ભારત માટે મોદી અને રાહુલનું વિઝન શું છે?
નવી દિલ્હી, 28 ઓક્ટોબર : ભારતમાં લોકસભા ચૂંટણી 2014ના રંગમાં રાજકીય પાર્ટીઓ સાથે જનતા પણ જોડાઇ ગઇ છે. જનતાએ એક તરફ પોતાની રીતે લેખાજોખા શરૂ કરી દીધા છે. બીજી તરફ રાજકીય પક્ષો પોતાના દાવ પેચ અજમાવી રહ્યા છે ત્યારે સમગ્ર દેશમાં ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને શહેઝાદા રાહુલ ગાંધી વચ્ચેની રસાકસી જોવામાં સૌને રસ પડી રહ્યો છે.
લોકો આ બંને નેતાઓના ભાષણની તુલના કરી રહ્યા છે. બંને પોતાની રીતે વિકાસ, ગરીબી, મોંઘવારી, રોજગારી જેવા હ્યદયસ્પર્થી મુદ્દાઓને લાગણીસભર રીતે લોકો સમક્ષ રજૂ કરી રહ્યા છે. અહીં પ્રશ્ન એ છે કે લોકોમા મનને બહેલાવી, બ્રેઇન વોશ કરી મતોને પોતાની ઝોળીમાં નાખવા માટે તૈયાર કરવાની પાર્ટી અને તેમના નેતાઓની ગડમથલ ચાલી રહી છે. આ સમયે ભારતને એક મજબૂત રાષ્ટ્ર તરીકે વિકસાવવાની અને આગળ વધારવા અંગે નેતાઓનું વિઝન શું છે તે જાણવું પણ મહત્વનું છે.
આ મુદ્દે નરેન્દ્ર મોદીનું ભાષણ સાંભળો કે રાહુલ ગાંધીનું ભાષણ સાંભળો; બંનેના ભાષણોમાં ભારત નિર્માણ સંબંધિત દ્રષ્ટી એટલે કે વિઝનની માત્રા નહીંવત જોવા મળી છે. એત તરફ રાહુલ ગાંધી પોતાની રેલીઓમાં પોતાની કોંગ્રેસ સરકારની ઉપલબ્ધિઓ ગણાવી રહ્યા હોય છે તો બીજી તરફ નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકાર અને તેમના વિરોધીઓની ખામીઓ ગણાવી રહ્યા છે.

મોદી - રાહુલ શેની વાત કરે છે?
નરેન્દ્ર મોદી :
કોંગ્રેસ પરિવાર અને તેમના 60 વર્ષના શાસનની નિષ્ફળતાઓ ગણાવે છે. બીજી તરફ ગુજરાતમાં તેમના શાસનમાં થયેલા વિકાસ અને લોકોની પ્રગતિની વાત જનતાના ગળે ઉતારવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
રાહુલ ગાંધી :
કોંગ્રેસની આગેવાનીવાળી કેન્દ્રની યુપીએ સરકારની મનરેગા, અન્ન સુરક્ષા બિલ, જમીન સંપાદન બિલ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન અને રાઇટ ટુ એજ્યુકેશન જેવી યોજનાઓના અમલીકરણની વાત કરી રહ્યા છે.

આમાં ભારતનું વિઝન ક્યાં છે?
નરેન્દ્ર મોદી :
અવાર નવાર રાષ્ટ્રવાદનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. તેઓ પીએમ બનવાના છે તેવી ઇમેજ સાથે વર્તમાન સરકારને નકારી દેવાની અપીલ કરી રહ્યા છે. આ માટેના કારણ આગાળ ધરી રહ્યા છે, પણ ભારત માટેના ચોક્કસ વિઝનનો અભાવ છે.
રાહુલ ગાંધી :
રાહુલ ગાંધી પાસેથી પહેલેથી ભારત માટે કોઇ પ્રકારનું વિઝન નથી. તેઓ આ વખતે પોતાના પરિવાર, દાદી, પિતાજીના બલિદાનની વાતો કરી રહ્યા છે.

ઇન્ડિયા વિઝન કેમ ગાયબ?
નરેન્દ્ર મોદી :
મોદીનો પ્રશ્ન છે તો તેઓ પોતાની રીતે લોકોને આકર્ષી રહ્યા છે. આ માટે તેમણે કેટલા મુદ્દા પસંદ કર્યા છે જેની રજૂઆત તેઓ કરી રહ્યા છે. તેઓ ખાસ કરીને કોંગ્રેસીઓને ફસાવવા માંગતા હોવાથી તેમના ભાષણમાં ભારતનું વિઝન બહુ દેખાતુ નથી.
રાહુલ ગાંધી :
રાહુલ ગાંધીએ આ વખતે પોતાના ભાષણોમાં સીધે સીધા નરેન્દ્ર મોદીને નિશાન બનાવવાનું ટાળ્યું છે જો કે તેઓ ટીકા ટિપ્પણીઓમાંથી બહાર આવી રહ્યા નથી અને તેના કારણે પોતાની પાર્ટીને જ સંકટમાં મૂકી રહ્યા છે. જેના કારણે ભારતના વિઝનનો અભાવ દેખાય છે.

સમસ્યાઓ ગણાવાય છે, સમાધાન બતાવાતું નથી
નરેન્દ્ર મોદી :
પોતાના ભાષણોમાં વિરોધીઓની સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યોને લીધે કેવી સમસ્યાઓ ઉભી થઇ છે તેની વિગતો ચોક્કસ આપે છે પરંતું તેનો ઉકેલ પોતે કેવી રીતે લાવવા માંગે છે તે અંગેનું ચોક્કસ વિઝન દર્શાવતા નથી.
રાહુલ ગાંધી :
રાહુલ ગાંધી દેશાટન કરીને હજી તો લોકોને શું સમસ્યાઓ નડી રહી છે તેને જાણવાનો પ્રયાસ કરી રહયા છે, ત્યારે તેને દૂર કરવા અંગે વિચારવાની વાત બાજુએ રહી જાય છે.

જનતાની અપેક્ષાઓ શું છે?
આ વખતની લોકસભા ચૂંટણીઓમાં મુખ્ય બાબતો ભારતને વૈશ્વિક સ્તરે વધારે આગળ કેવી રીતે લાવી શકાય, આ માટે તેની આર્થિક નીતિઓ, મોંઘવારી અને ભ્રષ્ટાચારને નાથવા નવી રચાનારી સરકાર શું કરવાની છે? ઉપરાંત વીજળી, પાણી, મકાન અને રોજગાર જેવા પ્રાથમિક અધિકારો પૂરા પાડવા પાર્ટીઓ શું કરવા માંગે છે તે સાંભળવાની અપેક્ષા જનતા રાખી રહી છે જેનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે.












Click it and Unblock the Notifications
