નવરાત્રિ દરમિયાન 8 લોકોની હત્યા, સુરતમાં પાર્કિંગ મુદ્દે બે સગા ભાઈઓને ઉતાર્યા મોતને ઘાટ
સુરતમાં નવરાત્રિ દરમિયાન હત્યાની 8 ઘટનાઓ સામે આવી ચૂકી છે. નવરાત્રિની આઠમની રાતે સુરતમાં બે સગા ભાઈઓની પાર્કિંગ મુદ્દે થયેલા ઝઘડામાં હત્યા કરી દેવામાં આવી.
અમરોલીના બે સગા ભાઈએ ગરબા રમતા હતા એ દરમિયાન અમુક લોકોએ આવી ગાડી હટાવવાનુ કહેતા બબાલ થઈ હતી. બાદમાં 3 લોકોએ બંને સગા ભાઈઓને છરીના ઘા મારતા ચકચાર મચી ગઈ હતી.

ઘટનાની વિગત મુજબ કોસાડ આવાસના એચ-5ની 348 બિલ્ડિંગ નીચે નવરાત્રિનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. રવિવારની રાતે લગભગ સાડા બાર વાગે પાર્કિંગ મુદ્દે બે સગા ભાઈઓ રાહુલ પિપળે અને પ્રવીણ પિપણેનો અહીં રહેતા યુવકો સાથે ઝઘડો થયો. ઝઘડા પછી યુવક ઘટના સ્થળેથી જતા રહ્યા અને પાંચ મિનિટ પછી પાછા આવીને રાહુલ અને પ્રવીણ સાથે ઝઘડવા લાગ્યા. બબાલ એટલી હદે વધી ગઈ કે આખરે હત્યામાં પરિણમી.
બંને સગા ભાઈઓ મૂળ મહારાષ્ટ્રના બુલદાનાના વતની છે અને વર્ષોથી સુરતમાં અમરોલી વિસ્તારના આવાસમાં રહે છે. મોટા ભાઈ 28 વર્ષીય રાહુલને બચાવવા જતાં નાના ભાઈ પ્રવીણની હત્યા કરી દેવામાં આવી. હુમલાખોરો બંને સગા ભાઈઓ પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા. મૃતકના પરિવારે આરોપીને કડકમાં કડક સજાની માંગ કરી છે.
ગાડી સાઈડમાં હટાવવા જેવી સામાન્ય બાબતે સગા ભાઈઓની હત્યા થતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. આખા વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. બનાવને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી ત્રણ વ્યક્તિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
