કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે કર્યું રોજિયા વંથલી રોડ માઇનોર બ્રિજનું લોકાર્પણ
Jamnagar: જામનગર જિલ્લામાં જામવંથલી રોડ પર રોજિયા વંથલીના રસ્તે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજી પટેલ દ્વારા માઇનોર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ગ્રામજનોની રજૂઆત અને સુવિધાને ધ્યાનમાં રાખીને માઇનોર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યુ છે, જેના થકી જામવંથલી તથા આજુબાજુના ગ્રામજનોની મુશ્કેલીઓનો અંત આવ્યો છે.
મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ચોમાસાના સમય દરમિયાન આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાવાની સ્મસ્યા હવે નહી રહે. વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે સરકારની વિવિધ યોજનાઓ અમલમાં છે. સૌની યોજના થકી ચોમાસા સિવાય પણ નદીનાળાઓ ભરેલા રહે છે. જેના થકી ખેડૂતોને ખેતીમાં ફાયદો થાય છે.

મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ડબલ એન્જિન સરકાર થકી લોકોને ઘર આંગણે સવલતો મળી રહી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા જે વડાપ્રધાન મોદીની ગેરેન્ટી વાળી ગાડીથી ઓળખાય છે, તેના થકી છેવાડાના માનવીને સરકારી યોજનાઓની સમજુતી આપી લાભો એનાયત કરવામાં આવી રહ્યા છે. આજે નાનામાં નાના વિસ્તારમાં પણ લોકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહી છે.
રોજિયા વંથલી રોડ પર મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ૧૨ મીટરના ૫ ગાળાના માઈનોર બ્રિજનું રૂ.૨કરોડ ૧૩લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યુ છે. જેના થકી રોજિયા, વંથલી તથા આજુબાજુના ગામોને અને ગામના વાડી વિસ્તારના લોકો અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં લાભ મળી રહે છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરચર, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ પ્રવિણા ચભાડીયા, જિલ્લા ભાજપ મહામંત્રી કુમારપાળસીંહ રાણા, તાલુકા પંચાયતના પ્રમુખ કાંતિ દુધાગરા, અગ્રણીઓ, આજુબાજુના ગામમાંથી પધારેલા સરપંચો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
