
દિવાળી બાદ દિલ્હી-નોઇડામાં પ્રદૂષણ જોખમી સ્તરે, 10 ગણી ઝેરી થઇ હવા
દિવાળી બાદ દિલ્હી સહિત નોઇડા-ગુરૂગ્રામમાં એર ક્વોલીટી ઇન્ડેક્ષ અતિ જોખમી (AQI 301-400 વચ્ચે) પહોંચી ગયું છે. મંગળવારની સવારે રાષ્ટ્રીય વયુ ગુણવતા સુચક આંક આપતી સરકારી વેબસાઇટ પર લિસ્ટેડ 40 થી વધુ મોનિટરિંગ સ્ટેશનમાં દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં AQI અતિ જોખમી સ્તરે પહોંચી ગયું છે.
આ સાથે દિલ્હી પ્રદુષણ કંટ્રોલ બોર્ડના રિયલ ટાઇમ ડેટા જણાવે છે કે, દિલ્હીના જહાંગીરપુરીમાં હવા સામાન્યથી 10 ગણી વધુ પ્રદુષિત છે. દિલ્હી-એનસીઆરમાં એર ક્વોલીટી ઇન્ડેક્ષ અતિ ખરાબ સ્તરે પર પહોંચ્યું છે.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, દિવાળીની રાત્રે, દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક સોમવારની રાત્રે 9 કલાકે આનંદ વિહારમાં 377 AQI સાથે "ખૂબ જ નબળી" શ્રેણી પર પહોંચ્યો હતો. દિલ્હીમાં આ વર્ષે પહેલીવાર એવું બન્યું છે કે, એર ક્વોલિટી ઇન્ડેક્સ "ખૂબ જ નબળી" કેટેગરીમાં પહોંચ્યો છે. નોઈડા સેક્ટર-116માં એર ક્વોલિટી ઈન્ડેક્સ પણ 322ના AQIને વટાવી ગયો, જે ખૂબ જ નબળી શ્રેણીમાં આવે છે. ગુરુગ્રામમાં રાત્રે 9 કલાકે AQI 346 હતો.
દિવાળીની રાત્રે ફટાકડા ફોડવાને કારણે દિલ્હી NCRની આ હાલત થઈ છે. સ્વિસ સંસ્થા IQAirના જણાવ્યા અનુસાર, સ્ટબલ સળગાવવા, ફટાકડા ફોડવા અને મધ્યમ પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને કારણે દિલ્હીનો AQI "ખૂબ જ નબળો" બની ગયો છે.
CPCB અનુસાર, 301 અને 400 ની વચ્ચેનો AQI "ખૂબ નબળો" માનવામાં આવે છે. આવી હવાના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી શ્વાસ સંબંધી રોગ થઈ શકે છે. જો એમ હોય તો હવાની ગુણવત્તા "ગંભીર" (401-500) થવાથી માત્ર એક પગલું દૂર છે. હવા ગુણવત્તા સૂચકાંક જ્યારે ગંભીર સ્વસ્થ લોકોને અસર કરે છે અને હાલના રોગોવાળા લોકોને ગંભીર અસર કરે છે.
દિલ્હીનું મહત્તમ તાપમાન 31.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું હતું. લઘુત્તમ તાપમાન 14.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું હતું. દિલ્હીમાં ભેજનું સ્તર 43 ટકાથી 90 ટકાની રેન્જમાં હતું.
રાષ્ટ્રીય રાજધાનીમાં ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યા બાદ દિલ્હી સરકારે આકરી ટીકાનો સામનો કરવો પડ્યો હતો. જેના જવાબમાં મંત્રી ગોપાલ રાયે કહ્યું કે, જેને રાજનીતિ કરવી હોય તે કરી શકે છે. લોકોનો જીવ બચાવવો એ અમારી પ્રાથમિકતા છે.
આ મામલાને લઈને કેટલાક લોકો સુપ્રીમ કોર્ટમાં પણ ગયા હતા અને કોર્ટના નિર્ણય બાદ હવે આ મામલે ચર્ચાનો કોઈ અવકાશ નથી. જ્યારે આપણા વડવાઓ દિવાળી ઉજવતા ત્યારે ફટાકડા ન હતા. કારણ કે, ત્યારે ફટાકડા બનતા ન હતા. લોકોનો જીવ બચાવવો એ દરેક ધર્મની પ્રાથમિકતા છે.