પીએમ મોદીને ટ્રમ્પનો મેસેજ, ઈરાન સાથેના સંબંધો વિશે પુનઃવિચાર કરો
યુનાઈટેડ નેશન્સ (યુએન) માં અમેરિકી રાજદૂત નિકી હેલે ગુરુવારે પોતાનો ત્રણ દિવસીય ભારત પ્રવાસ પૂરો કરીને પાછા ફર્યા છે. અમેરિકાએ ભારતને સ્પષ્ટ કહ્યુ છે કે ઈરાન સાથે પોતાના સંબંધો પર તે ફરીથી વિચાર કરે.
યુનાઈટેડ નેશન્સ (યુએન) માં અમેરિકી રાજદૂત નિકી હેલે ગુરુવારે પોતાનો ત્રણ દિવસીય ભારત પ્રવાસ પૂરો કરીને પાછા ફર્યા છે. પ્રવાસના અંતિમ દિવસે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. કહેવામાં આવી રહ્યુ છે કે નિકીએ આ મુલાકાતમાં પીએમ મોદીને ઈરાન વિશે એ સંદેશ આપ્યો છે કે જે તેમના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આવ્યો હતો. આ સંદેશ ઈરાન સાથે જોડાયેલો હતો અને જણાવવામાં આવી રહ્યુ છે કે અમેરિકાએ ભારતને સ્પષ્ટ કહ્યુ છે કે ઈરાન સાથે પોતાના સંબંધો પર તે ફરીથી વિચાર કરે. અમેરિકાએ ભારતને પહેલા જ કહી દીધુ હતુ કે તે તેલ આયાતમાં ચાર નવેમ્બર સુધી ઘટાડો કરી દે. અમેરિકાએ ઈરાન સાથે વર્ષ 2015 માં થયેલી પરમાણુ ડીલને મે મહિનામાં ખતમ કરી દીધી છે અને તેના પર ઘણા પ્રકારના પ્રતિબંધ પણ લગાવી દીધા છે.
નિકી હેલેએ બિઝનેસ પર વ્યક્ત કરી ચિંતા
નિકી હેલેએ પીએમ મોદીને સ્પષ્ટ કહ્યુ છે કે ભારતે ઈરાન પર લાગેલા પ્રતિબંધોને માનવા પડશે. નિકીએ ઈરાનને દુનિયા માટે ખતરો ગણાવ્યુ છે. જ્યારે તેમણે પીએમ મોદી સાથે મુલાકાત કરી ત્યારે ભારત અને ઈરાન વચ્ચે ચાલી રહેલ વેપારી સંબંધો પર ચિંતા વ્યક્ત કરી. ગુરુવારે નિકી એક થિંક ટેંક ઓઆરએફના કાર્યક્રમમાં બોલી રહ્યા હતા ત્યારે તેમણે કહ્યુ હતુ કે, "રાષ્ટ્રપતિ ટ્રમ્પ કહી ચૂક્યા છે કે આપણે ઈરાનને જવાબદાર ગણાવવાનું રહેશે." નિકીએ અહીં કહ્યુ કે ઈરાન પરમાણુ કાર્યક્રમ પર કરાયેલા પોતાના વચનથી પીછેહટ કરી રહ્યુ છે. વળી તેમણે ઈરાન પર આતંકવાદ કરાવવાનો પણ આરોપ લગાવ્યો અને તેને આગામી ઉત્તર કોરિયા ગણાવ્યુ.
ભારતે કરવાનો રહેશે નિર્ણય
નિકીએ કહ્યુ હતુ કે અમેરિકા ઈરાન પર દબાણ કરવાનું ચાલુ રાખશે અને આશા રાખે છે કે બાકીના દેશો પણ એમ જ કરશે. નિકીએ જણાવ્યુ કે તેમણે પીએમ મોદી સાથે વાતચીત કરતી વખતે પણ આ વિશે ચર્ચા કરી. નિકીના જણાવ્યા પ્રમાણે અમેરિકા પોતાના સાથી દેશો અને દોસ્તો સાથે મળીને ઈરાન પર એક જવાબદાર પડોશી હોવાનું દબાણ ચાલુ રાખશે. નિકીએ એક ન્યૂઝ ચેનલ સાથેના ઈન્ટરવ્યૂમાં પણ કહ્યુ કે ‘ભારતને ઈરાન સાથે પોતાના સંબંધો પર પુનઃવિચાર કરવો પડશે.' નિકીએ કહ્યુ કે અમેરિકાના દોસ્ત હોવાના નાતે ભારતે એ નિર્ણય કરવો જોઈએ કે તેણે ઈરાન સાથે બિઝનેસ ચાલુ રાખવો છે કે નહિ. નિકીએ પીએમ મોદી સાથે પોતાની વાતચીતને સર્જનાત્મક ગણાવી.
ઈરાનને આપેલુ વચન તોડશે ભારત
ચીન બાદ ભારત દુનિયાનો બીજો એવો દેશ છે જે ઈરાન સાથે ભારે માત્રામાં તેલ આયાત કરે છે. અમેરિકાએ ભારતને એક વિચિત્ર મુશ્કેલીમાં મૂકી દીધુ છે. ભારતે ઈરાનને વચન આપી દીધુ છે કે તે તેલ આયાત હજુ 25 ટકા સુધી વધારશે. ભારત તરફથી આ વચન તે સમયે કરવામાં આવ્યુ હતુ જ્યારે ફેબ્રુઆરીમાં ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની ભારતના પ્રવાસે આવ્યા હતા. બુધવારે અમેરિકી વિદેશ વિભાગના અધિકારી તરફથી પણ સ્પષ્ટ કરવામાં આવ્યુ હતુ કે ભારતે ઈરાન પર લાગેલા અમેરિકી પ્રતિબંધોનું પાલન કરવુ પડશે અને તેલ આયાત ચાર નવેમ્બર સુધી ઝીરો કરવી પડશે. વિદેશ મંત્રાલય તરફથી આ અંગે કહેવામાં આવ્યુ છે કે આ નિવેદન માત્ર ભારત માટે નહિ પરંતુ બાકીના બધા દેશો માટે છે.