સાવરકરના પૌત્રએ રાહુલ ગાંધીને આપી ચેલેન્જ, કહ્યુ - માફી સાથે જોડાયેલા દસ્તાવેજ બતાવો

મોદી સરનેમ મામલે એક તરફ રાહુલ ગાંધીનુ સભ્યપદ જતુ રહ્યુ છે ત્યાં બીજી તરફ ભાજપ અને તેમના સહયોગી પક્ષોએ વીર સાવરકરનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો છે. હાલમાં જ રાહુલ ગાંધીએ સાવરકર પર જે નિવેદન આપ્યુ હતુ, તેના પર તેમની પાસે માફીની માંગ કરવામાં આવી રહી છે. આ મુદ્દે સહયોગી શિવસેના(ઉદ્ધવ ઠાકરે જૂથ)એ પણ કોંગ્રેસ નેતાની નિંદા કરી છે. ત્યારબાદ હવે આ મામલે વીર સાવરકરના પૌત્ર રંજીત સાવરકરનુ નિવેદન સામે આવ્યુ છે. સાથે જ તેમણે રાહુલની માફી સાથે જોડાયેલા પુરાવા માંગ્યા.
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા રણજીત સાવરકરે કહ્યુ કે રાહુલ ગાંધી કહી રહ્યા છે કે તેઓ માફી નહીં માંગે કારણ કે તેઓ સાવરકર નથી, હું તેમને પડકાર ફેંકુ છુ કે તેઓ એવા દસ્તાવેજો બતાવે જેમાં સાવરકરે માફી માંગી હોય. ઉલટુ તેમણે (રાહુલ ગાંધી) બે વખત સુપ્રીમ કોર્ટમાં માફી માંગી છે. રાહુલ ગાંધી જે પણ કરી રહ્યા છે તે બાલિશ છે. રાજનીતિને પ્રોત્સાહન આપવા માટે દેશભક્તોના નામનો ઉપયોગ નિંદનીય છે.
હકીકતમાં, મોદી સરકારે ફ્રાન્સ સાથે રાફેલ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા, જેના હેઠળ 36 ફાઇટર જેટ ભારત આવવાના હતા. રાહુલ ગાંધીએ 'ચોકીદાર ચોર હૈ' ના નારા સાથે આ ડીલમાં હેરાફેરીનો આરોપ લગાવ્યો હતો. આ મુદ્દે ભાજપ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યુ હતુ. ત્યાં 2019માં રાહુલ ગાંધીએ બિનશરતી માફી માંગી હતી. તેવી જ રીતે, એક કેસ બીજેપી નેતા મીનાક્ષી લેખી સાથે સંબંધિત હતો, જેમાં રાહુલે પોતાની ભૂલ સ્વીકારી હતી.
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેનુ જૂથ કોંગ્રેસનો સાથી છે પરંતુ આ નિવેદન બાદ તેમણે પોતાને રાહુલથી દૂર કરી લીધા હતા. આ મામલે સંજય રાઉતે કહ્યુ કે વીર સાવરકર આપણા દેશ માટે આદરનો વિષય છે. આંદામાનમાં 14 વર્ષ સુધી કાળા પાણીની સજા આસાન નથી. આવી ટિપ્પણીનો મહારાષ્ટ્રના લોકો જડબેસલાક જવાબ આપી શકે છે. અમે તમારી સાથે છીએ પણ વીર સાવરકર અમારી પ્રેરણા છે.












Click it and Unblock the Notifications
