વાંસની ખેતી હવે બની સરળ, ખેડૂતો માટે ખુશ ખબર
કચ્છ એ ટિમ્બર ઉદ્યોગનું હબ છે અને ટિમ્બર ઉદ્યોગ માટેનો મુખ્ય કાચો માલ વાંસ છે, જે હવે કચ્છમાં ઉપલબ્ધ છે. કચ્છની શુષ્ક જમીનમાં ખેડૂતો હવે વાંસ ઉગાડી રહ્યા છે, જેને સામાન્ય રીતે લીલા વિસ્તારનું વૃક્ષ માનવામાં આવે છે.
રાજકોટ : કચ્છ એ ટિમ્બર ઉદ્યોગનું હબ છે અને ટિમ્બર ઉદ્યોગ માટેનો મુખ્ય કાચો માલ વાંસ છે, જે હવે કચ્છમાં ઉપલબ્ધ છે. કચ્છની શુષ્ક જમીનમાં ખેડૂતો હવે વાંસ ઉગાડી રહ્યા છે, જેને સામાન્ય રીતે લીલા વિસ્તારનું વૃક્ષ માનવામાં આવે છે.

2017માં ભારતીય વન અધિનિયમના સુધારા હેઠળ વાંસને નિયંત્રણમુક્ત કરવામાં આવ્યા બાદ અને તેને ઘાસ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા બાદ કચ્છના આઠ તાલુકાઓમાં ખેડૂતોએ વાંસની ખેતી શરૂ કરી છે. હવે, વાંસને જંગલ સિવાયના વિસ્તારોમાં ઉગાડવાની મંજૂરી છે અને તેને કોઈ પરવાનગીની જરૂર નથી.
વન વિભાગના જણાવ્યા અનુસાર, કચ્છમાં હાલમાં 28,704 વાંસના છોડ છે અને અંજાર, નખત્રાણા, ભચાઉ, નલિયા, માંડવી, રાપર, દયાપર અને મુન્દ્રા એમ આઠ તાલુકાઓમાં 70 હેક્ટરમાં વાંસની ખેતી થાય છે. વાંસનો 2,500 રીતે ઉપયોગ થઇ શકે છે, પરંતુ તેનો મુખ્ય ઉપયોગ ફર્નિચર, બાંધકામ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ અને લાકડા ઉદ્યોગમાં થાય છે. બાયોફ્યુઅલ અને ગ્રીન કોલસો પણ વાંસમાંથી બનાવવામાં આવે છે.
નર્સરી વિકસાવી રહેલા અને કચ્છમાં ખેડૂતોને વાંસ ઉગાડવામાં મદદ કરી રહેલા વિશાલ ગડાએ જણાવ્યું હતું કે, છોડ, સિંચાઈ અને મજૂરી પાછળ એક વખતનો ખર્ચ રૂપિયા 50,000 થી રૂપિયા 75,000 પ્રતિ એકર છે. એક ખેડૂત પાંચમા વર્ષથી એકર દીઠ 1 લાખ રૂપિયાની કમાણી શરૂ કરી શકે છે.
વિશાલ ગડા જણાવે છે કે, જો કોઈ ખેડૂત ઉચ્ચ ઘનતાની ખેતી માટે જાય છે, એટલે કે બે વૃક્ષો વચ્ચે 4 મીટરનું અંતર છે, તો તે હળદર, આદુ અને કોઈપણ પાક પણ ઉગાડી શકે છે, જેને વધુ સૂર્યપ્રકાશની જરૂર ન હોય. આ રીતે, વાંસમાંથી કમાણી શરૂ ન થાય ત્યાં સુધી ખેડૂત આ પાકમાંથી કમાણી કરી શકે છે.
અબડાસા તાલુકાના ખારવા ગામના ખેડૂત લક્ષ્મીચંદ કારાણીએ 20 એકરમાં વાંસ ઉગાડ્યો છે. તેઓ જણાવે છે કે, આ ઝાડના ઘણા ઉપયોગો છે અને ખેડૂતો 5મા વર્ષ પછી દર વર્ષે સારી આવક મેળવી શકે છે. વાંસનું ઝાડ લગભગ 20 વર્ષ સુધી ચાલે છે અને મેં સફળતાપૂર્વક વાંસની ખેતી કરી છે.
સમગ્ર ગુજરાતના ખેડૂતોને વાંસની ખેતી માટે માર્ગદર્શન નવસારી કૃષિ યુનિવર્સિટીના બામ્બુ રિસોર્સ સેન્ટરના પ્રોજેક્ટ ઇન્વેસ્ટિગેટર જયેશ પાઠક તરફથી મળે છે.
જયેશ પાઠક જણાવે છે કે, જાડી દિવાલવાળા વાંસની પ્રજાતિઓ ગુજરાતની તમામ આબોહવાઓમાં ઉગાડવામાં આવે છે, તે પછી કચ્છ હોય કે જૂનાગઢ અથવા દક્ષિણ ગુજરાત. કચ્છમાં ખેડૂતો સફળતાપૂર્વક વાંસ ઉગાડી રહ્યા છે અને અમારા સંશોધન મુજબ, જાડી દિવાલવાળા વાંસની વિવિધ પ્રજાતિઓના 90 ટકા વૃક્ષો 2,000 TDS સુધી ભૂગર્ભ જળ સ્તરને સહન કરી શકે છે. જોકે, ખારા ભૂગર્ભજળને પાતળું કરવા માટે ચોમાસામાં સરેરાશ વરસાદ જરૂરી છે.
વન વિભાગના જણાવ્યા અનુસાર, કચ્છમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં હવામાનમાં ફેરફારને કારણે સારો વરસાદ થયો છે અને તેના કારણે વાંસના વૃક્ષો સફળતાપૂર્વક ઉગાડવામાં મદદ મળી છે.












Click it and Unblock the Notifications
