દિલ્હી: ઇંદ્રલોક વિસ્તારમાં ત્રણ માળની બિલ્ડીંગ ધરાશય, 20 લોકો દટાયેલા હોવાની આશંકા
ઘટના ઉત્તરી દિલ્હીના ઇંદ્રલોક વિસ્તારની છે. એક જુની 3 માળની બિલ્ડીંગ આજે સવારે 9 વાગ્યાની આસપાસ ધરાશય થઇ. જ્યારે ઇમારત ઢળી પડી તે સમયે બિલ્ડીંગમાં 20થી વધુ લોકો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. બિલ્ડીંગમાં છ પરિવાર રહેતા હતા. અકસ્માત સમયે કેટલાક પરિવારના લોકો પોતાના કામ પર જતા રહ્યાં હતા. બિલ્ડીંગની બહાર કાઢવામાં આવેલા આઠ લોકોમાં કેટલાક બાળકો અને ઘરડાં લોકોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 20થી વધુ લોકો બિલ્ડીંગમાં ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળ પર હાજર છે.
દિલ્હીના ચીફ ફાયર ઓફિસર એકે શર્માએ જણાવ્યું હતું કે બિલ્ડીંગમાંથી આઠ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. બિલ્ડીંગમાં અત્યારે પણ ત્રણથી ચાર લોકો ફસાયેલા હોવાની આશંકા છે. કર્મચારી બિલ્ડીંગનો કાટમાળ હટાવવામાં લાગ્યા છે. બિલ્ડીંગમાં કોઇ મૃત્યું પામ્યું હોવાની જાણકારી નથી. જો કે કેટલાક ઇજાગ્રસ્ત છે, તેમને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જુની દિલ્હીમાં પણ થોડા દિવસો પહેલાં એક જુની બિલ્ડીંગ ધરાશય થઇ ગઇ હતી. જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા.