યોગી સરકારની પહેલી કેબિનેટ બેઠક, ખેડૂતોના સારા દિવસો શરૂ
રામનવમીના દિવસે યોગી સરકારની પહેલી બેઠક મળી, આ બેઠકમાં 9 મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે.
ઉત્તર પ્રદેશ માં યોગી આદિત્યનાથ ના નેતૃત્વમાં ભાજપ ની સરકાર આવ્યા બાદ પહેલી કેબિનેટ બેઠક પૂર્ણ થઇ છે. આ કેબિનેટ બેઠકમાં ખેડૂતો અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે, આખરે યુપીમાં ખેડૂતોના સારા દિવસો શરૂ થશે. રામનવમીના દિવસે મળેલી આ બેઠકમાં કુલ 9 મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.
ખેડૂતો માટે યોગી લાવ્યા ખુશખબર
લખનઉમાં યુપી સરકારના પહેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે બંન્ને ઉપ-મુખ્યમંત્રીઓ કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા પણ હાજર રહ્યાં હતા. આ બેઠકમાં ખેડૂતો માટે જે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો તે એ છે કે, ખેડૂતોનો 36 હજાર 359 કરોડનું ઉધાર/કર માફ કરવામાં આવ્યું છે.
પત્રકાર પરિષદમાં આપી જાણકારી
આ કેબિનેટ બેઠક બાદ યુપી સરકારના મંત્રી શ્રીકાંત શર્મા અને સિદ્ધાર્થ નાથ સિંહે પત્રકાર પરિષદમાં હાજરી આપી હતી. તેમણે અહીં કેબિનેટ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, કેબિનેટમાં ખેડૂતો અંગે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. કર માફીનો ફાયદો લઘુ સીમાંત ખેડૂતોને મળશે, યુપીમાં કુલ 2 કરોડ 15 લાખ લઘુ સીમાંત ખેડૂતો છે. જે ખેડૂતોએ ઘઉં, અનાજ, કીટનાશક અને ખાતર માટે બેંક પાસે લોન લીધી છે, તે સૌને આ કર/ઉધાર માફીનો ફાયદો મળશે.
મંત્રીઓ કરશે ઘઉંના ખરીદ-વેચાણનું નિરિક્ષણ
ઘઉંના 5 હજાર ખરીદી કેન્દ્રો બનાવવામાં આવશે. પહેલા તબક્કામાં 40 લાખ મિટ્રીક ટન ઘઉંની ખરીદીનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ઘઉંની ખરીદી પર 1625 રૂપિયાનું સમર્થન મૂલ્ય નક્કી કરવામાં આવ્યું છે. તેના પરિવહન માટે એક ક્વિંટલના 10 રૂપિયા અલગથી આપવામાં આવશે. ઘઉંની ખરીદીમાં હવે મધ્યસ્થી(મિડલમેન)નું કામ સમાપ્ત થયું છે. ઘઉંની ખરીદીના સીધા પૈસા ખાતામાં જમા થશે.
બટાકાના ખરીદ-વેચાણ માટે સમિતિની રચના
યુપી સરકારના મંત્રી શ્રીકાંત શર્માએ જણાવ્યું કે, બટાકાના ખરીદ-વેચાણ માટે ઉપ-મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિ નક્કી કરશે કે, બટાકાની ખેતી કરતાં ખેડૂતોને કઇ રીતે રાહત આપવી.
ભાજપે વાયદો પૂરો કર્યો
થોડા સમય પહેલાં જ કેન્દ્રિય નાણાં મંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે, યુપીના ખેડૂતોની કર/ઉધાર માફી માટે યોગી સરકારની આર્થિક મદદ કરવામાં નહીં આવે. આથી લોકો અનુમાન લગાવી રહ્યાં હતા કે, ભાજપ ખેડૂતોની કર/ઉધાર માફીનો પોતાનો વાયદો પૂરો નહીં કરે. પરંતુ યોગી કેબિનેટની પહેલી બેઠકમાં જ આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.
યોગી સરકારની નવી ઉદ્યોગ નીતિ
આ સિવાય શ્રીકાંત શર્માએ જણાવ્યું કે, બેઠકમાં નવી ઉદ્યોગ નીતિઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. યોગી સરકાર નવી ઉદ્યોગ નીતિઓ બનાવશે. આ માટે મુખ્યમંત્રીએ સમિતિની રચના કરી છે. તેઓ બીજા રાજ્યોની ઉદ્યોગ નીતિનું અધ્યયન કરશે અને યુપીમાં એક સારી ઉદ્યોગ નીતિની રચના કરશે, તેના માટે સિંગલ વિન્ડો સિસ્ટમ લાગુ થશે. આ સમિતિ ઉપ-મુખ્યમંત્રી દિનેશ શર્માની આગેવાની હેઠળ બનશે.
ગેરકાયદેસર ખાણકામ અંગે મોટો નિર્ણય
ગેરકાયદેસર ખાણકામ અંગે પણ મોટો નિર્ણય લેવાયો છે. સિદ્ધાર્થ નાથ સિંહના જણાવ્યા અનુસાર આ માટે પણ ઉપ-મુખ્યમંત્રીની આગેવાની હેઠળ સમિતિની રચના કરવામાં આવી છે. 3 મંત્રીઓની સમિતિની રચના થઇ છે. કેબિનેટના આ તમામ નિર્ણયો બજેટ સત્રમાં પાસ થશે.
અહીં વાંચો