પશ્ચિમ બંગાળ ચૂંટણી : મહિલાઓ નરેન્દ્ર મોદી સાથે કે મમતા બેનરજી સાથે?
પશ્ચિમ બંગાળ ચૂંટણી : મહિલાઓ નરેન્દ્ર મોદી સાથે કે મમતા બેનરજી સાથે?
"હજુ કંઈ વિચાર્યું નથી કે કોને મત આપીશું. મમતા બેનરજી સરકારે મહિલાઓ માટે યોજનાઓ તો શરૂ કરી છે, પણ વાસ્તવિક સ્તરે તેનો બહુ ફાયદો મળ્યો નથી. એને મત આપીશું જે અમારો મુદ્દો ઉઠાવે."
મુર્શિદાબાદ જિલ્લા મુખ્યાલય બરહમપુરમાં ગંગા નદીના કિનારે શાકભાજી વેચતાં અનસુયા મહતો સહજ રીતે આ વાત કહે છે.
અનસુયા હોય કે પછી માલદા કલેક્ટર કચેરીમાં પોતાનું આધારકાર્ડ કઢાવવા માટે આવેલાં બાસંતી મંડલ, પશ્ચિમ બંગાળનાં મહિલાઓ આ વખતે તમામ પક્ષોના દાવાઓની પરખ કરે છે.
માલદાનાં સામાજિક કાર્યકર શબનમ જહાં કહે છે, "મહિલાઓ હાલમાં તમામ પક્ષોના વાયદાઓની કસોટી કરી રહી છે. વર્ષ 2011 અને 2016ના વિધાનસભાનાં પરિણામોથી સ્પષ્ટ છે કે ટીએમસીને આ જૂથનું ઘણું સમર્થન મળ્યું હતું."
"પણ ગત લોકસભા ચૂંટણીમાં તેમનો ઝુકાવ ભાજપ તરફ થયો છે. હવે આ વખતે જોવાનું રહેશે કે શું થાય છે?"
એટલે કે મહિલા મતદારોને રીઝવવા માટે ટીએમસી, ભાજપ વચ્ચે જામેલી હોડથી મહિલાઓ અસમંજસમાં મુકાઈ ગયાં છે. બીજી તરફ લેફ્ટ-કૉંગ્રેસ ગઠબંધનની નજર પણ આ જૂથ પર છે.
લેફ્ટ ફ્રન્ટના અધ્યક્ષ વિમાન બોઝ કહે છે, "એક મહિલા મુખ્ય મંત્રી હોવા છતાં રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નથી. ભાજપશાસિત રાજ્યોમાં પણ મહિલાઓની હાલત બદતર છે. એવામાં મહિલાઓ હવે લેફ્ટ-કૉંગ્રેસ ગઠબંધનને વિકલ્પ માનીને અમારું સમર્થન કરશે."
- મમતા બેનરજી-શુભેન્દુ સરકાર નહીં, નંદીગ્રામ ઇચ્છે છે બીજું જ કંઈક - ગ્રાઉન્ડ રિપોર્ટ
- પોતાને ડાબેરી ગણાવનારા મિથુન ભાજપને હિંદુત્વના રાજકરણમાં કેટલો ફાયદો કરાવી શકશે?
બંગાળનાં મહિલાઓ
સંશોધિત મતદાતા સૂચિ અનુસાર, રાજ્યમાં 7.18 કરોડ મતદારોમાંથી 3.15 કરોડ એટલે કે 49 ટકા મહિલા છે.
આ આંકડા એટલો મોટો છે કે કોઈ પણ પાર્ટી તેને નજરઅંદાજ ન કરી શકે. એ અતિશયોક્તિ નહીં ગણાય કે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં સત્તાની ચાવી મહિલાઓના હાથમાં છે.
દેશનાં અન્ય રાજ્યો કરતાં બંગાળનાં મહિલાઓ માત્ર પતિ કે ઘરના આગેવાનના કહેવા પર મત નથી આપતાં. રાજકીય રીતે જાગરૂક આ મહિલાઓના પોતાના વિચાર પણ છે.
આમ, કેટલાકને બાદ કરતાં મોટાં ભાગનાં ઘરોમાં પોતાના મતનો નિર્ણય મહિલાઓ જાતે કરે છે.
પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને ભાજપ મહિલા મતદારોનું સમર્થન હાંસલ કરવા માટેની કોશિશ હેઠળ મહિલાઓ સાથે જોડાયેલા મુદ્દાઓ ઉઠાવે છે.
રાજ્યોમાં મતદારોમાં પુરુષો કરતાં મહિલાનું પ્રમાણ ગત વર્ષના 956 પ્રતિ હજારથી વધીને 961 થઈ ગયું છે. આ એક નવો રેકૉર્ડ છે.
મહિલાઓના મુદ્દા પર સક્રિયતા
રાજ્યનાં મહિલાઓ વર્ષ 2006-07 સુધી લેફ્ટની સાથે મજબૂતીથી ઊભાં હતાં, પણ સિંગુર અને નંદીગ્રામમાં ભૂમિ અધિગ્રહણવિરોધી આંદોલનો બાદ તેઓ મમતા બેનરજીનું સમર્થન કરવા લાગ્યાં.
ગત લોકસભામાં ભાજપે પણ મહિલા મતદારોને પોતાની તરફ વાળ્યાં હતાં અને તેનો ફાયદો પણ ઘણો મળ્યો હતો.
બર્દવાન જિલ્લાના કાલનામાં મમતા બેનરજીની રેલી દરમિયાન ચાર કિલો પગપાળા ચાલીને પહોંચેલાં પારુલ કર્મકાર કહે છે, "હું મમતાને જોવા માટે આવી છું. મહિલા મુખ્ય મંત્રી તરીકે તેઓ અમારું ધ્યાન રાખે છે. અમે હંમેશાં તેમનું સમર્થન કરીશું."
નદિયા જિલ્લા મુખ્યાલય કૃષ્ણનગરમાં એક હોટલ ચલાવતાં સ્વપના ગાંગુલી કહે છે, "અમે દીદી સિવાય કોઈ અન્યનું સમર્થન કેમ કરીએ? મમતા દેશની એકલી મહિલા મુખ્ય મંત્રી છે અને મહિલાઓના મુદ્દાઓ પર સક્રિય રહે છે."
પણ આ જિલ્લામાં ખેતરોમાં કામ કરતાં જ્યોત્સના મલ્લિક કહે છે, "અમે બધાને જોયા છે. હવે આ વખતે ભાજપને મત આપવાનું વિચારી રહી છું. કદાચ અમારી સ્થિતિ સુધરી જાય."
પણ આ વખતે અડધી વસતી કોનો સાથે આપશે એનો ચોક્કસ જવાબ બાદમાં મળશે.
હાલમાં બંને પક્ષના પોતપોતાના દાવા છે. ભાજપ અને ટીએમસી બંને એકબીજા પર મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ રહ્યા હોવાનો આરોપ લગાવે છે.
તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાના હિતમાં શરૂ કરેલી અનેક યોજનાઓનો વધારીને રજૂ કરાઈ રહી છે.
બિહાર વિધાનસભા ચૂંટણીનાં પરિણામોના વિશ્લેષણ બાદ સત્તાના બંને દાવેદારોની રણનીતિમાં ફેરફાર આવ્યો છે. તેનાથી એ વાત સામે આવી હતી કે મહિલાઓના સમર્થનથી એનડીએ ત્યાં સત્તા બચાવવામાં સફળ રહ્યું હતું.
સરકતી જમીન બચાવવાની મમતાની કોશિશ
https://www.youtube.com/watch?v=6YqJm4g6ElE&t=5s
વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં મહિલા મતદારોમાં ભાજપના પગપેસારા બાદ સત્તારૂઢ ટીએમસીએ ફરી વાર તેમને પોતાની તરફ વાળવાની કોશિશો તેજ કરી છે.
ગત લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફથી ઝટકો મળ્યા બાદ મમતા બેનરજીએ પોતાની સરકારની વિકાસ યોજનાઓ અને ભાજપશાસિત રાજ્યોમાં મહિલાઓ પરના ગુનાઓમાં વૃદ્ધિના પ્રચારપ્રસાર માટે પાર્ટીના બિનરાજકીય મોરચા 'બોંગો જનની'ની રચના કરી હતી.
હકીકતમાં આ રચનાનો મુખ્ય હેતુ વર્ષ 2019ની લોકસભા ચૂંટણી બાદ મહિલાઓમાં પોતાની પાર્ટી ઘટતા વર્ચસ્વને ફરીથી મેળવવાનો હતો.
મહિલા અને બાળવિકાસમંત્રી અને 'બોંગો જનની'નાં મહાસચિવ શશિ પાંજા કહે છે, "ટીએમસી સરકારે પશ્ચિમ બંગાળમાં પોતાના શાસનનાં 10 વર્ષમાં કન્યાશ્રી જેવી અનેક યોજનાઓ લાગુ કરી છે, જેના દુનિયાભરમાં વખાણ થયાં છે. મહિલા અને છોકરીઓને આ યોજનાનો ઘણો લાભ મળ્યો છે."
તેમનું કહેવું છે કે મહિલા સુરક્ષાના મુદ્દા પર અમારે ભાજપના કોઈ પ્રમાણપત્રની જરૂર નથી.
પાંજા કહે છે, "ઘણી સરકારો માત્ર મહિલા સશક્તીકરણની વાતો જ કરે છે. પણ રાજ્ય સરકારે તેને અમલમાં મૂકી છે. ગ્રામ પંચાયતો સુધી મહિલાઓની ભાગીદારી વધી છે."
ટીએમસીના વરિષ્ઠ નેતા સાંસદ સૌગત રૉય કહે છે, "ભાજપશાસિત રાજ્યોમાં મહિલાઓની સ્થિતિ કોઈથી છૂપી નથી. માટે પાર્ટીને કમસે કમ મહિલા સુરક્ષાના મુદ્દા પર બોલવા કે સરકારની આલોચના કરવાનો કોઈ હક નથી."
વર્ષ 2016ની ચૂંટણીમાં મમતા બેનરજીના સમર્થન બાદ સરકારે મહિલાઓના હિતમાં કન્યાશ્રી અને રૂપશ્રી જેવી યોજનાઓ શરૂ કરી હતી. જેના હેઠળ છોકરીઓને શિક્ષણ અને લગ્ન માટે આર્થિક સહાય આપવામાં આવે છે.
ભાજપે પણ મહિલાઓને ખૂબ રીઝવ્યાં
બીજી તરફ મહિલાઓમાં પગપેસારાને વધુ મજબૂત કરવા માટે ભાજપ કોઈ કસર છોડતો નથી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હાલની પોતાની મુલાકાતમાં પ્રદેશ નેતૃત્વને દરેક બૂથ સમિતિમાં કમસે કમ ચાર મહિલાઓને સામેલ કરવાનું કહ્યું હતું.
આ સાથે જ ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના અને કિસાન સન્માન નિધિ, આયુષ્યમાન ભારત જેવી યોજનાઓનો પ્રચાર કરાઈ રહ્યો છે અને સાથે જ મમતા બેનરજી સરકાર પર કેન્દ્રીય યોજનાઓને લાગુ કરવાની વચ્ચે રોડાં નાખવાનો આરોપ લગાવાઈ રહ્યો છે.
સરકારી આંકડાઓ અનુસાર, રાજ્યમાં ઉજ્જવલા યોજના હેઠળ અત્યાર સુધીમાં 89 લાખ કનેક્શન આપવામાં આવે છે. તેમાં 40 ટકા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારોને મળ્યાં છે.
કેન્દ્રીય નેતાઓ અને મંત્રીઓ મમતા બેનરજી પર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સાડા ચાર હજાર કરોડની રકમ જાહેર નહીં કરવાનો આરોપ લગાવે છે.
ગેસની કિંમતોમાં વૃદ્ધિનો વિરોધ
https://www.youtube.com/watch?v=E4CxzNpPwK0&t=3s
પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ કહે છે, "સરકારે પૈસા જાહેર કર્યા નથી એટલે આ યોજનાનું કામ ધીમું પડી ગયું છે."
પણ ટીએમસીના મહાસચિવ અને સંસદીય કાર્યમંત્રી પાર્થ ચેટરજી તેને નિરાધાર ગણાવતા ઊલટો દાવો કરે છે કે કેન્દ્ર સરકારની વિભિન્ન બાબતોમાં રાજ્યના 85 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ બાકી છે.
મુખ્ય મંત્રી મમતા બેનરજીએ હાલમાં સિલગુડીમાં તેલ અને રસોઈ ગેસની કિંમતોમાં વૃદ્ધિના વિરોધમાં ચાર કિમી લાંબી પદયાત્રા કરી હતી.
મમતાનું કહેતું હતું, "રાજ્ય સરકાર ચોખા તો મફતમાં આપી રહી છે. પણ તેને પકવવા માટે લોકોએ નવસો રૂપિયાનો ગેસ સિલિન્ડર ખરીદવો પડશે. આ રકમ ક્યાંથી આવશે?"
ભાજપે પોતાના ચૂંટણી અભિયાનમાં મહિલાઓની સુરક્ષા અને તસ્કરીને મુખ્ય મુદ્દા બનાવ્યા છે. તે મહિલાઓ સામે વધતા ગુના અને આદિવાસી વિસ્તારમાં મહિલાઓની તસ્કરીના મુદ્દે પણ ટીએમસી સરકારને ઘેરવામાં જોતરાયેલી છે.
પ્રદેશ ભાજપ મહિલા મોરચાનાં પ્રમુખ અગ્રિમિત્રા પૉલનું કહેવું છે, "મહિલાઓને પર બળાત્કાર અને અન્ય અપરાધોમાં વૃદ્ધિથી ખબર પડે છે કે પશ્ચિમ બંગાળમાં હવે મહિલાઓ સુરક્ષિત નથી. મહિલા મુખ્ય મંત્રી હોવા છતાં સરકાર મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ રહી છે."
ટીએમસી નેતા પાર્થ સચિવનો દાવો છે કે નેશનલ ક્રાઇમ રિકૉર્ડ્સ બ્યૂરો (એનસીઆરબી)ના ગત વર્ષના આંકડાઓથી સ્પષ્ટ છે કે રાજ્યમાં મહિલાઓ સામેના અપરાધોમાં ઘટાડો થયો છે."
પણ ભાજપ નેતા અગ્રિમિત્રા આરોપ લગાવે છે, "રાજ્ય સરકાર એનસીઆરબીના આંકડા જ મોકલતી નથી."
ટીએમસીને વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં 42માંથી 17 સીટ પર એટલે કે 41 ટકા મહિલાઓને ટિકિટ આપી હતી, જ્યારે વર્ષ 2016ની વિધાનસભા ચૂંટણીમાં મહિલા ઉમેદવારોની સંખ્યા 45 હતી.
ભાજપે ગત વિધાનસભા ચૂંટણીમાં 31 મહિલાઓને મેદાનમાં ઉતાર્યાં હતાં. ટીએમસીએ આ વખતે 50 મહિલાઓને ટિકિટ આપી છે, ભાજપની સંપૂર્ણ સૂચિ હજુ સુધી આવી નથી.
મહિલાઓ માટે મમતાની યોજના
હાલનાં વર્ષોમાં મમતા બેનરજીએ તમામ યોજનાઓ શરૂ કરવાની સાથે મહિલા ડિગ્રી કૉલેજ અને વિશ્વવિદ્યાલયની પણ સ્થાપના કરી છે.
મહિલા મતદારોમાં ટીએમસીના ઘટતા જનાધાર પર અંકુશ લગાવવવા માટે ટીએમસીના નેતા મહિલા કલ્યાણ માટે બનેલી તમામ યોજનાઓનો મોટા પાયે પ્રચાર કરી રહ્યા છે.
ગત વર્ષે રાજ્ય સરકારની દસ વર્ષનાં કામકાજ પર જાહેર પુસ્તિકાને પણ રાજ્યમાં ઘરેઘરે વહેંચાઈ છે.
સરકારી આંકડાઓ અનુસાર, બાળવિવાહ રોકવા અને છોકરીઓમાં શિક્ષણને વધારવા માટેના હેતુથી શરૂ કરેલી કન્યાશ્રી યોજના હેઠળ અત્યાર સુધીમાં 67.29 લાખ છોકરીઓને લાભ મળ્યો છે.
આ યોજના પર અત્યાર સુધીમાં 6,720 કરોડ રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે. એ જ રીતે લગ્નપ્રસંગમાં છોકરીઓને એકસામટા 25 હજારની સહાયતા દેનારી રૂપશ્રી યોજનાનો અત્યાર સુધીમાં 65 લાખ યુવતીઓને મળ્યો છે અને તેના પર 1,629 કરોડ રૂપિયા ખર્ચાયા છે.
રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને સ્કૂલે આવવા-જવા માટે સાઇકલ આપતી સબૂજ સાથી યોજના હેઠળ અત્યાર સુધીમાં 2,700 કરોડ રૂપિયાવાળી યોજના થકી એક કરોડથી વધુ સાઇકલો અપાઈ ચૂકી છે.
હાલમાં શરૂ સ્વાસ્થ્ય સાથી યોજના હેઠળ 1.4 કરોડ પરિવારોનાં સૌથી વૃદ્ધ મહિલાના નામે કાર્ડ જાહેર કરાયાં છે.
https://www.youtube.com/watch?v=lmO5tot_w9M&t=2s
રાજ્યમંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્ય કહે છે "પરિવારની મહિલાના નામે સ્વાસ્થ્ય સાથી કાર્ડ જાહેર કરીને મમતાએ તેમને સન્માન આપ્યું છે અને આર્થિક-સામાજિક રૂપે સશક્ત કરી છ.ે આ યોજના હેઠળ મહિલાઓને મુખ્ય ગણીને તેમના નામે કાર્ડ જાહેર કર્યાં છે."
આ યોજના હેઠળ રાજ્યની સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં પાંચ લાખ રૂપિયા સુધી મફતમાં સારવાર થઈ શકશે.
ભટ્ટાચાર્ય કહે છે કે આ યોજનાના માધ્યમથી પિતૃસત્તાત્મક માનસિકતાને તોડવા જેવું સાહસિક પગલું મમતા જ ઉઠાવી શકે છે.
જોકે ભાજપ નેતા અગ્રિમિત્રા પણ માને છે કે કન્યાશ્રી અને રૂપશ્રી જેવી યોજનાઓ સારી છે.
તેમનું કહેવું છે, "ગ્રામીણ વિસ્તારોમાં સારી સ્કૂલોની કમી છે. સ્કૂલોમાં ન તો શૌચાલય છે અને ન તો શિક્ષકો. એવામાં મમતા બેનરજી તરફથી સબૂજ સાથી યોજના હેઠળ અપાયેલી સાઇકલનો શું ઉપયોગ છે? રાજ્યમાં મહિલાઓ માટે રોજગારની તકો પણ બહુ ઓછી છે."
સમાજશાસ્ત્રી અને મહિલા કાર્યકર કનુપ્રિયા ગોસ્વામી કહે છે, "મહિલાઓ હાલમાં તમામ વિકલ્પો પર વિચારી રહી છે. તેમના માટે સામાજિક અને આર્થિક સુરક્ષા અને અપરાધમુક્ત માહોલ પ્રાથમિકતા છે. એવામાં તેમની કસોટી પર જે પાર્ટી ખરી ઊતરશે, આ જૂથ તેનું સમર્થન કરશે."
- બૅન્ક હડતાલ : સરકારી બૅન્કોના ખાનગીકરણથી સમસ્યાઓ ઉકેલાઈ જશે ?
- પાકિસ્તાન : 12 વર્ષની બાળકીને પરાણે મુસ્લિમ બનાવી લગ્ન કરવાની કહાણી
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=Pu8EvOYe5jo
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો