જાંબાઝ, જિંદાદિલ પૂર્વ એટીએસ ચીફ હિમાંશુ રૉયે કેમ કરી આત્મહત્યા
મહારાષ્ટ્રના પૂર્વ એટીએસ ચીફ હિંમાંશુ રૉયે આત્મહત્યા કરી લીધી છે. તેમણે પોતાની કારમાં સર્વિસ રિવોલ્વરથી પોતાને ગોળી મારી દીધી. હિમાંશુ રૉયની ઓળખ એક જાંબાઝ, દિલેર, જિંદાદિલ પોલિસ અધિકારી તરીકેની હતી.
મહારાષ્ટ્રના પૂર્વ એટીએસ ચીફ હિંમાંશુ રૉયે આત્મહત્યા કરી લીધી છે. તેમણે પોતાની કારમાં સર્વિસ રિવોલ્વરથી પોતાને ગોળી મારી દીધી. હિમાંશુ રૉયની ઓળખ એક જાંબાઝ, દિલેર અને જિંદાદિલ પોલિસ અધિકારી તરીકેની હતી. હિમાંશુ રૉયને તેમની સ્ટાઈલ માટે 'સુપરકોપ' પણ કહેવામાં આવતા હતા. આઈપીએલ સ્પોટ ફિક્સિંગ મામલો હોય કે પછી પત્રકાર જેડે હત્યાકાંડ હોય, તેમણે આવા ઘણા મોટા કેસો પર કામ કર્યુ છે અને તેને પૂરા પણ કર્યા છે. આટલા મોટા મોટા કેસો પર કામ કરનારા આ જાંબાઝ પોલિસ અધિકારીના અચાનક આત્મહત્યાના સમાચારથી દરેક જણ અચંબિત થઈ ગયા. દરેકના મનમાં એક જ સવાલ છે કે તેમણે અચાનક કેમ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી.
કેન્સર પીડિત હતા હિમાંશુ રૉય
જાણકારી મુજબ હિમાંશુ રૉય બ્લડ કેન્સરની બિમારીથી પીડિત હતા. તેમની કીમોથેરેપી ચાલી રહી હતી. બિમારીના કારણે હિમાંશુ રૉય વર્ષ 2016 થી ઓફિસ જતા નહોતા. તે લાંબી રજા પર હતા. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે લાંબી બિમારીના કારણે તેઓ ખૂબ ડિપ્રેશનમાં હતા. શંકા જતાવવામાં આવી રહી છે કે આ કારણે જ તેમણે આ પગલુ ભર્યુ છે.
તેઓ એક શાનદાર પોલિસ ઓફિસર હતા: રાજદીપ સરદેસાઈ
વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈ જે તેમના ક્લાસમેટ રહી ચૂક્યા છે તેમણે હિમાંશુ રૉય વિશે જણાવ્યુ કે તેઓ એક શાનદાર પોલિસ અધિકારી હતા. એક પોલિસ અધિકારી તરીકે તેઓ પોતાની જવાબદારીઓ નિભાવવાનું અને કોઈ મુશ્કેલ કેસને ક્રેક કરવાના કામને એન્જોય કરતા હતા. એટીએસ ચીફની જવાબદારી પરથી દૂર થયા બાદ છેલ્લા બે વર્ષથી તેઓ કેન્સરથી પીડિત હતા અને ત્યારથી તેઓ લાંબી રજા પર હતા.
“બિમારી બાદ ડિપ્રેશનમાં જતા રહ્યા હતા”
આ ઘટનાના સમાચાર સાંભળ્યા બાદ તેમના ઘરે પહોંચેલા પૂર્વ પોલિસ કમિશ્નર એમએન સિંહે જણાવ્યુ કે કેન્સરની બિમારી બાદ તે ડિપ્રેશનમાં જતા રહ્યા હતા અને કોઈની સાથે મળતા નહોતા. એમએન સિંહે પોલિસ ઓફિસરોના કામકાજના પ્રેશરને ઓછુ કરવા માટે નીતિ નિર્માતાઓને વિચાર કરવા જણાવ્યુ છે. તેમણે કહ્યું કે પોલિસ અધિકારીઓ પર કામનું એટલુ દબાણ હોય છે કે તેઓ ડિપ્રેશનમાં જતા રહે છે અને બિમારીઓના શિકાર બની જાય છે. તેમણે કહ્યુ કે ફિલ્ડમાં કામ કરતા પોલિસ અધિકારીઓને જબરદસ્તીથી રજા પર મોકલી દેવા જોઈએ જેથી તેઓ રિલેક્સ થઈને ફરીથી તરોતાજા થઈ શકે. હિમાંશુ રૉયના મૃત્યુને તેમણે સમાજ અને પોલિસ માટે એક મોટી ખોટ ગણાવી.
અપર પોલિસ મહાસંચાલકની જવાબદારી સંભાળતા હતા
હિમાંશુ રૉય અપર પોલિસ મહાસંચાલકની જવાબદારી સંભાળી રહ્યા હતા. તે મહારાષ્ટ્ર કેડરના આઈપીએસ અધિકારી હતા. આ પહેલા તે રાજ્ય આતંકવાદ વિરોધી દળના પ્રમુખ હતા. તેમણે મુંબઈ સહિત રાજ્યના ઘણા શહેરોમાં કામ કર્યુ હતુ. અચાનક તેમની આત્મહત્યાના સમાચારથી સમગ્ર પોલિસદળ શોકમાં છે.