રાજ્યમાં ડુંગળીનો બમ્પર પાકની આવકની અપેક્ષા
આ વર્ષે માર્ચ સુધીમાં રાજ્યના બજારોમાં નવી ડુંગળીનો બમ્પર પાક આવવાની ધારણા છે. કૃષિના આંકડાઓ પર નજર કરીએ તો, આ વર્ષે સરેરાશ કરતાં 200 ટકા વધુ અને ગત વર્ષ કરતાં 146 ટકા વધુ વાવેતર થયું છે.
રાજકોટ : આ વર્ષે માર્ચ સુધીમાં રાજ્યના બજારોમાં નવી ડુંગળીનો બમ્પર પાક આવવાની ધારણા છે. કૃષિના આંકડાઓ પર નજર કરીએ તો, આ વર્ષે સરેરાશ કરતાં 200 ટકા વધુ અને ગત વર્ષ કરતાં 146 ટકા વધુ વાવેતર થયું છે. આનો અર્થ એ થયો કે આ વર્ષે ગ્રાહકો, ખાસ કરીને ઉનાળામાં લગ્નની મોસમમાં, જથ્થાબંધ ડુંગળી ખરીદતી વખતે આંસુ સારવા પડશે નહીં.
ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર એ બે મુખ્ય જિલ્લાઓ છે, જે ડુંગળીની ખેતી મોટા પ્રમાણમાં કરે છે. અહીંના ખેડૂતો 40 ટકા સફેદ ડુંગળી અને 60 ટકા લાલ અને પીળી ડુંગળીની ખેતી કરે છે, જે ઘરો અને રેસ્ટોરાંમાં ખવાય છે. ડીહાઈડ્રેશન બાદ સફેદ જાતની નિકાસ કરવામાં આવે છે.
કૃષિ નિયામકના ડેટા અનુસાર, આ રવિ સિઝનમાં 88,361-હેક્ટર વિસ્તારમાં ડુંગળીનું વાવેતર થયું છે, જે 43,846 હેક્ટરની સરેરાશ વાવણી કરતાં 201.53 ટકા વધુ છે. ગયા વર્ષે 60,547 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થયું હતું.
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના એક ખેડૂત જણાવ્યું હતું કે, ગત વર્ષે સારા વરસાદને કારણે આ વર્ષે ખેડૂતો પાસે પૂરતો પાણીનો સંગ્રહ છે. ઉનાળા દરમિયાન ભૂગર્ભજળ બિનઉપયોગી રહ્યું છે. કારણ કે, ચક્રવાતને કારણે વીજળી ન હતી અને તેથી, આ વખતે અમારી પાસે ભૂગર્ભજળ પણ સારું છે. આથી ખેડૂતોએ આ વર્ષે ડુંગળીની ખેતી કરી છે.
ડુંગળીના વેપાર માટે રાજ્યની સૌથી મોટી મંડીઓ એવા મહુવા અને ભાવનગર માર્કેટ યાર્ડમાં નવા પાકની આવક શરૂ થઈ ગઈ છે. વેપારીઓના જણાવ્યા મુજબ, 50 કિલો લાલ ડુંગળીની લગભગ 50,000 થી 60,000 થેલીઓ અને સફેદ ડુંગળીની 25,000 થેલીઓ પહેલેથી જ બજારમાં આવી ચૂકી છે.
મહુવા એપીએમસીના ચેરમેન ઘનશ્યામ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલમાં 20 કિલો ડુંગળીનો બજાર ભાવ 400 થી 500 રૂપિયાની આસપાસ છે, જે માર્ચ અને એપ્રિલમાં ઘટીને 200 રૂપિયા પર આવી જશે, જ્યારે સંપૂર્ણ પાક બજારમાં આવવા લાગશે. ગયા વર્ષે ડુંગળીના સારા ભાવ મળ્યા બાદ આ વર્ષે પણ ઘણા ખેડૂતો ડુંગળી તરફ વળ્યા છે.
જો કે, અમરેલી, ભાવનગર અને રાજકોટ જિલ્લાના કેટલાક ભાગોમાંથી લણવામાં આવતી લાલ ડુંગળી તેના મસાલેદાર સ્વાદને કારણે ગુજરાતમાં ખાવામાં આવતી નથી. ઉત્તર ભારતમાં આની સારી માગ છે, ખાસ કરીને દિલ્હી, પંજાબ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં લણવામાં આવતી ડુંગળીનો ગુજરાતમાં મોટા પ્રમાણમાં વપરાશ થાય છે.