ભવાનીપુરમાં મમતા બેનર્જી સામે ભાજપના ઉમેદવાર હશે શુભેન્દુ અધિકારી?
પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે સોમવારે કહ્યું કે ભાજપના ધારાસભ્ય અને વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી આગામી વિધાનસભા પેટાચૂંટણીમાં ભવાનીપુરથી મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે ચૂંટણી લડશે નહીં. ઘોષે મેદિનીપુરમાં મીડિયાકર્મીઓને જણાવ્યું હતું કે પાર્ટીને હજુ સુધી તેના ઉમેદવાર નક્કી કરવાનું કામ બાકી છે.
ઘોષનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તાજેતરમાં પશ્ચિમ બંગાળના નાદિયામાં શુભેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી મમતા બેનર્જી વિશે નિવેદન આપતાં કહ્યું હતું કે, તમને નંદીગ્રામ આવવાનું કોણે કહ્યું હતું, હવે જો પાર્ટી મને ભવાનીપુરથી ચૂંટણી લડવા કહે તો શું થશે? મેં તેમને 1956 મતોથી હરાવ્યા છે.
ઘોષે કહ્યું કે, શુભેન્દુ નહીં પરંતુ અન્ય કોઈ ભવાનીપુરથી ચૂંટણી લડશે. શુભેન્દુ અધિકારી મમતાને પહેલેથી જ હરાવી ચૂક્યા છે. એક વ્યક્તિ તેમને વારંવાર શા માટે હરાવે? આ વખતે કોઈ અન્ય કરશે. ઘોષે કહ્યું કે તેમનો પક્ષ ભવાનીપુરમાં પેટાચૂંટણી યોજવાના ચૂંટણી પંચના પગલા સામે કોલકાતા હાઈકોર્ટમાં જવાનો વિકલ્પ શોધી રહ્યો છે અને ભાજપ આ બાબતે કાનૂની અભિપ્રાય માંગી શકે છે.
ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળની બે વિધાનસભા બેઠકો અને ઓડિશાની એક બેઠક પર 30 સપ્ટેમ્બરે ચૂંટણી યોજવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે અને પશ્ચિમ બંગાળમાં ભવાનીપુર બેઠક પણ આ બેઠકોમાંથી એક છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે અને તેમના માટે મુખ્યમંત્રી પદ પર રહેવા માટે ચૂંટણી જીતવી જરૂરી છે.



Click it and Unblock the Notifications

