પંજાબ કોંગ્રેસમાં યાદવાસ્થળી, સિદ્ધુના રાજીનામાં બાદ કોંગ્રેસમાં 3 જૂથ!
પંજાબ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહ્યી છે પરંતુ પંજાબ કોંગ્રેસ ચૂંટણીની તૈયારીઓથી દૂર આંતરિક વિખવાદો ઉકેલવામાં વ્યસ્ત છે. કોંગ્રેસ હાઈકમાન્ડે ક્યારેય વિચાર્યું ન હતું કે પંજાબમાં અચાનક આવી સ્થિતિ ઉભી થશે.
ચંદીગઢ, 29 સપ્ટેમ્બર : પંજાબ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહ્યી છે પરંતુ પંજાબ કોંગ્રેસ ચૂંટણીની તૈયારીઓથી દૂર આંતરિક વિખવાદો ઉકેલવામાં વ્યસ્ત છે. કોંગ્રેસ હાઈકમાન્ડે ક્યારેય વિચાર્યું ન હતું કે પંજાબમાં અચાનક આવી સ્થિતિ ઉભી થશે. પંજાબમાં કોંગ્રેસ હવે ત્રણ જૂથોમાં વહેંચાઈ ગઈ છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહનું એક જૂથ છે, બીજુ જૂથ નવજોત સિંહ સિદ્ધુનું છે અને ત્રીજુ જૂથ નવનિયુક્ત મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીનું છે. અચાનક પંજાબ કોંગ્રેસમાં આટલી બધી જૂથવાદ થશે તેની પાર્ટી હાઈકમાન્ડે કલ્પના પણ કરી ન હતી.
પંજાબ કોંગ્રેસમાં મોટો જૂથવાદ
પંજાબમાં ચરણજીત સિંહ ચન્નીને સીએન બનાવવાની ઘટનાને રાજકીય વિશ્લેષકોએ માસ્ટર સ્ટ્રોક ગણાવ્યો હતો. કારણ કે પંજાબમાં 32 ટકા દલિત મતદારો છે. મોટાભાગના રાજકીય પક્ષો આ વર્ગો સુધી પહોંચવાના પ્રયાસમાં રોકાયેલા હતા. ત્યારે કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી, શિરોમણી અકાલી દળ અને બહુજન સમાજ પાર્ટી જેવા રાજકીય પક્ષોના મુદ્દાને પકડીને દલિત ચહેરાને મુખ્યમંત્રી બનાવીને રાજકીય મેદાનને મજબૂત બનાવવાનું શરૂ કર્યું હતું. કારણ કે મોટા ભાગના રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં દલિત કાર્ડનો ઉપયોગ કરીને વોટ બેંક મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ચરણજીત સિંહ ચન્ની સીએમ બન્યા બાદ કોંગ્રેસ પાર્ટીના ટોચના નેતાઓ તેને પ્રશંસનીય પગલું ગણાવી રહ્યા હતા. પરંતુ નવજોત સિંહ સિદ્ધુનાં રાજીનામાથી પંજાબ કોંગ્રેસમાં હલચલ મચી ગઈ છે, સાથે જ કોંગ્રેસ મોટા જૂથવાદનો શિકાર બની છે.
પ્રેસર બનાવવા સિદ્ધુએ રાજીનામું આપ્યું
પંજાબના રાજકીય વિશ્લેષકના જણાવ્યા અનુસાર, નવજોત સિંહ સિદ્ધુ હાલ વિલનના રૂપમાં છે. તે જ સમયે નવા નિમાયેલા સીએમ ચરણજીત સિંહ ચન્ની વિશે રાજકીય કોરિડોરમાં હલચલ છે કે તે રબર સ્ટેમ્પ સીએમ જેવું કામ કરવા માંગતા નથી. આથી જ સીએમ ચન્ની કોંગ્રેસ હાઈકમાન્ડને વિશ્વાસમાં લઈને સ્વતંત્ર નિર્ણયો લઈ રહ્યા છે. નવજોત સિંહ સિદ્ધુનું તેમની સામે કંઈ ચાલી રહ્યું નથી. આથી નવજોત સિંહ સિદ્ધુએ દબાણ ઉભું કરવા પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની ચાલ ચાલી છે.
કોંગ્રેસ નેતૃત્વની મજાક
પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુનીલ જાખરે નવજોત સિંહ સિદ્ધુના રાજીનામા બાદ કહ્યું કે, આ માત્ર ક્રિકેટ નથી. પંજાબમાં કોંગ્રેસના રાજ્ય નેતૃત્વમાં વિશ્વાસ રાખવા માટે જ પક્ષમાં ફેરફારો કરવામાં આવ્યા છે. તેમણે નવજોત સિંહ સિદ્ધુ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે, નવજોત સિંહ સિદ્ધુના આ નિર્ણયને કોઈ યોગ્ય ઠેરવી શકે નહીં. સુનીલ જાખરે કહ્યું કે, પાર્ટીનું ટોચનું નેતૃત્વ પણ નવજોત સિંહ સિદ્ધુને રાજકીય સમજણ, સંતુલન, વિશ્વાસ જાળવવાની ક્ષમતા જેવા પ્રશ્નો કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, નવજોત સિંહ સિદ્ધુએ આ રીતે રાજીનામું આપતાં કોંગ્રેસનું ટોચનું નેતૃત્વ મજાકનું પાત્ર બની રહ્યું છે.
બયાનબાજી કરી કેપ્ટન હાઈકમાન્ડને ડરાવી રહ્યાં છે
કેપ્ટન અમરિંદર સિંહે ભલે પંજાબના સીએમ પદેથી રાજીનામું આપી દીધું હોય પરંતુ તે સતત કોંગ્રેસ હાઈકમાન્ડ અને નવજોત સિંહ સિદ્ધુને ડરાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કેપ્ટન અમરિંદર સિંહની સાથે કેટલાક સાંસદો, ધારાસભ્યો, પંજાબ કોંગ્રેસના કાર્યકરો અને કેટલાક ચહેરાઓ કે જે કેપ્ટન સરકારના સમયમાં મંત્રી હતા અને સિદ્ધુના વિરોધમાં છે તે તમામ કેપ્ટન સાથે છે. રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે એક બાજુ કેપ્ટન છે અને બીજી બાજુ કોંગ્રેસ છે. જો કેપ્ટન અમરિંદર સિંહ નવી પાર્ટી રચે છે, તો તેમને આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી નહીં મળે પરંતુ સત્તા કોંગ્રેસના હાથમાંથી અન્ય કોઈ રાજકીય પક્ષને સરકી જશે. સૂત્રોનું માનીએ તો મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, કોંગ્રેસ પાર્ટીના પ્રભારી હરીશ રાવત અને કોંગ્રેસ હાઇકમાન્ડ નવજોત સિંહ સિદ્ધુને મનાવવામાં વ્યસ્ત છે.
કોંગ્રેસ વિપક્ષને તક આપી રહી છે
જો ચૂંટણી રણનીતિકારોની વાત માનીએ તો પંજાબ કોંગ્રેસમાં બનેલી રમત બગડી ગઈ છે. આગામી વિધાનસભાની ચૂંટણી સુધી બધુ ઠીક રહેશે તે કહેવું મુશ્કેલ છે. પંજાબમાં કોંગ્રેસ પાર્ટીએ પહેલા ગંભીરતાથી આત્મનિરીક્ષણ કરવું જોઈએ. કારણ કે વિપક્ષી પાર્ટીઓને કોંગ્રેસને નિશાન બનાવવાની તક મળે છે. આ પરિસ્થિતિ ખુદ કોંગ્રેસી નેતાઓએ સર્જી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલાક રાજ્યોમાં બનેલી ઘટનાઓમાંથી કોંગ્રેસીઓ બોધપાઠ લઈ રહ્યા નથી. અત્યારે પાર્ટીએ એકજૂટ થવાની અને વિધાનસભાની ચૂંટણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, જો આ કરવામાં નહીં આવે તો પંજાબમાં કોંગ્રેસનું મેદાન સરકતું જણાય છે.