'હેલિકોપ્ટર ડીલ: આરોપો સાચા હશે તો ડીલ રદ થશે'
એ કે એંટનીએ વિશ્વાસ અપાવ્યો હતો કે જો તપાસ રિપોર્ટ આવ્યા બાદ ગરબડ જોવા મળશે અને આરોપો સાબિત થશે તો ગુનેગારોને છોડવામાં નહી આવે. એ કે એંટનીએ ભાર પૂર્વક કહ્યું હતું કે કંઇપણ કાર્યવાહી કરતાં પહેલાં આપને સીબીઆઇ તપાસના રિપોર્ટની રાહ જોવી જોઇએ. તેમને કહ્યું હતું કે તપાસનો રિપોર્ટ આવ્યા બાદ આરોપો સાચા ઠરશે તો કંપનીને બ્લેકલિસ્ટ કરી ડીલ રદ કરવામાં આવી શકે છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે એક સમાચાર પત્રએ આ જાણકારી આપી છે કે ઇટલીની તપાસ એજન્સીઓએ આરોપો લગાવ્યા છે કે અગસ્તા વેસ્ટલેંડ હેલિકોપ્ટરોના સોદામાં પૂર્વ સેના પ્રમુખ એસ પી ત્યાગીને લાંચ આપવામાં આવી છે આ અંગે તેમને કહ્યું હતું કે મને કોઇ જાણકારી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલે ફિનમેક્કેનિકાના સીઇઓ ગિસેપ ઓર્સીની પહેલાં જ ધરપકડ કરવામાં આવી છે. આ અંગેનો ખુલાસો થતાં જ ભારતની રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો. શંકા એ પણ છે કે તે ભારત સરકારને ફિનમેકેનિકાની સહાયક કંપની અગસ્તાવેસ્ટલેંડ દ્રારા નિર્મિત 12 હેલિકોપ્ટર વેચવાના સંબંધમાં લાંચ આપવાના મુદ્દે સામેલ છે. એજન્સીના અનુસાર ફરિયાદપક્ષને સંદેહ છે કે 'અગસ્તાવેસ્ટલેંડ'ને સોદો અપાવવા માટે લગભગ પાંચ કરોડ યૂરો (લગભગ 362 કરોડ રૂપિયા) સોદાની 10 ટકા રકમ લાંચરૂપે આપવામાં આવી છે.