ઉત્તરાખંડ : 12000 ગુજરાતી યાત્રાળુઓ ફાસાયા હોવાની આશંકા
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ કુદરતી આફતને કારણે અંદાજે 60000 યાત્રાળુઓ ફસાઇ ગયા છે. આ યાત્રાળુઓમાંથી અંદાજે 12000 યાત્રાળુઓ ગુજરાતી છે. ફસાયેલા યાત્રાળુઓની મજબૂરીનો લાભ ઉઠાવતા ત્યાંના વેપારીઓએ દૂધ, શાક અને કરિયાણા જેવી ચીજ વસ્તુઓના મોં માગ્યા ભાવ વસૂલીને લૂંટ ચલાવી છે.
ચારધામની યાત્રા દરમિયાન મોટેભાગે હરદ્વાર અને ઉત્તરકાશીથી ગૌરીકુંડ, રામવાડા અને તેની આસપાસના વિસ્તારોમાં શાકભાજી, દૂધ આવતુ હોય છે. કેદારનાથ જવાના આ રસ્તા પર ગૌરી કુંડ અને રામવાડા પાસે સૌથી વધારે યાત્રાળુઓ ફસાયેલા છે. જેમાં 100થી વધુ બસો રસ્તાની વચ્ચે ફસાયેલી છે. વરસાદને પગલે બધા રસ્તા બંધ થઇ ગયા હોવાથી નીચેથી કોઇ સામગ્રી આવતી નથી.
યાત્રાળુએ મજબૂરીમાં એક કપ ચાના રૂપિયા 50 અને દૂધની થેલીનાં રૂપિયા 100 ચૂકવવા પડી રહ્યા છે. યાત્રાળુઓને હજી બેથી ત્રણ દિવસ રહેવાનું હોવાથી હોટેલના માલિકો એક રૂમના 3થી 5 હજાર રૂપિયા ઉઘરાવી રહ્યા છે. 10 કિલો ઘઉંના લોટના 500થી 600 રૂપિયા લેવામાં આવી રહ્યા છે. એક કિલો બટાકાના રૂપિયા 60થી 70 રૂપિયા લેવામાં આવી રહ્યા છે.