કોંગ્રેસમાં શામેલ થવાની જગ્યાએ કુવામાં કુદવાનુ પસંદ કરીશ: નીતિન ગડકરી
કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા નીતિન ગડકરીએ તાજેતરમાં એક કાર્યક્રમમાં રાજનીતિ સાથે સંબંધિત એક રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો. હકીકતમાં, તેમને કોંગ્રેસમાં જોડાવાની સલાહ એક રાજકારણીએ આપી હતી. જેના જવાબમાં તેમણે કહ્યું કે તે કોંગ્રેસના સભ્ય બનવા કરતાં કૂવામાં કૂદીને મરી જશે.
શુક્રવારે મહારાષ્ટ્રના ભંડારામાં નરેન્દ્ર મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થવા પર એક સભાને સંબોધતા નીતિન ગડકરીએ તેમના શરૂઆતના દિવસોને યાદ કર્યા અને પાર્ટીની યાત્રા વિશે ઘણી બાબતો શેર કરી. તેમણે કોંગ્રેસના દિવંગત નેતા શ્રીકાંત જિચકરે આપેલી સલાહને પણ યાદ કરી હતી.

ગડકરીએ કહ્યું કે જિચકરે મને એકવાર કહ્યું હતું કે તમે પાર્ટીના ખૂબ સારા કાર્યકર અને નેતા છો. જો તમે કોંગ્રેસમાં જોડાશો તો તમારું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ હશે, પરંતુ મેં તેમને કહ્યું હતું કે હું કોંગ્રેસમાં જોડાવા કરતાં કૂવામાં કૂદી પડીશ, કારણ કે મને ભાજપ અને તેની વિચારધારામાં અતૂટ વિશ્વાસ છે અને હું તેના માટે કામ કરવા માંગુ છું.
સભાને સંબોધતા નીતિન ગડકરીએ કહ્યું કે, કોંગ્રેસના 60 વર્ષના શાસનની સરખામણીએ ભાજપ સરકારે છેલ્લા નવ વર્ષમાં દેશમાં બમણું કામ કર્યું છે. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માટે કામ કરતી વખતે યુવા વયે તેમનામાં મૂલ્યો કેળવવા બદલ સંઘની પ્રશંસા પણ કરી હતી.
કોંગ્રેસ પર નિશાન સાધતા ગડકરીએ કોંગ્રેસ વિશે કહ્યું કે, પાર્ટીની રચના થઈ ત્યારથી તે ઘણી વખત વિભાજિત થઈ છે. તેમણે કહ્યું કે આપણે આપણા દેશના લોકતંત્રના ઈતિહાસને ભૂલવો ન જોઈએ. આપણે ભવિષ્ય માટે ભૂતકાળમાંથી શીખવું જોઈએ. કોંગ્રેસે પોતાના 60 વર્ષના શાસન દરમિયાન 'ગરીબી હટાઓ'નું સૂત્ર આપ્યું, પરંતુ પોતાના અંગત ફાયદા માટે તેણે ઘણી શૈક્ષણિક સંસ્થાઓ ખોલી.
નીતિન ગડકરીએ ભારતને આર્થિક મહાસત્તા બનાવવાના તેમના વિઝન માટે પીએમ મોદીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે દેશનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ છે. કોંગ્રેસ તેના 60 વર્ષના શાસનમાં જે કામ કરી શકી નથી તેના કરતાં ભાજપ સરકારે છેલ્લા 9 વર્ષમાં બમણું કામ કર્યું છે.












Click it and Unblock the Notifications
