108 બની દેવદૂત, મહિલાને અડધો કિમી સુધી સ્ટ્રેચર પર ઉંચકી એમ્બ્યુલન્સમાં કરાઈ સફળ પ્રસુતિ
Jamnagar News : ગુજરાત સરકારના માતા અને બાળ મરણ દર ઘટાડવાના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખી જામનગર 108 ની ટીમ અતિ સરાહનીય કામગીરી કરી રહી છે. ગુજરાત સરકાર અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસ સંચાલિત 108 ઈમરજન્સી સેવા સમગ્ર રાજ્યમાં અનેક વખત લોકોના જીવ બચાવી દેવદૂત સાબિત થઈ છે, ત્યારે આ ઈમરજન્સી સેવાએ આજે ફરી એક વખત દેવદુત સાબિત થઇ છે.
નોંધનીય છે કે, 108 ઈમરજન્સી સેવા લાલપુર તાલુકાના માનપર ગામના વાડી વિસ્તારની મહિલા તથા નવજાત શીશુનો જીવ બચાવી તેઓના પરિવાર માટે આશીર્વાદરૂપ બની છે.

મળતી માહિતી પ્રમાણે લાલપુર તાલુકાના માનપર ગામના વાડી વિસ્તારમાં રહેતા પ્રસુતા રમિલાબેનને પ્રસવપીડા થઇ રહી હતી, જે કારણે તેઓના પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો. જેથી તાત્કાલિક નજીકની 108 એમ્બ્યુલન્સ દર્દી સુધી પહોંચવા નિકળી હતી, પરતું દુર્ગમ વિસ્તાર હોવાના કારણે એમ્બ્યુલન્સ દર્દીના ઘર સુધી પહોચી શકે તેમ ન હતી.
સમગ્ર પરિસ્થિતની ગંભીરતા ધ્યાનમાં રાખીને એમ્બ્યુલન્સના EMT રવિના તથા પાયલોટ અરજણ રાડાએ ક્ષણભરનો પણ વિલંબ કર્યા વગર સ્ટ્રેચર સાથે પ્રસુતાના ઘરે પહોચ્યા હતા અને અડધો કિલોમિટર જેટલું અંતર પગપાળા ચાલી મહિલાને સ્ટ્રેચર પર જ એમ્બ્યુલન્સ સુધી લાવ્યાં હતા અને માર્ગ પર એમ્બ્યુલન્સમાં જ રમિલાબેનની સફળ પ્રસુતિ કરાવી માતા તથા નવજાત શિશુનો જીવ બચાવ્યો હતો.
જે બાદ વધુ સારવાર અર્થે માતા તથા નવજાત બાળકને એમ્બ્યુલન્સના પાયલોટ તથા EMT દ્વારા લાલપુર આરોગ્ય કેન્દ્ર ખાતે હેમખેમ પહોંચાડી દેવદૂતની ભૂમિકા અદા કરી હતી. 108 ની આ પ્રસંશનીય કામગીરીને પ્રસુતાના પરિવારજનો તથા સ્થાનિક રહેવાસીઓએ બિરદાવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.












Click it and Unblock the Notifications
