IM એ આપી ચેતાવણી: બોધગયા બાદ હવે મુંબઇનો વારો
આ આતંકી સંગઠને ટ્વિટર પર ધમાકાની જવાબદારી લીધી છે. આઇએમએ બોધગયા બ્લાસ્ટના એક દિવસ પહેલા એટલે 6 જુલાઇના રોજ ટ્વિટ કરીને મુંબઇ પર હુમલાની ધમકી આપી હતી. એનઆઇએ સહિત અન્ય તપાસ એજન્સી આતંકી સંગઠનના ટ્વિટર એકાઉન્ટની સર્ટિફાઇડ માટે તપાસ કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આતંકી સંગઠન ઇન્ડિયન મુઝાહિદ્દીન (આઇએમ)ના નામના ટ્વિટર એકાઉન્ટર પર શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટની જવાબદારી લીધી છે. આટલું જ નહી આ એકાઉન્ટ પર આગામી ટાર્ગેટ મુંબઇને ગણાવ્યું છે. બ્લાસ્ટના 12 કલાક બાદ આઇએમના આધિકારીક ટ્વિટર એકાઉન્ટનો દાવો કરનાર એટ ઇન્ડિયન મુઝાહિદ્દીન દ્વારા કરવામાં આવેલી એક ટ્વિટમાં રવિવારે થયેલા બ્લાસ્ટની જવાબદારી લેતાં કહેવામાં આવ્યું છે કે નવ બ્લાસ્ટ અમે કરાવ્યા હતા. તેમાં બ્લાસ્ટના સ્થળો વિશે કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. બીજી તરફ બ્લાસ્ટના એક દિવસ પહેલાં છ જુલાઇના રોજ કરવામાં આવેલી એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે અમારો આગામી ટાર્ગેટ મુંબઇ છે. રોક સકો તો રોક લો સાત દિવસ બચ્યા છે.
એક સમાચારપત્રના જણાવ્યા અનુસાર એનઆઇએ તથા અન્ય તપાસ એજન્સીઓ આ એકાઉન્ટ વિશે માહિતી મેળવી રહી છે કે આ ટ્વિટ કનેડાથી કરવામાં આવી હોય તેવી જાણકારી છે. સમાચારપત્રએ એનઆઇએના એક વરિષ્ઠ અધિકારીના હવાલેથી કહ્યું હતું કે આતંક ફેલાવવાની દરેક ધમકીની તપાસ કરવામાં આવે છે. જો કે તેમાંથી લગભગ બધી જ બનાવટી કે મજાક નીકળી છે.
આ દરમિયાન પટણા પોલીસે મંગળવારે ચાર લોકોની ધરપકડ કરી છે. આ ચાર લોકોમાં એક યુવતીનો પણ સમાવેશ થાય છે. તેમને મંદિરના સીસીટીવી ફૂટેજના આધારે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ફૂટેજમાં તેમને રવિવારે સવારે શંકાસ્પદ અવસ્થામાં મંદિરમાં પ્રવેશતા જોવામાં આવ્યા હતા.