આજે CM કરશે સૌની યોજના લિંક-4ના 181 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે
SAUNI Yojana Link-4: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 16 ફેબ્રુઆરીએ રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતેથી સૌરાષ્ટ્ર અવતરણ ઇરીગેશન (સૌની) યોજનાના લિંક-4ના પેકેજ-9ના રૂપિયા 181 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમમાંથી ચોમાસા દરમિયાન ઓવરફ્લો થઈને નદીમાં નિરર્થક વહી જતા વધારાના નીરને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પહોંચાડવા રાજ્યના મુખ્યમંત્રી તરીકે આ બહુહેતુક સૌની યોજના શરૂ કરાવેલી છે.

આ યોજના અન્વયે 4 લિંક પાઇપલાઇન મારફતે સૌરાષ્ટ્રના 115 જળાશયોમાં નર્મદા જળના સંગ્રહનું આયોજન છે. તદઅનુસાર લિંક-4 દ્વારા પાછલા 4 વર્ષમાં રાજકોટ જિલ્લાના જસદણ, વિંછીયા, ગોંડલ અને કોટડાસાંગાણી એમ 4 તાલુકાના 37 ગામોના 155 ચેકડેમ, 14 તળાવ અને 7 જળાશયમાં કુલ મળીને 4435 મિલિયન ક્યુબિક ફીટ (MCFT) પાણીનો જથ્થો ફાળવવામાં આવેલો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી સાકાર થયેલી સૌની યોજનામાં તબક્કાવાર 1313 કિલોમીટરની પાઈપલાઈન નાંખવામાં આવી છે અને અંદાજે 77430 એમસીએફટી પાણી 85 જળાશયો, 170 ગામ તળાવો તથા 1319 ચેકડેમોમાં પૂરું પાડવામાં આવ્યું છે. આના પરિણામે સૌરાષ્ટ્ર વિસ્તારના 11 જિલ્લાઓમાં સાડા છ લાખ એકર વિસ્તારમાં સિંચાઈની સુવિધામાં સુધારો થયો છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેનું ખાતમુહૂર્ત કરવાના છે, તે લિંક-4ના પેકેજ-9 દ્વારા અંદાજે 73 કિલોમીટર લંબાઇના પાઇપલાઇન નેટવર્કથી 12 તળાવને જોડવામાં આવશે. એટલું જ નહીં, 13 જેટલા ગામોની 45 હજારથી વધુ જનસંખ્યાને પીવાનું પાણી અને 5676 એકર વિસ્તારને સિંચાઈનું પાણી આ યોજના સંપન્ન થવાથી મળતું થવાનું છે.
રાજ્ય સરકારના જળસંપત્તિ વિભાગ અને રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શુક્રવારે સવારે 10 કલાકે વિંછીયા એપીએમસી નજીક યોજનારા આ વિકાસ ઉત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 139 કરોડના ખર્ચે સાકાર થનારી બે જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાના ખાતમુહૂર્ત તેમજ રૂપિયા 9 કરોડના ખર્ચે નવનિર્મિત આઈટીઆઈ, રૂપિયા 2.11 કરોડના નવા બસ મથકની વિકાસ ભેટ પણ આપશે.
રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ સર્વ કુંવરજીભાઈ બાવળીયા, બલવંતસિંહ રાજપૂત, ભાનુબહેન બાબરીયા તથા રાજ્યમંત્રીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમમાં 214 દિવ્યાંગજનોને રૂપિયા 28.94 લાખના સીએસઆર ફંડથી 372 જેટલા સાધન સહાય અપાશે. આ ઉપરાંત વિચરતી જાતિના 133 જેટલા લાભાર્થીઓને આવાસ માટે પ્લોટની સનદનું વિતરણ પણ થવાનું છે.












Click it and Unblock the Notifications
