કાળા નાણાની તપાસ ઝડપથી આગળ વધારાશે : જજ એમ બી શાહ
અમદાવાદ, 28 મે : કાળા નાણાને ભારત પાછા લાવવાના મામલે રચવામાં આવેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ના વડા તરીકે નિયુક્ત સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ એમ બી શાહે કહ્યું છે કે આ મામલામાં અનેક પ્રકારની જટિલતાઓ રહેલી છે, પણ તપાસ ઝડપી થશે એની હું ખાતરું આપું છું.
નરેન્દ્ર મોદી કેબિનેટની ગઈ કાલે મળેલી તેની પ્રથમ બેઠકમાં કાળા નાણાંને બહાર લાવવા માટે શાહના વડપણ હેઠળ SITની રચનાની જાહેરાત કરી હતી.
જસ્ટિસ (નિવૃત્ત) શાહે કહ્યું કે આ કેસમાં અનેક જટિલતાઓ રહેલી છે, પણ મારે કઈ જટિલતાઓનો સામનો કરવો પડશે તે હાલને તબક્કે કહેવું મારે માટે મુશ્કેલ છે, પણ હું શક્ય એટલી વહેલી તકે તેને ઉકેલવાનો પ્રયત્ન કરીશ.
તપાસ પંચો કે તપાસ સમિતિઓના અહેવાલો સુપરત કરવામાં વિલંબ થવાની ભૂતકાળમાં બનેલી અનેક ઘટનાઓ વિશે આ ભૂતપૂર્વ જજે કહ્યું કે હું મારું કામ શક્ય એટલી વહેલી તકે પૂરું કરવાનો પ્રયત્ન કરીશ। હું ઓડિશા અને ગોવામાં કાચા લોખંડની ગેરકાયદેસર ખાણ અંગેની તપાસ સમિતિનો અધ્યક્ષ હતો અને મેં તપાસ શરૂ કર્યાના બે મહિનામાં જ મારો પહેલો વચગાળાનો રિપોર્ટ સુપરત કરી દીધો હતો. ત્યારે છ મહિનાની અંદર ગોવામાં રિપોર્ટ સુપરત કર્યો હતો અને બીજા છ મહિનામાં ઓડિશામાં બીજો રિપોર્ટ આપી દીધેલો. તેથી હું ખાતરી આપું છું કે કાળા નાણા વિશેની તપાસમાં હું મારું કામ વહેલામાં વહેલી તકે પૂરું કરી શકીશ.
શાહે એમ પણ કહ્યું કે વિદેશની બેન્કોમાં કાળું નાણું જમા કર્યું હોવાનું માલૂમ પડશે એવા કોઈ પણ મોટા નેતાઓ કે કોર્પોરેટ હસ્તીઓ સામે હું કડક રીતે પગલાં લઈશ. મેં હાઈ કોર્ટના જજ તરીકે 15 વર્ષ કામ કર્યું છે અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટના જજ તરીકે પાંચ વર્ષ કામ કર્યું હતું. હું હસ્તીઓની ચિંતા કરતો નથી અને મને અડવાની કોઈનામાં હિંમત નથી.