ઇરાન અને પાકિસ્તાનની ધરા ધ્રુજી ઉઠી, 70થી વધુ લોકોના મોત
નવી દિલ્હી, 17 એપ્રિલ: ઇરાન, પાકિસ્તાન અને આ સમગ્ર વિસ્તારમાં મંગળવારે ભૂકંપના ભારે ઝટકા અનુભવાયા હતા. ઇરાનના સરકારી ચેનલનું કહેવું છે કે દેશમાં લગભગ 40થી વધુ લોકોના મોત નિપજ્યાં છે. તો બીજી તરફ પાકિસ્તાનમાં 34 લોકોના મોત નિપજ્યાં છે. ઇરાનમાં મોતની કોઇ આધિકારીક પુષ્ટી થઇ શકી નથી.
યૂએસ જિયોલોજિકલ સર્વેનું કહેવું છે કે ભૂકંપની તીવ્રતા 7.8 હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ પાકિસ્તાન બોર્ડરથી લગભગ 48 કિમી દૂર સરાવાન વિસ્તારમાં હતું. બીજી તરફ ભારત અને ગુજરાતમાં સાંજે 4.14 મિનિટ વાગે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. કેટલાક કલાકો બાદ અસમ, અરૂણાચલ પ્રદેશ અને ઓરિસ્સામાં બે સામાન્ય ઝટકા અનુભવાયા હતા. ભૂકંપથી ભારતમાં હજુસુધી જાનહાનિને નુકસાન થયું નથી.
ઇરાનમાં મંગળવારે આવેલા જબરજસ્ત ભૂકંપમાં 40 લોકોના મોત નિપજ્યાં છે. ઇરાનમાં એક અઠવાડિયા પહેલાં બુશહર પ્રાંતમાં આવેલા ભૂકંપમાં 32 લોકોના મોત નિપજ્યં હતા અને લગભગ 850 લોકોને ઇજા પહોંચી હતું. બુશહર પ્રાંતમાં જ ઇરાનનું પરમાણું ઉર્જા સંયંત્ર છે. રિક્ટર સ્કેલ પ્રમાણે આ ભૂકંપની તીવ્રતા 7.5 માપવામાં આવી છે ઇરાનના દક્ષિણી-પૂર્વી પ્રાંત સિસ્તાન અને બલૂચિસ્તાન પ્રાંતમાં પણ ભૂકંપ ઝટકા અનુભવાયા હતા. અમેરિકાના ભૌગૌલિક સર્વેક્ષણે આ ભૂકંપની તિવ્રતા 7.8 બતાવી છે. કહેવામાં આવે છે કે 40 વર્ષો દરમિયાન ઇરાનમાં આટલો શક્તિશાળી ભૂકંપ આવ્યો નથી. ઇરાની અધિકારીઓએ આ વિસ્તારમાં ઇમરજન્સીની જાહેરાત કરી દિધી છે.
બીજી તરફ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ભૂકંપના કારણે બિલ્ડિંગો ઢળી પડતાં લગભગ 34 લોકોના મોત નિપજ્યાં છે. સરકારી સેવા રેડિયો પાકિસ્તાને સમાચાર આપ્યાં છે કે બલૂચિસ્તાનના ખારાન અને પજગૂરમાં લોકોના મોત નિપજ્યાં હોવાના અહેવાલ છે. મૃતકોમાં આઠ બાળજો અને બે મહિલાનો સમાવેશ થાય છે. પાકિસ્તાનના ખારાન અને પંજગૂર જિલ્લામાં ભૂકંપની સૌથી વધુ અસર જોવા મળી છે. આ વિસ્તારમાં મકાનો ઢળી પડ્યાં છે. પંજગૂરમાં અર્ધસૈનિક બળ ફ્રાંટિયર કોર્પના બેરક પણ ધ્વસ્ત થઇ ગયા છે.
કરાંચી હૈદ્રાબાદ અને ક્વેટા સહિત પાકિસ્તાનના કેટલાક ભાગોમાં 7.9ની તિવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. કરાંચીમાં બે બિલ્ડિંગ ઢળી પડતાં ઘણા લોકોને ઇજા પહોંચી છે. પાકિસ્તાની સેનાએ પ્રભાવિત વિસ્તારોમાં બચાવ અને રાહત કાર્ય શરૂ કરી દિધું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ડોક્ટરોની ટીમને સેનાના હેલિકોપ્ટર દ્રારા લઇ જવામાં આવી રહી છે. બલૂચિસ્તાન માટે તંબૂ અને દવાઓ મોકલી દેવામાં આવ્યાં છે.