ખરાબ એર ક્વોલિટી વિશે CM ભગવંત માનનું નિવેદન, કહ્યું-માત્ર પંજાબ અને દિલ્હીને લઈને જ સવાલ કેમ?
હાલ દેશમાં દિલ્હીના પ્રદુષણને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. દિવસે દિવસે દિલ્હીની હવા ખરાબ થઈ રહી છે ત્યારે હવે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પરાણી સળગાવવા પર કાબુ મેળવ્યાનો દાવો કર્યો છે.
નવી દિલ્હી : હાલ દેશમાં દિલ્હીના પ્રદુષણને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. દિવસે દિવસે દિલ્હીની હવા ખરાબ થઈ રહી છે ત્યારે હવે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પરાણી સળગાવવા પર કાબુ મેળવ્યાનો દાવો કર્યો છે. ભગવંત માને કહ્યું કે, રાજ્યમાં પ્રદુષણ ઓછુ થયુ છે. આ સિવાય તેમણે ખરાબ એર ક્વોલિટી પર પણ નિવેદન આપ્યુ હતુ.
ભગવંત માને ખરાબ એર ક્વોલિટી વિશે વાત કરતા કહ્યું કે, અમે કેન્દ્રને ભલામણ મોકલી હતી પરંતુ તેમણે તેના પર ધ્યાન ન આપ્યું. માત્ર દિલ્હી અને પંજાબને લઈને જ સવાલો કેમ ઉઠાવવામાં આવે છે? ભગવંત માને કહ્યું કે, હરિયાણા અને રાજસ્થાનના ઘણા શહેરો પણ ખરાબ AQI નો રિપોર્ટ કરી રહ્યા છે, કેન્દ્ર શા માટે આ રાજ્યોની પૂછપરછ નથી કરી રહ્યું? મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, અમારી સરકારે ખેડૂતોને પરાળી ન સળગાવવા માટે પ્રોત્સાહિત કર્યા છે.
ભગવંત માને આગળ કહ્યું કે, પંજાબ સરકારે ઘણા સમય પહેલા કમિશન ફોર એર ક્વોલિટી ઈન્ડેક્સને પરાળી સળગાવવાની સમસ્યાનું સમાધાન આપ્યુ હતુ કે, પંજાબના ખેડૂતોને 1500 રૂપિયા કેન્દ્ર, 500 રૂપિયા દિલ્હી સરકાર અને 500 રૂપિયા પંજાબ સરકાર તરફથી આર્થિક સહાયતા આપવામાં આવશે. પરાળીનો ઉપયોગ અન્ય વસ્તુઓ અને બાયો એનર્જી માટે પણ કરવામાં આવી શકે છે.
મુખ્યમંત્રી ભગવંત માને આરોપ લગાવ્યો કે, કેન્દ્ર સરકાર નથી ઈચ્છતી કે પંજાબના ખેડૂતો આગળ વધે. આ માટે પંજાબના ખેડૂતોને બદનામ કરવામાં આવી રહ્યા છે.