પૈસા આપી BJP માંગી રહી છે વોટ, અને રેડ અમારા લોકો પર?
કોંગ્રેસે દિલ્હીમાં બેંગલુરુ દરોડા મામલે નોંધાવ્યો વિરોધ.જે મામલે અરુણ જેટલીએ પણ કોંગ્રેસને આપ્યો જવાબ. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સંસદમાં થયેલા વાકયુદ્ધમાં શું થયું વાંચો અહીં.
દિલ્હી: કર્ણાટકની રાજધાની બેંગલુરુના રિસોર્ટમાં દરોડા પાડ્યા પછી તેના પડધા રાજ્યસભામાં પણ જોવા મળ્યા હતા. રાજ્ય સભામાં કોંગ્રેસના નેતા અને નાણાં પ્રધાન અરુણ જેટલી વચ્ચે જે ચર્ચા થઇ તે અંગે વિગતવાર વાંચો અહીં. કોંગ્રેસના નેતા આનંદ શર્માએ ઇગ્લટન રિસોર્ટમાં દરોડા પાડવા પર ટિપ્પણી કરતા કહ્યું કે જ્યાં કોંગ્રેસના વિધાયકો રોકાયેલા છે ત્યાં આજે સવારે 7 વાગે આઇટી વિભાગે દરોડા પાડ્યા. આટલું કહેતા જ સંસદમાં હંગામો અને સુત્રોચ્ચાર શરૂ થઇ ગયા. જેની પર નાણાં પ્રધાન અરુણ જેટલીએ સ્પષ્ટતા આવી કે રિસોર્ટમાં તમારા એમએલએની તપાસ નથી કરવામાં આવી. ના જ તેમના કોઇ રૂમની તપાસી કરાઇ છે. ઉલ્લેખનીય છે કે મીડિયામાં તેવી પણ વાત ઉડી હતી કે આઇટીના દરોડો વખતે રિસોર્ટમાં રહેતા ગુજરાતી એમએલએના રૂમની તપાસ પણ કરવામાં આવી હતી જે વાતને અરુણ જેટલીને નકારી હતી.
જેટલીએ કહ્યું કે ર્ણાટક સરકારના એક મંત્રી પર આરોપ લાગ્યા છે અને તે કારણે દરોડા પાડવામાં આવ્યા છે જેમાં રિસોર્ટ સમેત તેના ઘર અને તેના 39 સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. જેના જવાબમાં શર્માએ જણાવ્યું કે આ તો એક રીતનો ટ્રેન્ડ બની ગયો છે કે ઇડી, સીબીઆઇ, આઇટી વિભાગનો ઉપયોગ કરીને અમને દબાવવામાં આવે છે. શર્મા કહ્યું કે સામાન્ય રીતે આવા કિસ્સામાં નોટિસ અપાય છે. અને સમય, સ્થાનને પણ જોવામાં આવે છે. જે લોકો પર દરોડો પડ્યો છે તે લોકો વિષે બધાને ખબર છે કે તે ગુજરાતના વિધાયકોને રાખી રહ્યા છે. અને જો આ તમામ વસ્તુ જાણી તમે દરોડો પાડ્યો હોય તો એક રીતે તમે જાણી જોઇને કોંગ્રેસને નિશાનો બનાવી રહ્યા છો.
ગુલામ નબી આઝાદ
આ મામલે વિપક્ષ નેતા ગુલાબ નબી આઝાદે કહ્યું કે આપણા સંવિધાન મુજબ ચૂંટણી વિધાનસભાની હોય કે રાજ્યસભા, ચૂંટણી સ્પષ્ટ પણે કોઇ પણ ડરના ઓથાર વગર તટસ્થ પણે થવી જોઇએ. પણ ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં આવું નથી થઇ રહ્યું. અહીં તો બીજેપીના લોકો પૈસા આપી વોટ માંગી રહ્યા છે અને વધુમાં અમારા લોકો પર સરકાર દરોડા પણ પડાવી રહી છે. ઉલ્ટું જે લોકો પૈસા આપવાની વાત કરે છે તેમની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઇએ. સાથે જ આઝાદે કહ્યું કે જેટલીને દરોડા પાડવા જ હતા તો એક મહિના પહેલા પાડતા. ઉલ્લેખનીય છે કે આ બાદ કોંગ્રેસ દ્વારા હોબાળો કરતા સંસદને સ્થગિત કરવામાં આવી હતી.