Karnataka Election : કર્ણાટકમાં બીજેપી ડરી ગઈ છે? જાણો કેમ નથી કરી રહી ઉમેદવારોની જાહેરાત?
કર્ણાટકમાં 10 મેંના રોજ વિધાનસભા માટે મતદાન થવાનું છે. મતદાન પહેલા તમામ પાર્ટીઓ મતદારોને પોતાના તરફ ખેંચવાના પ્રયાસો કરી રહી છે તો બીજી તરફ હાલ ઉમેદવારોની પસંદગીને લઈને પણ તમામ પાર્ટીઓમાં ઘમાસાણ ચાલી રહ્યું છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે કર્ણાટકમાં બીજેપીની સ્થિતી બગડી રહી હોવાના અહેવાલો આવી રહ્યા છે. સર્વેમાં પણ કોંગ્રેસને મળતી બહુમતીએ બીજેપીની ઉંઘ ઉડાડી દીધી છે ત્યારે હવે ઉમેદવારોની પસંદગીમાં પણ પાર્ટીને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

કર્ણાટકમાં હજુ સુધી બીજેપી ઉમેદવારોની પ્રથમ યાદી પણ જાહેર નથી કરી શકી. બીજી તરફ કોંગ્રેસ અને જેડીએસ બીજી યાદીને અંતિમ સ્વરૂપ આપી રહી છે. અહેવાલો અનુસાર, બીજેપી હાઈકમાન્ડને આશંકા છે કે નામ જાહેર થયા પછી કોઈ ઉમેદવાર બગાવત કરશે તો પાર્ટીને નુકસાન થઈ શકે છે. કોંગ્રેસે કહ્યું છે કે બીજેપીના ઘણા નેતા તેના સંપર્કમાં છે. ખુદ મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈએ પણ આ આશંકા વ્યક્ત કરી છે. બીજી તરફ ત્રણ એમએલસીએ તો ટિકિટ ન મળતા ભાજપ છોડી દીધું છે. બીજા કેટલાક ધારાસભ્યો પણ આવું કરી શકે છે.
કર્ણાટકમાં ચૂંટણી માટે 13 એપ્રિલ નામાંકન ભરવાની છેલ્લી તારીખ છે. મળતી માહિતી મુજબ 10 કે 11 એપ્રિલ પહેલા ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થવાની શક્યતા નથી. સોમવારે બેંગ્લોરમાં પાર્ટીના જિલ્લા પ્રમુખો સાથે વાતચીત દરમિયાન ભાજપ સંગઠન મહાસચિવ બીએલ સંતોષ સહિત ઘણા વરિષ્ઠ નેતાઓએ કહ્યું છે કે યાદી જાહેર કરવામાં કોઈ ઉતાવળ ન કરાય. કહેવાઈ રહ્યું છે કે, ઉમેદવારોની યાદી જાહેર કરતા પહેલા ભાજપના નેતાઓ કોંગ્રેસ અને જેડીએસના ઉમેદવારોની સંપૂર્ણ યાદી એકવાર જોવા માંગે છે. આ મુજબ ઉમેદવારોના નામ પર અંતિમ મહોર લગાવાશે.
બીજેપીની યાદી જાહેર ન થવા પાછળનું સાચું કારણ એ છે કે ટિકિટ કપાય તે નેતા કોંગ્રેસમાં ન જાય. જો એક પણ ઉમેદવાર આવું કરશે તો વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી હોવાનો દાવો કરનાર ભાજપ મોટી મુશ્કેલીમાં મુકાઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી આ સતત જોવા મળી રહ્યું છે. સોમવારે જ બીજેપીના ત્રીજા એમએલસી અયાનુર મંજુનાથે પાર્ટી છોડવાની જાહેરાત કરી છે. અગાઉ બે વધુ એમએલસી બાબુરાવ ચિંચનસુર અને પુતન્ના બીજેપી છોડીને કોંગ્રેસમાં જોડાયા છે. મંજુનાથ શિવમોગાથી ચૂંટણી લડવાની વાત કરી રહ્યા છે અને તે કોંગ્રેસ સાથે વાતચીત કરી રહ્યા છે.
અહીં તમને જણાવી દઈએ કે, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે હાલમાં જ કહ્યું હતું કે ભાજપ અને જેડીએસના ઘણા નેતાઓ ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાઈ શકે છે. મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈએ પણ કોંગ્રેસ પર પાર્ટીના નેતાઓને તોડવા માટે અભિયાન ચલાવવાનો આરોપ લગાવ્યો છે. અહેવાલો અનુસાર, 2019માં કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલા કેટલાક ધારાસભ્યો પણ તેમની જૂની પાર્ટીના સંપર્કમાં છે. તાજેતરમાં કોંગ્રેસના એક નેતાએ એક અખબારને જણાવ્યું હતું કે ભાજપના કેટલાક મજબૂત નેતાઓ આગામી થોડા દિવસોમાં કોંગ્રેસમાં જોડાઈ શકે છે.












Click it and Unblock the Notifications
