મોદી મેજિક : UPના 38 સાંસદો ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવા ઇચ્છુક
લખનૌ, 18 સપ્ટેમ્બર : લોકસભા ચૂંટણી 2014માં ઉતર પ્રદેશને કેન્દ્ર બિંદુમાં રાખીને મેદાનમાં ઉતરેલા ભાજપનો ઉત્સાહ કાર્યકરોએ જ નહી પરંતુ બીજા પક્ષોના નેતાઓએ પણ વધારી દીધો છે. વાત એમ છે કે 80 લોકસભાની બેઠકોવાળા રાજયના 38 વર્તમાન સાંસદો ભાજપના સંપર્કમાં છે અને તેઓ ભાજપની ટિકિટ ઉપર આગામી લોકસભા ચૂંટણી લડવા માંગે છે.
ભાજપના નેતૃત્વએ લોકસભાની ચૂંટણી માટે લગભગ 50 ટકા બેઠકો ઉપર પોતાના ઉમેદવારો નક્કી કરી લીધા છે. પક્ષના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આવતા મહિનાથી ઉત્તર પ્રદેશના પ્રવાસે નીકળશે. સંભવ છે કે દર 8 થી 10 દિવસના અંતર પર મોદી રાજયના કોઇને કોઇ ભાગમાં મોજુદ રહેશે.
ઉત્તર પ્રદેશમાં ભાજપનું પ્રદર્શન-દેખાવ જે પણ હોય પરંતુ નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર જાહેર કરાયા બાદ સર્જાયેલા માહોલે ભાજપનો ઉત્સાહ વધારી દીધો છે. ખાસ કરીને મોદીના નામની જાહેરાતે દરેક પક્ષના નેતાઓને નવી રણનીતિ ઉપર વિચાર કરવા માટે મજબુર કરી દીધા છે.
થોડા દિવસો પહેલા સપાની ટિકિટ ઠુકરાવનારા સોમપાલ શાસ્ત્રી ભાજપની ટિકીટ પરથી ચૂંટણી લડવાની ઇચ્છા ધરાવનારા સાંસદોમાં એકલા નથી. સુત્રોના જણાવ્યા પ્રમાણે વિવિધ પક્ષોના 38 સાંસદો ભાજપના સંપર્કમાં છે. આ વખતે તેઓ ભાજપમાંથી પોતાનુ નસીબ અજમાવવા માંગે છે. જો કે પક્ષ તરફથી હજુ કોઇ નક્કર આશ્વાસન આપવામાં આવ્યુ નથી.
આ બાબતને ધ્યાનમાં રાખીને ભાજપ દરેક સમીકરણ જોયા પછી મજબુત ઉમેદવારો ઉપર તે દાવ લગાડી શકે છે. જાણવા મળે છે કે અનેક બેઠકો ઉપર ઉમેદવારોના નામ નક્કી થઇ ગયા છે અને નવેમ્બર સુધીમાં મોટાભાગના ઉમેદવારોની જાહેરાત થઇ શકે છે.
આ મહિનાથી મોદીનું ચૂંટણી અભિયાન પણ હવે વેગ પકડશે. ઓકટોબરથી નવેમ્બર દરમિયાન આઠ-નવ સભાઓ સંબોધી સમગ્ર દેશમાં ડંકો વગાડી દેશે. ટીમ મોદીની યોજના ઉપર ધાર્યું કામ થયું તો આગ્રા, બરેલી, ગોરખપુર, અલ્હાબાદ, બનારસ, કાનપુર, મુઝફફરનગર વગેરેની તેઓ મુલાકાત લેશે. મોદીના પ્રવાસનો કાર્યક્રમ એ રીતે નક્કી થઇ રહ્યો છે કે તેઓ સમગ્ર પ્રદેશમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવી શકે. શરૂઆત કયાંથી થાય તે નક્કી નથી પરંતુ નવેમ્બર સુધી મોદી પોતાના પ્રથમ તબક્કાના અભિયાનનું સમાપન લખનૌમાં કરશે.
ઉલ્લેખનીય છે કે કલ્યાણસિંહની હાજરીમાં લોધ સમુદાય તરફથી એવુ આશ્વાસન લઇ લેવામાં આવ્યું છે કે તેઓ ભાજપ સાથે છે તો વાણંદ, મલ્લાહ, નિશાદ, વાલ્મીકી જેવા સમુદાયો ઉપર પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે.