ફ્લાઇટમાં નોન વેજ ફુડ પર પ્રતિબંધની માગ
થોડાં વર્ષ પહેલાં ભારતમાંથી પશુધનની નિકાસનો મુદ્દો ઉઠાવ્યા બાદ હવે ગુજરાત એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્યોએ સ્થાનિક ફ્લાઈટ્સમાં માંસાહારી ખોરાક પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે.
રાજકોટ : થોડાં વર્ષ પહેલાં ભારતમાંથી પશુધનની નિકાસનો મુદ્દો ઉઠાવ્યા બાદ હવે ગુજરાત એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્યોએ સ્થાનિક ફ્લાઈટ્સમાં માંસાહારી ખોરાક પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. બોર્ડના સભ્યો અને જૈન સમુદાયના કેટલાક નેતાઓએ નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને પત્ર લખીને તમામ એરલાઈન્સને નોન વેજ ફૂડ પીરસવાનું બંધ કરવા સૂચના આપી છે.
રાજેન્દ્ર શાહ, બોર્ડના સભ્ય, જેમણે ભારતમાંથી પશુધનની નિકાસનો મુદ્દો ઉઠાવ્યો હતો, તેcણે 30 માર્ચના રોજ સિંધિયાને એક પત્ર લખ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે, આ વિનંતી શાકાહારી મુસાફરો વતી કરવામાં આવી રહી છે, જેમની લાગણી એરલાઇન દ્વારા ફ્લાઇટમાં માંસાહારી ખોરાક આપવાને કારણે ખૂબ નારાજ છે. ચુસ્ત શાકાહારી મુસાફરો જ્યારે વેજ ફૂડને બદલે નોન વેજ ફૂડ પીરસવામાં આવે છે, ત્યારે તેઓ વધુ વ્યથિત અને નારાજ થાય છે.
ટોક્યો-દિલ્હી ફ્લાઇટમાં ભૂલથી શુદ્ધ શાકાહારી મુસાફરોને નોન-વેજ ફૂડ પીરસવામાં આવ્યું, ત્યારે આ પત્ર એક કથિત ઘટનાને કારણે ઉભો થયો હતો. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા રાજેન્દ્ર શાહે જણાવ્યું હતું કે, મારી આ પ્રવાસી સાથે વાત થઈ, જે કાંદા, લસણ અને બટેકા પણ ખાતા નથી. તેના માતા-પિતા પણ ભયંકર રીતે નારાજ હતા, તેથી મેં સરકારને નોન-વેજ ફૂડ પીરસવાનું બંધ કરવા માટે જણાવ્યું હતું.
ભારતના પ્રાણી કલ્યાણ બોર્ડના અન્ય સભ્ય મિત્તલ ખેતાણીએ જણાવ્યું હતું કે, આ શાકાહારી અને માંસાહારી ખોરાકનો મુદ્દો નથી પણ સ્વચ્છતાનો પણ છે. માંસાહારી ખોરાકની ગુણવત્તા હંમેશા શંકાસ્પદ રહે છે. ફ્લાઇટ્સમાં ઘણા લોકોને લાગે છે કે, માંસાહારી ખોરાક પચવામાં મુશ્કેલ છે, તેથી તે વધુ સારું છે કે, માત્ર શાકાહારી ખોરાક જ પીરસવામાં આવે.
રાજકોટના વર્ધમાન નગર જૈન દેરાસરના ટ્રસ્ટી પ્રકાશ શાહે જણાવ્યું હતું કે, અમે અમુક શાકભાજી ખાતા નથી કારણ કે, તેમાં જંતુઓ હોય છે, તેથી જ્યારે કોઈ વ્યક્તિ આપણી બાજુમાં બેસીને નોન-વેજ ફૂડ ખાય તે આપણને વ્યથિત કરે છે, તેની કોઈ કલ્પના પણ કરી શકતું નથી. અમે ઈચ્છીએ છીએ કે સરકાર ફ્લાઈટ્સ પર નો નોન-વેજ ફૂડ પોલિસી લાગુ કરે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા રાજકોટ, અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં નોન વેજ ફુડની લારી પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. લોકો શું ખાશે તે નક્કી કરવાનો અન્ય લોકોને છે ખરો?