અમેઠીમાં રાહુલને ધૂળ ચટાડીશું, યુપીમાં મારીશું અર્ધસદી: ભાજપ
અમેઠી, 11 જુલાઇ : બીજેપીના ઉત્તર પ્રદેશ સહપ્રભારી રામેશ્વર ચૌરસિયાએ દાવો કર્યો છે કે લોકસભા ચૂંટણીમાં બીજેપી અમેઠી બેઠક પોતાના નામે કરશે, સાથે સાથે તેમણે એવું જણાવ્યું છે કે બીજેપી રાજ્યમાં 50 બેઠકો પર પોતાનો ભગવો લહેરાવશે.
ચૌરસીયાએ જણાવ્યું કે અમેઠી સંસદીય વિસ્તારથી રાહુલ ગાંધી વિરુદ્ધ માત્ર મજબૂત ઉમેદવાર ઉભો નહીં કરાય પરંતુ સ્થાનીકોમાં લોકપ્રિય અને પસંદગીનો નેતા હશે.
પાર્ટી કાર્યકર્તાઓની બેઠક બાદ પત્રકારો સાથે વાત ચીતમાં ચૌરસિયાએ જણાવ્યું રાજ્યમાં બીજેપીના પક્ષમાં વાતાવરણ બની રહ્યું છે, અને કેન્દ્રમાં કોંગ્રેસની ગઠબંધન સરકારમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર અને પ્રદેશમાં સપા સરકારના કુશાસનથી પ્રદેશની જનતા ખરાબ રીતે ત્રસ્ત છે.
એ પૂછવા પર કે અમેઠીથી પાર્ટીનો ઉમેદવાર કોણ રહેશે ચૌરસિયાએ જણાવ્યું કે બીજેપી વિચારધારાવાળું સંગઠન છે અને તેમાં નિર્ણય પણ સામુહિક લેવામાં આવે છે. હવે કોણ ઉમેદવાર રહેશે તે કહેવું યોગ્ય નથી પરંતુ એટલું પાક્કું છે કે તે સ્થાનિકોનો લોકપ્રિય નેતા હશે.
નરેન્દ્ર મોદી ઉત્તપ્રદેશમાંથી ક્યાંથી ચૂંટણી લડશે એવું પૂછાતા તેમણે જણાવ્યું કે આ મીડિયા દ્વારા ઉપજાવેલા સમાચાર છે, 'મોદી ક્યાંથી ચૂંટણી લડશે એનો નિર્ણય ચૂંટણી સમિતિએ કરવાનો છે.' મધ્યપ્રદેશના નાણામંત્રી રાઘવ પર લાગેલા આરોપ અને તેમની ધરપકડ અંગે પૂછવામાં આવેલા સવાલ પર જવાબ આપતા જણાવ્યું કે એ તેમનો આંતરિક મામલો છે, પરંતુ તેનો લોકસભા ચૂંટણી પર કોઇ અસર નહીં પડે.