ફક્ત પંદર દિવસમાં જનલોકપાલ બિલ ન આવી શકે: કેજરીવાલ
નવી દિલ્હી, 25 ડિસેમ્બર: અત્યાર સુધી સત્તામાં આવતાં જલદીમાં જલદી લોકપાલ બિલ લાવવાનો વાયદો કરનાર અરવિંદ કેજરીવાલે હવે કહ્યું છે કે ફક્ત પંદર દિવસોમાં જન લોકપાલ બિલ ન આવી શકે કારણ કે કેન્દ્રની સહમતિ હોવી જરૂરી છે, જેથી અડચણો આવશે. તેમને કહ્યું હતું કે અમે આ માટે પુરતો પ્રયત્ન કરીશું. તો બીજી તરફ કોંગ્રેસ પાસેથી સમર્થન લેવાની વાત પર અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે અમે કોઇનું સમર્થન લઇ રહ્યાં નથી, જેને લાગે છે કે દિલ્હીની પ્રજાને અડધા ભાવે વિજળી મળવી જોઇએ, પાણી મફત મળવું જોઇએ અને પ્રજાની ભલાઇ માટે કામ થવું જોઇએ તે અમારી સાથે આવી શકે છે.
બીજી તરફ કોંગ્રેસના મીમ અફજલનું કહેવું છે કે અમે પ્રજાની ભલાઇ માટે 'આમ આદમી પાર્ટી'નું સમર્થન કર્યું છે અને અમે જોવા માંગીએ છીએ કે 'આપ' તેને આપેલા વાયદાઓ કેવી રીતે પુરા કરે છે? ભાજપના વિજય ગોયલનું કહેવું છે કે આ બંને પાર્ટીઓ સત્તાની ભૂખી છે, એટલા માટે તે કંઇપણ કરી શકે છે. અત્યાર સુધી 'આપ' જેને સૌથી ભ્રષ્ટ કહેતી હતી હવે તેની સાથે ગઠબંધન કરવા માંગે છે. આ ફક્ત સત્તાની ભૂખ દર્શાવે છે, તમે જ્યારે સમર્થન માંગતા નથી તો કોંગ્રેસ અને ભાજપને પત્ર લખવાનો શું મતલબ છે? આ પ્રજા સાથે કરવામાં આવેલો દગો છે. બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે કહ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે આપ સરકાર બનાવે અને તેને કરેલા વાયદાઓ પુરા કરે જે ક્યારેય પુરા થઇ ન શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં સરકાર બનાવવાનો નિર્ણય કરી લીધો છે, આ અંગે કેજરીવાલે ઉપરાજ્યપાલને સહમતિ આપી દિધી છે. ત્યારબાદ પ્રસ્તાવને રાષ્ટ્રપતિ પાસે મોકલી દેવામાં આવ્યો છે. હવે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ જ અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી પદની શપથ લેશે. કોંગ્રેસ સાંસદ સંદીપ દીક્ષિતે કહ્યું હતું કે જે પ્રકારના રાજકારણની શરૂઆત 'આપે' કરી છે, એવામાં તેમને તક આપવી જોઇએ કે તે પોતાના વાયદાઓને પુરા કરે.