Rajkot Fire Update : રાજકોટ અગ્નિકાંડ મામલે 4 અધિકારીની ધરપકડ, SITએ કરી પૂર્વ ફાયર ઓફિસરની પૂછપરછ
Rajkot Fire Update : રાજકોટ પોલીસ દ્વારા ટીઆરપી ગેમિંગ ઝોનમાં ગત સપ્તાહ લાગેલી ભિષણ આગ મામલે એક ટાઉન પ્લાનિંગ ઓફિસર સહિત ચાર સરકારી અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા હતા.
મૃતકોમાં મોટી સંખ્યામાં બાળકો પણ સામેલ હતા. રાજકોટ અગ્નિકાંડ અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે, ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયા, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર મુકેશ મકવાણા, ગૌતમ જોશી અને કાલાવડ રોડ ફાયર સ્ટેશનના પૂર્વ સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ કરવામાં આવી છે.
રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયે ચાર સરકારી અધિકારીઓની ધરપકડની પુષ્ટિ કરી છે. જોશી અને વિગોરાને સરકારે પહેલા જ સસ્પેન્ડ કરી દીધા હતા.
આ કેસમાં અત્યાર સુધીમાં લગભગ નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આગની ઘટના બાદ તત્કાલિન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિત ત્રણ આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આગની આ ઘટનાની તપાસ માટે રચાયેલા SITના વડા અને વરિષ્ઠ IPS અધિકારી સુભાષ ત્રિવેદીએ ગાંધીનગરમાં રાજ્ય પોલીસ હેડક્વાર્ટરમાં પૂર્વ ફાયર ઓફિસર આઈવી ખેરની લગભગ ત્રણ કલાક પૂછપરછ કરી હતી.

સોમવારના રોજ ગુજરાત હાઈકોર્ટે આ મામલે રાજકોટ મહાનગરપાલિકાને આકરી ઝાટકણી કાઢી હતી અને જણાવ્યું હતું કે, નિર્દોષ લોકોના જીવ ગુમાવ્યા બાદ જ પગલાં લેતી રાજ્યની તંત્ર પર તેને વિશ્વાસ નથી.
ગુજરાત હાઈકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનને પૂછ્યું હતું કે, શું તેણે તેની આસપાસ આટલા વિશાળ બાંધકામ તરફ આંખ આડા કાન કર્યા છે. રાજકોટ અગ્નિકાંડની આ ઘટનામાં ચાર ભાગીદારો અને TRP ગેમિંગ ઝોનના મેનેજરની ધરપકડ કરવામાં આવી છે.
જ્યારે ઘટના સમયે ગેમિંગ ઝોનમાં મુખ્ય ભાગીદાર હાજર હતો. આગ લાગવાથી તેનું મોત થયું છે. આ અગાઉ રાજકોટ પોલીસે તેને આરોપી પણ બનાવ્યો હતો, પરંતુ ડીએનએ ટેસ્ટે તેના મૃત્યુની પુષ્ટિ કરી છે.
રાજકોટમાં જે ગેમિંગ ઝોન બળીને રાખ થઈ ગયો હતો, તેમાં ઘણી ખામીઓ હતી. આ આગની ઘટનાની તપાસ કરી રહેલી SITએ આવી ઘણી ખામીઓ શોધી કાઢી છે. આ મામલે પોલીસ, ફાયર વિભાગ અને પાલિકાની બેદરકારી સામે આવી છે.
એસઆઈટીએ જણાવ્યું છે કે, ગેમિંગ ઝોનના પહેલા માળ સુધી માત્ર ચારથી પાંચ ફૂટ પહોળી સીડી બનાવવામાં આવી હતી. એટલું જ નહીં, પોલીસ ઈન્સ્પેક્ટર એન. આઈ. રાઠોડ અને વી. આર. પટેલ દ્વારા લાઇસન્સ આપવામાં ઘોર બેદરકારી દાખવવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને અધિકારીઓ આગના NOCની ચકાસણી કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ગેમિંગ ઝોનના હંગામી માળખા માટે મહાનગરપાલિકાની મંજૂરી લેવામાં આવી ન હતી.












Click it and Unblock the Notifications
