Parliament Monsoon Session : મણિપુર ઘટના અંગે સંસદમાં ફરી હોબાળો, જાણો સંસદના ચોમાસુ સત્રની તમામ અપડેટ
Parliament Monsoon Session : મણિપુર હિંસાને લઇને આજે સંસદના બંને સદનોમાં સતત હોબાળો મચી રહ્યો છે. આ વચ્ચે લોકસભામાં વિપક્ષી દળો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે બાદ લોકસભાની કાર્યવાહી 12 કલાક સુધી સ્થગિત કરવામાં આવી છે. આ મુદ્દે ગુરુવારના રોજ પણ સંસદમાં ઉગ્ર ચર્ચાઓ થઇ હતી. આ દરમિયાન લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.
ગુરુવારના રોજ સંસદમાં હોબાળાને કારણે મણિપુર હિંસા અને કેન્દ્ર સરકારના વટહુકમ પર ચર્ચા થઈ શકી ન હતી. આજે જ્યારે સંસદમાં કાર્યવાહી શરૂ થઈ, ત્યારે ફરીથી ભારે હોબાળો થયો હતો. આજે ફરી એકવાર મણિપુર હિંસા અને કેન્દ્ર સરકારના વટહુકમને લઈને ચર્ચા જોવા મળી રહી છે.

આમ આદમી પાર્ટી અને કેન્દ્ર વચ્ચેનો વિવાદ ઘણો વધી ગયો છે. આ વટહુકમ સામે આમ આદમી પાર્ટી (AAP)ને અનેક પક્ષોનું સમર્થન મળ્યું છે. તાજેતરમાં કોંગ્રેસે આ વટહુકમ સામે સમર્થન જાહેર કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચોમાસુ સત્રની શરૂઆત પહેલા મણિપુરના વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, મણિપુરમાં જે બન્યું છે, તે ખૂબ જ શરમજનક છે. આ ઘટના અંગે હું તમને ખાતરી આપું છું કે, જે લોકો દોષિત છે તેમને સખતમાં સખત સજા મળશે.
આ ઘટના બાદ 77 દિવસ સુધી કાર્યવાહીના અભાવે રાજ્ય સરકાર મુશ્કેલીનો સામનો કરી રહી છે. કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષોએ સંસદમાં સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
કેટલાક વિપક્ષી સાંસદોએ મણિપુરના મુદ્દા પર સંસદના બંને ગૃહોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન અને ચર્ચાની માંગ સાથે બંને ગૃહોમાં કામકાજ સ્થગિત કરવાની નોટિસ આપી હતી. કોંગ્રેસના સાંસદો મનીષ તિવારી, મણિકમ ટાગોર અને કેટલાક અન્ય વિપક્ષી સાંસદોએ શુક્રવારે સ્થગિત કરવાની નોટિસ આપી હતી.
ગૃહમાં ચર્ચાની માંગ કરતાં લોકસભાના સભ્ય મનીષ તિવારીએ જણાવ્યું હતું કે, ત્યાંની સ્થિતિ વિશે માહિતી આપવા ઉપરાંત કેન્દ્ર સરકારે એ પણ જણાવવું જોઈએ કે, શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે કેવા પગલાં લેવામાં આવ્યા અને કેવા પ્રકારની નીતિઓ લાગુ કરવામાં આવી?
સંસદીય બાબતોના મંત્રી અર્જૂન રામ મેઘવાલે જણાવ્યું હતું કે, વિપક્ષ જાણીજોઈને ચર્ચા ઈચ્છતો નથી. નિયમોને ટાંકીને તેઓ વારંવાર પોતાનું સ્ટેન્ડ બદલી રહ્યા છે. આ અંગે ગૃહમંત્રી જવાબ આપશે.
મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડનો વીડિયો વાયરલ થયા બાદ દેશ આઘાત અને ગુસ્સામાં છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ આ મામલાને લઈને ખૂબ જ દુઃખી છે અને તેમણે પોતે આ મામલાની નોંધ લીધી છે.
સોશિયલ મીડિયા પર કોંગ્રેસ સહિત ઘણા લોકોએ મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન પર મોટી નિષ્ફળતાનો આરોપ લગાવીને તેમને હટાવવાની માંગ કરી છે.
સૂત્રોનું કહેવું છે કે, એન બિરેન મણિપુરના મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે, મુખ્યમંત્રી બદલવા અંગે કોઈ ચર્ચા નથી, પરંતુ કાયદો અને વ્યવસ્થા નિયંત્રણમાં રહે તે સુનિશ્ચિત કરવાની પ્રાથમિકતા છે.
મણિપુરના મુખ્યમંત્રી એન બિરેને જણાવ્યું હતું કે, હું અપીલ કરવા માંગુ છું કે મહિલાઓ, બહેનો અને વડીલો સામે આ છેલ્લો ગુનો હોવો જોઈએ. આપણે આપણી બહેનો, માતાઓ અને વડીલોનું સન્માન કરવું જોઈએ.












Click it and Unblock the Notifications
