Pics : અને બિહારના રાજકુમારી દેવી ‘કિસાન ચાચી’ બની ગયાં
ગાંધીનગર, 10 સપ્ટેમ્બર : બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના આનંદપુર ગામના આધેડ મહિલા રાજકુમાર દેવીએ લગ્ન બાદ ઘરમાં બેસી રહેવાને બદલે પોતાના ત્રણ એકરના ખેતર સાથે જીવનને જોડી દીધું. સજીવ ખેતીના સહારે ખેતર અને પાકની સતત માવજતને કારણે તેમણે ઉગાડેલા ફળો અને શાકભાજી બિહારભરમાં જ્યાં કૃષિ મેળા યોજાય ત્યાં પુરસ્કાર પ્રાપ્ત કરવા લાગ્યા. અન્ય ખેડૂતોને આશ્ચર્ય થયું કે આ મહિલા શુ જાદુગીરી કરે છે. સફળ ખેતીના પાઠ શીખવા ખેડૂતો સતત રાજકુમારી દેવીને પૂછતા રહ્યા. ખેડૂતો રાજકુમારી દેવીને ચાચી કહીને સંબોધવા લાગ્યા. જોતજોતામાં તેઓ રાજકુમારી દેવીમાંથી ‘કિસાન ચાચી' બની ગયા. તેઓ પોતાની કોઠા સુઝ, સજીવ ખેતીનો સહારો અને પ્રગતિશીલ અભિગમના સહારે પ્રગતિશીલ મહિલા ખેડૂત બની ગયા અને બિહાર સરકારે તેમને કિસાનશ્રીના પુરસ્કારનું સન્માન આપી રૂ. એક લાખ રોકડા અને પ્રશસ્તિપત્ર આપ્યું. સમગ્ર બિહાર રાજ્યના ૩૮ જિલ્લામાં તેઓ એક માત્ર મહિલા ખેડૂત છે જેને આ પુરસ્કાર પ્રાપ્ત થયો હોય.
ગાંધીનગર ખાતે યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ એગ્રીકલ્ચર સમીટ-૨૦૧૩માં ભાગ લેવા મહાત્મા મંદિર પહોંચેલા કિસાન ચાચીએ મુખ્યમંત્રી નરેન્દ્ મોદી સાથે મુલાકાત કરી પોતે બનાવેલા અથાણાની ભેટ આપી ત્યારે કૃષિ પેદાશોમાં પ્રોસેસીંગ દ્વારા મૂલ્યવર્ધન કરીને સમૃદ્ધ બનેલા કિસાન ચાચીની સાફલ્યગાથા સાંભળીને મુખ્યમંત્રી પણ પ્રભાવિત થયા.
કિસાન ચાચી સતત કંઇક નવું કરવાની ઘેલછા ધરાવે છે. બિહારમાં જ્યાં કૃષિ મેળો યોજાય ત્યાં પોતાના કૃષિપાક લઇને પ્રદર્શનમાં હાજર થઇ જાય. કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં જઇને નવા કૃષિ સંશોધનો અને કૃષિ માર્ગદર્શન મેળવે. તેમની એકજ ધૂન હતી. ગરીબી રેખા હેઠળની પોતાની દશાને સુધારવા કૃષિ જ્ઞાનની મદદથી નવી દિશાને શોધવાની. રાજ્ય સરકારે તેમને સ્વસહાય જૂથ બનાવવા વર્ષ ૨૦૦૨માં સહાય આપી. તેમણે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા માર્ગદર્શન મેળવ્યું અને રૂ. ૧૫૦ની મૂડી સાથે સ્વસહાય જૂથ દ્વારા મહિલાઓને સાથે લઇને કૃષિ પાકમા મૂલ્ય વર્ધન શરૂ કર્યું. કેરી, આમળા, સૂરણ વગેરે કૃષિપાકોના અથાણા બનાવ્યા, જમરૂખ, લીચી જેવા ફળોના જ્યૂસ બનાવ્યા, કેરી અને આમળાનો મૂરબ્બો બનાવ્યો. સૂરણને સૂકવીને લોટ બનાવ્યો.તેની સેવ બનાવી. બટેકાની વેફર બનાવી. કૃષિ પાકોમાં જેમ જેમ મૂલ્યવર્ધન થતું ગયું તેમ તેમ સફળતા પણ મળતી ગઇ.
આવો તસવીરો સાથે જાણીએ કિસાન ચાચી અંગે વધુ વિગતો :
ભારત ભ્રમણે કિસાન ચાચી
આજે અન્ય મૂલ્યવર્ધિત પેદાશો સાથે અથાણાને લઇને કિસાન ચાચી ભારત ભ્રમણ કરી રહ્યા છે અને પોતાના ઉત્પાદનો વેચતા રહ્યા છે. તેઓ કહે છે, ‘ હું પહેલાં બીપીએલ હતી. ગરીબ હતી. હવે હું ગરીબ નથી. આખા દેશમાં મારા ઉત્પાદનો વેંચું છું. હવે આમળાની જરૂર પડે તો બિહારના નાના આમળાને બદલે ઉત્તર પ્રદેશમાંથી મોટા આમળાનો ટ્રક મંગાવું છું.'
પતિ-સંતાનો પણ કરે છે મદદ
આ પ્રગતિશીલ મહિલા ખેડૂતને આ અભિગમથી માત્ર પૈસા જ નથી મળ્યા નવી દૃષ્ટિ મળી છે. નવી હિંમત મળી છે..અને એટલે જ તેમના પગલે બીજી મહિલાઓ મહેનત કરવા પ્રેરિત થઇ છે. કિસાનચાચી આ મહિલાઓ માટે પ્રેરણા સ્રોત બની ગયા છે. .આજે સ્વસહાય જૂથની એક હજાર જેટલી મહિલાઓ તેમની સાથે કૃષિ પાક્માં મૂલ્યવર્ધનનું કામ કરે છે.તેમની સફળતાથી પ્રેરાઇને અન્ય ખેડૂતો માર્ગદર્શન મેળવવા તેમની પાસે પહોંચી જાય છે. આ કારણથી જ વર્ષ ૨૦૦૭થી તેમણે પોતાના ખેતરમાં જ ‘કિસાન પાઠશાળા' શરૂ કરી છે. તેમાં તેમના પતિ અવધેશકુમાર ચૌધરી ઉપરાંત તેમના સંતાનો પણ મદદ કરે છે.
મેળે મેળે જાય છે કિસાન ચાચી
કિસાન ચાચી આજે સજીવ ખેતી કરે છે એટલું જ નહીં ભારતભરમાં જ્યાં કૃષિમેળા યોજાય ત્યાં કૃષિ જ્ઞાન મેળવવા દોડી જાય છે. ગુજરાતની સમીટ પૂર્ણ થયા બાદ તેઓ પંજાબ અને ત્યાંથી દિલ્હી જશે. ફરી પાછા ગુજરાતમાં ૨૬ સપ્ટેમ્બરે વડોદરા ખાતે યોજાનારા કૃષિ મેળામાં ભાગ લેવા આવશે.
ફરે તે ચરે
આ રઝળપાટ શા માટે આવા પ્રશ્નનો જવાબ આપતા તેઓ કહે છે. સતત ફરતી રહેવાના કારણે કૃષિના નવતર પરિવર્તનો જાણવા મળે છે. નવું નવું શીખવાનું મળે છે. અને જ્યાં જાઉં ત્યાં વેપાર પણ થાય છે. આમદાની અચ્છી મીલ રહી હૈ..એવું તેઓ બેધડક કહે છે. મહિલાઓને કારણે જ ખેતી સમૃદ્ધ છે તો પછી મહિલાઓ શા માટે આગળ નથી આવતી એવું કહીને મહિલાઓને જાગૃત કરવા તેઓ પ્રયાસો કરે છે.
મહિલા હોવા છતાં ઘણું કર્યું
રાજકુમારી દેવી કહે છે, ‘ હું મહિલા હતી એટલે લોકો કહેતા કે હું શું કરી શકીશ.. આજે આટલી સફળ થઇ છું તો લોકો પણ માનવા લાગ્યા છે કે મહિલા પણ ઉત્તમ કામ કરી શકે છે.'તેમની વાત સાચી છે. તેઓ જાત મહેનત અને સતત માર્ગદર્શનને કારણે સફળ મહિલા ખેડૂત જ નથી બન્યા અન્ય મહિલાઓ માટે પ્રેરણામૂર્તિ પણ બન્યા છે. કિસાનચાચી આ અર્થમાં કૃષિજ્ઞાનના ચાચી બની ગયા છે.