શું પંજાબ સરકારના કાર્યોથી સમાજનો કમજોર વર્ગ ખુશ છે?
શું પંજાબ સરકારના કાર્યોથી સમાજનો કમજોર વર્ગ ખુશ છે?
આમ આદમી પાર્ટીએ દિલ્હી બાદ પંજાબમાં પોતાની સરકાર બનાવી અને ત્યારથી જ જનકલ્યાણલક્ષી કાર્યો કરવાં શરૂ કરી દીધાં તેમાં ખાસ કરીને સમાજના કમજોર વર્ગ પર પંજાબની આમ આદમી પાર્ટી સરકારે ખાસ ભાર આપ્યો છે. સમાજના કમજોર વર્ગોને નાણાકીય સહાયતા પ્રદાન કરવા અને તેમને પોતાનું ઘર બનાવવામાં મદદરૂપ થવા પંજાબ સરકારે પંજાબ શહેરી આવાસ યોજના પણ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યનો કોઈપણ આર્થિક કમજોર પરિવાર પીએમએવાઈ પોર્ટલના માધ્યમથી આ યોજના માટે આસાનીથી રજિસ્ટ્રેશન કરાવી શકે છે. પંજાબ શહેરો આવાસ યોજના અંતર્ગત 3 લાખ રૂપિયા કે તેનાથી ઓછી વાર્ષિક આવકવાળા વ્યક્તિઓને પહેલાં મકાન આપવામાં આવશે. જો તેમની આવક વાર્ષિક 3 લાખ રૂપિયાથી વધુ હોય પરંતુ 5 લાખ રૂપિયાથી ઓછી હોય તો તમને બીજા તબક્કામાં મકાન ફાળવવામાં આવશે. આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ સંબંધિત વ્યક્તિઓને મફતમાં ઘર આપવામાં આવે છે. આ યોજનાને વધુ કુશળ બનાવવા માટે પંજાબ સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના સાથે જોડાણ કર્યું છે. પંજાબ શહેરી આવાસ યોજના પંજાબ રાજ્ય શહેરી આજીવિકા મિશનનો એક અભિન્ન અંગ છે.
બધાને નથી મળતી આ સહાય
સરકારની સહાયતાથી મકાન મેળવવા માટે યોગ્યતા વિશે વાત કરીએ તો તમે પંજાબના નિવાસી હોવા જોઈએ, તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. તમે કે તમારા પરિવારમાં કોઈ વ્યક્તિ સરકારી કર્મચારી ના હોવા જોઈએ, આ યોજના માટે પાત્ર થવા માટે તમે પછાત વર્ગના હોવા જોઈએ. યોજના માટે અરજી કરતા પહેલાં તમારી પાસે જાતિ પ્રમાણપત્ર હોય તે જરૂરી છે.
નોંધનીય છે કે પંજાબ શહેરી આવાસ યોજનાના માધ્યમથી પંજાબ સરકારે રાજ્યના અનેક ગરીબ પરિવારોને છત અપાવી છે. રિપોર્ટ મુજબ રપંજાબ સરકારે 96283 ઘરને મંજૂરી આપી હતી જેમાંથી 28446 ઘર પહેલેથી જ પૂરાં થઈ ચૂક્યાં છે અને બાકીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આગલા તબક્કા માટે પંજાબ સરકારે 1.5 લાખ ઘરનો ટાર્ગેટ રાખ્યો છે.
પંજાબ સરકારે પોતાના નાગરિકોને મુશ્કેલીઓમાંથી બહાર કાઢવા માટે અનેક યોજનાઓ લાગૂ કરવામાં આવે છે, આ યોજનાઓના માધ્યમથી નાગરિકોનું જીવનધોરણ સુધર્યું છે. ગુજરાત સહિતના રાજ્યોમાં હવે લોકો આમ આદમી પાર્ટીને મહત્વ આપતા થયા છે. આ વર્ષે ડિસેમ્બરમાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી છે અને આમ આદમી પાર્ટી પણ તમામ 182 સીટ પર ચૂંટણી લડી રહી છે, ત્યારે જોવાનું એ રહ્યું કે આમ આદમી પાર્ટીએ પંજાબ અને દિલ્હીમાં કરેલાં કાર્યોની ગુજરાતની જનતા નોંધ લેશે કે કેમ? શું સમાજનો કમજોર વર્ગ આમ આદમી પાર્ટીનાં કાર્યોને ધ્યાનમાં લઈ મતદાન કરશે ખરા? આ સવાલોનો જવાબ આગામી 8 ડિસેમ્બરના રોજ મળી જશે. જો કે આમ આદમી પાર્ટીના કાર્યકરોને તેમની સરકારોએ કરેલા કાર્યોથી સંતોષ છે અને તેમનું માનવું છે કે "જનતા અમને સાથસહકાર આપશે કેમ કે અમે જનતાનો ખરો વિકાસ કર્યો છે, અમે જરૂરી સેવાઓ પૂરી પાડી છે."