ગેંગ રેપના 2 વર્ષ બાદ શું હતી નિર્ભયાના માતા પિતાની હાલત?
નિર્ભયા ગેેગરેપની ઘટનાને ચાર વર્ષ પૂરાં થઇ ચૂક્યાં છે. આ ઘટનાના બે વાર્ષ બાદ વનઇન્ડિયાના રિપોર્ટરે પીડિતાના પરિવારની મુલાકાત લીધી હતી. પીડિતાના પરિવારજનોએ આ કપરો સમય કઇ રીતે કાઢ્યો, તે અહીં વાંચો.
માતા પિતાની લાડલી, ઘરની સૌથી મોટી દીકરી, જવાબદારીને સમજતી અને બહુ જલ્દી પોતાની કારકિર્દી શરૂ કરીને પરિવારનો એકમાત્ર સહારો બનવા જઇ રહેલી નિર્ભયાનો 16 ડિસેમ્બર, 2012માં ચાલુ બસમાં ગેંગરેપ થયાના થોડા જ દિવસોમાં તેનું અવસાન થયું. આ ઘટનાને 4 વર્ષ પૂરા થઇ ચૂક્યાં છે. આ ઘટનાના બે વાર્ષ બાદ વનઇન્ડિયાના રિપોર્ટરે પીડિતાના પરિવારની મુલાકાત લીધી હતી. પીડિતાના પરિવારજનોએ આ કપરો સમય કઇ રીતે કાઢ્યો, તે અહીં વાંચો એ રિપોર્ટરના જ શબ્દોમાં..
'આ કમકમાટીભરી ઘટનાને ના તો દેશ ભૂલાવી શક્યો છે અને ના તો નિર્ભયાના પરિવારજનો. નિર્ભયાના પરિવારજનો આજે પણ તેને વાત વાત પર યાદ કરે છે. માતાના આંસુ બંધ થવાનું નામ લેતા નથી એટલે ના છુટકે પિતાએ પોતાના આંસુને છુપાવવાનો પ્રયત્ન કરવો પડે છે. વનઇન્ડિયાની રિપોર્ટર તરીકે જ્યારે હું નિર્ભયાના ઘરે પહોંચી ત્યારે મને ગમગીન માહોલ જ જોવા મળ્યો.
વાત કરતા કરતા નિર્ભયાના કુટુંબીજનોની આંખોમાં આંસુ છલકાઇ આવતા હતા. તેના પિતાએ આંખોમાં નમી સાથે પ્રશ્નોના જવાબ આપ્યા, જ્યારે માતા વાતચીતને વચમાં જ છોડીને અંદર ચાલ્યા ગયા. તેના બંને ભાઇ એકટીસે જોઇ રહ્યા હતા. તેઓ જવાબ તો શું, સવાલ પણ સાંભળવા ઇચ્છતા ન હતા. આ કારણે વનઇન્ડિયાના સવાલોની પોટલી સંપૂર્ણ રીતે ખોલવામાં આવી નથી. કારણ કે કોઇની ભાવનાઓને ઠેસ પહોંચાડીને પેજવ્યુઝના ઢગલા કરવા એ નૈતિકતાની વિરુદ્ધ લાગે છે.'
અહીં અમે એવા કેટલાક પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે જે આપ ચોક્કસથી વાંચવા ઇચ્છશો...

1
વનઇન્ડિયા : 16 ડિસેમ્બરની કમનસીબ ઘટના માટે આપ કોને જવાબદાર ગણો છો?
નિર્ભયાની માતા : મારી દીકરી સાથે જે બન્યું તે ખોટું બન્યું હતું, પણ આ ઘટનાએ સંસારની આંખો ખોલી દીધી. જનાક્રોશને પગલે કાયદા તો સુધર્યા પણ તંત્રમાં કોઇ બદલાવ આવ્યો નથી. જેના કારણે પરિસ્થિતિ બદલાઇ નથી. આજ સુધી મારી દીકરીના હત્યારાઓને સજા મળી નથી. મને આ તંત્ર પર દરેક ક્ષણે ગુસ્સો આવે છે.

2
વનઇન્ડિયા : મહિલાઓ સાથે વધેલા દુરાચાર માટે કોણ જવાબદાર છે?
નિર્ભયાના પિતા : નિર્ભયાની સાથે જે થયું, ત્યાર પછી પણ મહિલાઓ સાથે જે દુરુચાર થાય છે તેના માટે માત્ર તંત્ર જવાબદાર છે. સિસ્ટમની ખામીને કારણે મારી દીકરીના હત્યારાઓ હજી પણ જેલમાં જ છે. તેમને સજા મળી શકી નથી. આવી સ્થિતિને કારણે જ લોકોના મનમાં કાયદાનો ભય રહેતો નથી. આ કારણે જ દેશમાં બળાત્કારની ઘટનાઓ વધી રહી છે.

3
વનઇન્ડિયા : આવી ઘટનાઓને કેવી રીતે રોકી શકાય?
નિર્ભયાની માતા : આવી ઘટનાઓ ત્યારે જ અટકશે જ્યારે લોકોના મનમાં કાયદાનો ભય ઉભો થશે. આ કાયદામાં એવી સજાની જોગવાઇ હોવી જોઇએ જેને સાંભળીને અપરાધી મન ધરાવતી વ્યક્તિઓ પીછેહઠ કરે.

4
વનઇન્ડિયા : નિર્ભયાના અપરાધીઓને સંભળાવવામાં આવેલી સજાથી આપ સંતુષ્ટ છો?
નિર્ભયાની માતા : સજા તો સંભળાવી દેવામાં આવી છે, પણ મારી દીકરીના હત્યારાઓ આજે પણ જેલમાં બંધ છે. મને ન્યાય વ્યવસ્થા પર પૂરો વિશ્વાસ છે, પણ દોષિતોને સંભળાવવામાં આવેલી સજાથી સંતુષ્ટ નથી. મને સંતોષ ત્યારે જ થશે જ્યારે તેમને ફાંસી અપાશે.

5
વનઇન્ડિયા : નિર્ભયાની ઘટના બાદ લોકો પોતાની દીકરીઓને દિલ્હી મોકલતા ડરે છે, આપ શું કહેવા માંગો છો?
નિર્ભયાના પિતા : જ્યારે મારી દીકરી સાથે આ ઘટના ઘટી ત્યારે હું પણ ગભરાઇ ગયો હતો. પરંતુ સરકાર અને ન્યાય વ્યવસ્થાના આશ્વાસનને કારણે મારામાં હિંમત આવી. હું પણ હિંમત બતાવવાની વાત કરવા લાગ્યો. પણ જે રીતે મહિલાઓ સામે અપરાધિક ગુના વધ્યા છે તે જોતા કોઇ પણ પિતા દીકરીને દિલ્હી મોકલશે નહીં. દીકરીઓ ક્યાંય સુરક્ષિત નથી.

6
વનઇન્ડિયા : રેપનો શિકાર બનેલી દીકરીનું દર્દ સમગ્ર પરિવારે ભોગવવું પડે છે એવું આપ માનો છો?
નિર્ભયાના પિતા : જે છોકરીનો રેપ થાય છે, તેનું દર્દ સમગ્ર પરિવારને પહોંચે છે. પહેલા રિપિસ્ટ છોકરીઓને ચૂંથે છે, પછી પોલીસના સવાલો પણ રેપ સમાન હોય છે. કેસ કોર્ટમાં પહોંચે છે ત્યારે વકીલોના સવાલો પણ તે ઘટનાને ફરી અંજામ આપતા હોય તેવા હોય છે, જેની પીડિતા પર ગંભીર અસર પડે છે. એટલું જ નહીં, સમાજમાં દરેકની નજર પછી એ છોકરીનો રેપ કરે છે. આ દર્દ સામે પીડિતાનો પરિવાર ઝઝુમતો રહે છે. બધા જાણતા હોય છે કે છોકરીની કોઇ ભૂલ નથી, છતાં બધા તેના ચરિત્ર સામે સવાલ ઉભા કરે છે.

7
વનઇન્ડિયા : સમાજની કુંઠિત માનસિકતા દૂર કરવા શું કરવું જોઇએ?
નિર્ભયાના પિતા : સમાજની કુંઠિત માનસિકતા દૂર કરવા અભિયાન ચલાવવાની જરૂર છે. બહાર જ નહીં પણ લોકોની અંદરની ગંદકી પણ સાફ કરવાની જરૂર છે.

8
વનઇન્ડિયા : મહિલાઓ સામે થતા અપરાધ માટે પોલીસ કેટલી જવાબદાર છે?
નિર્ભયાના પિતા : મારી દીકરી સાથે જે થયું ત્યાર બાદ મને લાગે છે કે આવી ઘટનાઓ માટે સંપૂર્ણ રીતે પોલીસ પણ જવાબદાર નથી. પોલીસ પોતાનું કામ કરે છે, પણ અદાલતમાં જઇને કેસ અટકી પડે છે. ન્યાયમાં થતા વિલંબને કારણે અપરાધીઓમાં કાયદાનો ભય ખતમ થઇ જાય છે.

9
વનઇન્ડિયા : નિર્ભયા કાંડ બાદ કાયદો બદલાયો, પણ અપરાધો ચાલુ રહ્યા છે, આપ શું કહેશો?
નિર્ભયાની માતા : કાયદા બદલવાથી કશું થતું નથી, તેનો કડક અમલ જરૂરી છે. લોકોમાં કાયદાનો ભય રહ્યો નથી. જે દિવસે લોકોમાં કાયદા પ્રત્યે ભય પેદા થશે ત્યારે અપરાધ આપો આપ ઘટી જશે

10
વનઇન્ડિયા : રેપની ઘટનાઓ માટે લોકો છોકરીઓના પહેરવેશને દોષિત ગણે છે, આપ કેટલા સહમત છો?
નિર્ભયાના પિતા : શું જિન્સ અને ટીશર્ટ પહેરનારી છોકરીઓ સાથે જ રેપ થાય છે?, સાડી અને સલવાર સૂટ પહેનનારી બહેનો સાથે પણ રેપ થાય છે, હું આ વાત સાથે બિલકુલ સહેમત નથી કે છોકરીઓના પહેરવેશને કારણે રેપની ઘટના બને છે. આ માત્ર લોકોની સંકુચિત માનસિકતા દર્શાવે છે.

11
વનઇન્ડિયા : નિર્ભયાની કઇ વાત આપને વધારે યાદ આવે છે?
નિર્ભયાના પિતા : 24 ડિસેમ્બરની રાતે નિર્ભયા હોસ્પિટલના આઇસીયુમાં હતી. હું તેના માટે ક્રિસમસ કેક લાવ્યો હતો. હું આઇસીયુના ગેટ પર રહીને તેને જોઇ રહ્યો હતો. તેણે ઇશારો કરીને મને અંદર બોલાવ્યો, પોતાના તૂટક સ્વરમાં તે બોલી પપ્પા આપ જમ્યા? પપ્પા આપ થાકી ગયા હશો. આપ સૂઇ જાવ. બસ આટલું કહીને તે ઉંઘી ગઇ. એવું ઉંઘી ગઇ કે ફરી ના જાગી. તેની આ વાત હું ચાહીને પણ ભૂલાવી શકું તેમ નથી. 29 ડિસેમ્બરે ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી અને પછી બધું ખતમ થઇ ગયું.












Click it and Unblock the Notifications
