હાઇકોર્ટની લખનઉ બેચે ઉત્તર પ્રદેશમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મોટો નિર્ણય કર્યો છે. કોર્ટે ચૂકાદો આપતા જણાવ્યું હતું કે, ઓબીસી અનામત વગર જ ચૂંટણી સમયસર યોજાશે. હાઇકોર્ટના નિર્ણય બાદ ઓબીસી માટે આરક્ષિત બેઠકો હવે જનરલ માનવામાં આવશે. કોર્ટે 70 પેજનું જજમેન્ટ આપ્યું હતું.
ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારને મોટો ઝટકો આપતા, હાઈકોર્ટની લખનઉ બેચે 5 ડિસેમ્બરના રોજ કોર્પોરેશનની ચૂંટણી માટે બહાર પાડવામાં આવેલા ડ્રાફ્ટ નોટિફિકેશનને ફગાવી દીધું છે. આ સાથે કોર્ટે રાજ્ય સરકારને ઓબીસી અનામત વિના કોર્પોરેશનની ચૂંટણી કરાવવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ સૌરભ લવાનિયાની ડિવિઝન બેચે આ મુદ્દે દાખલ કરવામાં આવેલી 93 અરજીઓ પર એકસાથે ચુકાદો આપ્યો હતો.
હાઈકોર્ટે 12 ડિસેમ્બરના રોજ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશનને પણ ફગાવી દીધું છે, જેના દ્વારા સરકારે તે સ્થાનિક સંસ્થાઓમાં વહીવટકર્તાઓને પોસ્ટ કરવાની વાત કરી હતી, જેનો કાર્યકાળ ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહ્યો છે.
શું છે સમગ્ર મામલો?
અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેચે રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવા પર રોક લગાવી દીધી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે, સરકારે OBC ક્વોટાના અનામતનો નિર્ણય લેવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી ટ્રિપલ ટેસ્ટ ફોર્મ્યુલાનું પાલન કર્યું નથી. વૈભવ પાંડેની અરજી પર જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ સૌરભ શ્રીવાસ્તવની ખંડપીઠે આ આદેશ આપ્યો હતો.
વૈભવ પાંડે સહિત કેટલાક અરજદારોએ રાજ્ય સરકાર પર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં ઓબીસી અનામતના અમલમાં યોગ્ય પ્રક્રિયાનું પાલન ન કરવાનો આરોપ લગાવતી અલગ અરજીઓ દાખલ કરી હતી. જેમાં અરજદારો વતી દલીલ કરવામાં આવી હતી કે, સુપ્રીમ કોર્ટ દ્વારા આ વર્ષે સુરેશ મહાજનના કેસમાં પોતાના ચુકાદામાં સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો કે, સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ઓબીસી અનામત જાહેર કરતા પહેલા ટ્રિપલ ટેસ્ટ કરવામાં આવશે.
જો ટ્રિપલ ટેસ્ટની ઔપચારિકતાઓ થઈ શકતી નથી, તો SC અને ST બેઠકો સિવાયની તમામ બેઠકોને સામાન્ય બેઠકો તરીકે જાહેર કરીને ચૂંટણી યોજવામાં આવશે. આ સાથે એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, સર્વોચ્ચ અદાલતની સ્પષ્ટ માર્ગદર્શિકા હોવા છતાં, રાજ્ય સરકારે ટ્રિપલ ટેસ્ટ વિના 5 ડિસેમ્બર, 2022 ના રોજ ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું હતું, જેમાં ઓબીસી માટે અનામત બેઠકોનો પણ સમાવેશ થાય છે.