14 થી 35 વર્ષ લોકો માટે ‘ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા - રાજ્યકક્ષા' યોજાશે, જાણો સ્પર્ધાની સંપૂર્ણ વિગતો
રાજ્યના 14 થી 35 વર્ષની વયમર્યાદાવાળા વિદ્યાર્થી, બિન વિદ્યાર્થી યુવક / યુવતિઓને ‘‘આરોહણ અવરોહણ સ્પર્ધા'' માં જોડાવાની ઉમદા તક આપી પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર દ્વારા ‘‘ગુજરાત આરોહણ-અવરોહણ સ્પર્ધા'' યોજવાનું આયોજન છે.
જૂનાગઢ : રાજ્યના 14 થી 35 વર્ષની વયમર્યાદાવાળા વિદ્યાર્થી, બિન વિદ્યાર્થી યુવક / યુવતિઓને ''આરોહણ અવરોહણ સ્પર્ધા'' માં જોડાવાની ઉમદા તક આપી પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર દ્વારા ''ગુજરાત આરોહણ-અવરોહણ સ્પર્ધા'' યોજવાનું નકકી કરવામાં આવ્યું છે.
જે અનુસાર રાજ્ય સરકારના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા રાજ્ય સરકારના ખર્ચે 1 (એક) દિવસની ''ગુજરાત આરોહણ-અવરોહણ સ્પર્ધા'' જાન્યુઆરી-2021માં ગીરનાર-જૂનાગઢ ખાતે યોજવામાં આવશે.
માત્ર એવા યુવક-યુવતીઓ કે જેઓ 31/12/2021ના રોજ 14 થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા હોય તેવા અને આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા હોય તેવા લોકોએ પોતાના જિલ્લાના જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ખાતેથી અરજી ફોર્મ મેળવી સંપૂર્ણ વિગતો ભરીને આધાર-પૂરાવા સાથે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જૂનાગઢને તારીખ 21/12/2021 સુધીમાં મોકલી આપવાનું રહેશે.
ગુજરાતના ઇડર, પાવાગઢ, ચોટીલા તથા ઓસમ ખાતે આયોજીત સ્પર્ધામાં ભાગ લીધેલા વિજેતા સ્પર્ધકોએ ગીરનાર આરોહણ- અવરોહણ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે નહી. આ સ્પર્ધામાં એક થી દસ ક્રમે પસંદગી પામેલા સ્પર્ધકોને સીધે સીધા રાષ્ટ્રીય કક્ષાના ''ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં'' મોકલવામાં આવશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે જે તે સ્થળ ખાતે સ્વ ખર્ચે આવવા જવાનું રહેશે તથા સ્પર્ધા દરમ્યાન નિવાસ, ભોજન, તેમજ ભાગ લેવા બદલ પ્રમાણપત્ર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. આ સ્પર્ધામાં પસંદગી પામનાર યુવક-યુવતીઓને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા પત્ર / મોબાઇલ / ઇ-મેઇલ દ્વારા જાણ કરવામાં આવશે. કોઇપણ બાબતની પૂછપરછ માટે જિલ્લાના જિલ્લા યુવા વિકાસ અધિકારી, જૂનાગઢનો સંપર્ક કરવાનો રહેશે.