એ દિવસો દૂર નથી જ્યારે મંદિરોમાં પૂજાશે મહાત્મા!
અમદાવાદ, 30 જાન્યુઆરી : શું ભગવાન રામ અવતર્યા હતાં? શું હકીકતમાં ભગવાન કૃષ્ણ આપણી આ જ ભારત ભૂમિએ મહાભારતના યુદ્ધમાં અર્જુનના સારથી બન્યા હતાં? આપણી પૌરાણિક માન્યતાઓને લઈને સામાન્ય રીતે આવા પ્રકારના પ્રશ્નો ઊભા થતા હોય છે. ઉત્તર જે કઈં હોય, પણ જ્યાં સુધી આસ્થાનો પ્રશ્ન છે, તો દરેક સામાન્ય હિન્દુ ધર્માવલમ્બી આંખો બંધ કરી આ વાતનો સ્વીકાર કરે છે અને માને છે. રામ અને કૃષ્ણ તેના પરમ આદર્શ છે. તેમના અસ્તિત્વને લઈને સવાલો કેટલાંય ઊભા કરવામાં આવે, પરંતુ તેમના આદર્શો અને ઉપદેશો આજેય અજર-અમર છે અને દરેક સારો માણસ તેવા આદર્શો અને ઉપદેશો મુજબ ચાલવાનો પ્રયત્ન કરે છે.
ભારતીય ધર્મ-સંસ્કૃતિના આ મહાપુરુષોને આજે એટલા માટે યાદ કરવા પડ્યાં, કારણ કે આજે ધર્મ-આદર્શ-અહિંસા અને શાંતિના એવા જ એક પનોતા પુત્ર રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની જન્મ જયંતી છે.
જો જો રખે ચૂકતા... અહીં હું મહાત્મા ગાંધીની સરખામણી કૃષ્ણ કે રામ સાથે કરવાનો પ્રયત્ન નથી કરી રહ્યો, પરંતુ ગાંધીજીનું જીવન પણ આ મહાપુરુષોની જેમ સમાજ માટે સંદેશ છોડી જાય છે. કહેવાનો મતલબ એ છે કે મહાત્મા ગાંધીને યુગપુરુષની સંજ્ઞા તો ઘણા અરસા પહેલાં આપી દેવાઈ છે, પરંતુ હવે એ દિવસો દૂર નથી, જ્યારે આ મહામાનવ જન-જનમાં રામ અને કૃષ્ણની જેમ પુજાશે. આજના દિવસે ભલે આ વાત અપ્રાસંગિક લાગતી હોય. એવું લાગવું સ્વાભાવિક પણ છે, કારણ કે ભગવાન રામ અને કૃષ્ણને પણ તેમના અવતરણ વખતે સામાન્ય પ્રજાએ ભગવાન તરીકે સ્વીકાર્યા નહોતાં. જો એવું થયુ હોત, તો ના રામાયણની રચના થઈ હોત અને ના મહાભારતની.
કહે છે કે વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક આઇંસ્ટાઇને મહાત્મા ગાંધીને મહાન ચામત્કારિક વ્યક્તિત્વ ગણાવ્યા હતાં. એટલું જ નહિં આઇઁસ્ટાઇનનું કહેવું હતું કે આવનારી પેઢીઓ ભાગ્યે જ આ વાતનો વિશ્વાસ કરશે કે એવા હાડ-માંસનો કોઈ માણસ હકીકતમાં વીસમી સદીમાં આ ધરતી ઉપર વિચરણ કરતો હતો. આઇંસ્ટાઇનનું આ કથન વિશ્વના પરિપ્રેક્ષ્યમાં તો સચોટ બેસે જ છે, પરંતુ ભારતીય પરિપ્રેક્ષ્ય આ કથન આ મહામાનવને ઈશ્વરત્વ તરફ લઈ જનારો જ સાબિત થશે.
આ એ જ ભારત છે કે જેણે પૌરાણિક રામ અને કૃષ્ણને જ નહિં, પણ ઐતિહાસિક સંતો-મહાત્માઓ, દેશભક્તો અને માનવ જીવન પ્રત્યે સમસ્ત અર્પણ કરનારાઓને ઈશ્વરનો દરજ્જો આપ્યો છે. પછી તે સાઈં બાબા હોય, કબીર, રહીમ, મીરાબાઈ, જલારામ, બાપા સીતારામ હોય કે પછી નરસિંહ મહેતા. એ જ કારણ છે કે આ દેશમાં ઠેર-ઠેર આવા સંતો-મહાત્માઓ અને ધર્માત્માઓના પૂજા સ્થળો કે મંદિરો જોવા મળે છે.
મહાત્મા ગાંધીના સમ્બંધમાં આઇંસ્ટાઇનનું કથન પણ સત્ય જ સિદ્ધ થશે, પરંતુ અત્યારે તેને માટે કેટલીક વધુ પેઢીઓ પસાર થવાનો ઇન્તેજાર કરવો પડશે. જોકે તેની શરુઆત થઈ ગઈ છે ગાંધી કથા તરીકે. ગાંધી કથા એ જ વાતનો સંકેત કરે છે કે હવે ગાંધીના જીવન સંદેશને પણ રામાયણ અને ભાગવત ગીતાની જેમ કથા તરીકે શ્રવણ કરી શકાય છે.
પોરબંદરમાં મહાત્મા ગાંધીના જન્મ સ્થળને કીર્તિ મંદિરમાં ફેરવી દેવાયું. મહાત્મા ગાંધીની પ્રતિમઓ તો સમગ્ર દેશ જ નહિં, વિદેશોમાં પણ ઠેર-ઠેર જોવા મળે છે, પરંતુ કીર્તિ મંદિર પછી મહાત્મા ગાંધીનું કોઈ મંદિર હોય તો કદાચ તે એકમાત્ર ગુજરાતમાં પાટનગર ગાંધીનગર ખાતે છે, જેનું ગુજરાત સરકારે મહાત્મા મંદિર તરીકે નિર્માણ કર્યુ છે. આ તો શરુઆત છે. જે રીતે વિશ્વ અધોગતિ તરફ જઈ રહ્યું છે, તેને જોતા મહાત્મા ગાંધી પણ રામ અને કૃષ્ણની જેમ લોકોને મંદિરોમાંથી પ્રેરણા આપે, એવા દિવસો દૂર નથી.
મહાત્મા ગાંધી હકીકતમાં યુગપરુષ જ હતાં. એ વાત જુદી છે કે વર્તમાન પેઢી તેમને સત્ય-અહિંસાના સિદ્ધાંત સાથે વ્યક્તિગત રીતે એટલી નિસ્બત નથી રાખતી. વારસામાં મળેલ સ્વતંત્ર ભારતમાં વર્તમાન પેઢી આજે ગાંધીના જીવનને માત્ર એક ઇતિહાસ સમજીને વાંચે-સમજે છે. તે ગાંધીના સિદ્ધાંતો પ્રત્યે એટલી સંવેદનશીલ નથી.
એટલું જ નહિં આજની યુવા પેઢીમાં ઘણાં લોકો અમુક કાર્યો માટે ગાંધીજીની ટીકા કરે છે. તેઓ ગાંધીને તેમની ભુલો માટે ગાળો આપતાં પણ નથી ચુકતાં. હકીકતમાં એવા લોકો રામાયણના ધોબી અને મહાભારતના ધૃતરાષ્ટ્ર જ છે. એવા લોકો ગાંધીજીના એક પણ સારા માર્ગે ચાલી બતાવે, પછી તેમની બુરાઈ કરે તો માની શકાય.
ખેર, કોઈ વાત નહિં. ગાંધીજીની ટીકા કરનારાઓને ન સમજાય તો કઈં નહિં, પરંતુ તેમની આવનારી પેઢીઓને ચોક્કસ જ બાપુના બલિદાન અને જીવન સંદેશનો ભાન થશે અને ત્યારે બાપુ મંદિરોમાં પૂજાશે, કારણ કે રામ-કૃષ્ણ સાથે પણ આવું જ થયુ હતું. રામ અને કૃષ્ણને પણ જગતના લોકોએ સારાપણના સર્ટિફિકેટ નહોતો આપ્યો, પરંતુ આજે સમગ્ર જગત તેમને મંદિરોમાં અને ઘટ-ઘટમાં પૂજે છે.