WB Bypoll Result: ત્રણેય સીટ માટે મતગણતરી શરૂ, મુખ્યમંત્રી મમતા બેનરજીના ભાગ્યનો આજે ફેસલો થશે
WB Bypoll Result: ત્રણેય સીટ માટે મતગણતરી શરૂ, મુખ્યમંત્રી મમતા બેનરજીના ભાગ્યનો આજે ફેસલો થશે
West Bengal Bypoll Results 2021: પશ્ચિમ બંગાળમાં 30 સપ્ટેમ્બરે 3 સીટ પર થયેલ વિધાનસભા પેટાચૂંટણીના આજે પરિણામ આવશે. આ ત્રણેય સીટમાં સૌથી મહત્વની સીટ ભવાનીપુર છે. મુખ્યમંત્રી મમતા બેનરજી ભવાની સીટ પરથી ઉમેદવાર છે. ઉલ્લેખનીય છે કે નંદીગ્રામ સીટથી વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ મમતા બેનરજી આ સીટ પરથી ચૂંટણી લડ્યાં છે. એટલે કે આજે પેટાચૂંટણીના પરિણામમાં મમતા બેનરજીના ભાગ્યનો ફેસલો થઈ જશે. આ ઉપરાંત મુર્શિદાબાદ જિલ્લાની સમસેરગંજ સીટ અને જાંગીપુર સીટની પેટાચૂંટણીના પરિણામ પણ સાથે જ જાહેર કરવામાં આવશે. જ્યારે તૃણમૂલ કોંગ્રેસનું કહેવું છે કે મમતા બેનરજી 50 હજારથી વધુ વોટના અંતર સાથે ભવાનીપુર સીટથી જીતશે. જેના પર ભાજપનું કહેવું છે કે ભવાનીપુર સીટ પર તેના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલ મમતા બેનરજીને સારીએવી ટક્કર આપી રહ્યાં છે.
30 સપ્ટેમ્બરે ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્યું હતું કે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ભવાની સીટ પર 53.32 ટકા મતદાન થયું. તેમણે જણાવ્યું કે મુર્શિદાબાદ જિલ્લાની સમસેરગંજ સીટ અને જાંગીપુર સીટ પર ક્રમશઃ 78.60 ટકા અને 76.12 ટકા મતદાન થયું છે. એપ્રિલ-મેની વિધાનસભા ચૂંટણી દરમિયાન બે ઉમેદવારોના મોતને કારણે આ બે સીટ પર ચૂંટણી રદ્દ કરવી પડી હતી. આ ત્રણેય વિધાસભા ક્ષેત્રોમાં કુલ 6,97,164 મતદાતા નોંધાયેલા છે. ભવાનીપુર સીટ પર તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો મમતા બેનરજીનો મુકાબલો ભારતીય જનતા પાર્ટીની પ્રિયંકા ટિબરેવાલ અને માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના શ્રીજીબ બિસ્વાસ સાથે છે. મતદાન ક્ષેત્રના મતદાના રૂપમાં મમતા બેનરજીએ આ વિસ્તારના મિત્રા સંસ્થાનમાં પોતાનો મત નાખ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગત ચૂંટણીમાં મમતા બેનરજી પોતાની વિધાનસભા સીટ હારી ગયાં હતાં, જે બાદ ભારે ડ્રામા થયો હતો. જો કે વિધાનસભા સીટ હારી ગયાં હોવા છતાં બહુમતીને કારણે મમતા બેનરજીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં હતાં. હવે નિયમોનુસાર કોઈપણ વ્યક્તિ વિધાનસભા ચૂંટણી જીત્યો હોય તો જ મુખ્યમંત્રી બની શકે છે અને જો વિધાનસભા ચૂંટણી લડ્યા વિના કે જીત્યા વિના તે મુખ્યમંત્રી બન્યો હોય તો મુખ્યમંત્રી પદના શપથ લીધાના 6 મહિના સુધીમાં જે-તે વ્યક્તિએ વિધાનસભા સીટ જીતવી પડતી હોય છે. ત્યારે જો મમતા બેનરજી આજે જીતી ના શકે તો તેમણે મુખ્યમંત્રીની ખુરશી છોડવી પડી શકે છે.