સવાણી પરિવારે પિતાવિહોણી 75 દિકરીઓના સમૂહ લગ્ન કરાવ્યાં, સીઆર પાટિલે આપી હાજરી
સુરતના પી.પી.સવાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે 'માવતર' નામથી પિતાની છત્રછાયા ગુમાવેલી ૭૫ દીકરીઓના અનોખો અને લાગણીભીનો લગ્ન સમારોહ માવતર યોજાયો હતો.

મંત્રીઓ, મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત આ સમૂહ લગ્ન સમારોહની શીતળ સાંજે ઢોલ ઢબુક્યા અને સંગીતના સુરાવલિઓ સાથે પ્રાચીન લગ્ન ગીતોનો સૂરીલો સંગમ સર્જાયો હતો. સવાણી પરિવારના આંગણેથી પિતાવિહોણી ૭૫ દીકરીઓની લાગણીસભર વિદાય અપાઈ હતી. રાજકીય મહાનુભાવો, અધિકારીઓ અને સમાજ અગ્રણીઓના હસ્તે કન્યાદાન કરાયું હતું.
છેલ્લા ૧૨ વર્ષથી દીકરીના લગ્ન કરીને નહીં, પણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણી આ વર્ષે ૪૯૯૨ દીકરીના પિતા બની ગયા છે. છેલ્લા એક દાયકાથી અવિરત પ્રજ્વલિત થયેલા પી.પી.સવાણીના સેવાયજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે અને બીજી અનેક સંસ્થા અને વ્યક્તિઓએ લગ્ન સમારોહ સમગ્ર ગુજરાત અને બીજા રાજ્યમાં પણ યોજાઈ રહ્યા છે.

આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સુરતની સમુહલગ્નની પરંપરા સૌરાષ્ટ્ર સુધી પહોંચી છે. પિતાવિહોણી દીકરીઓના લગ્નના આ વિશિષ્ટ કાર્યમાં અનોખી સંવેદનશીલતાની પ્રતિતી થાય છે. દેશમાં જૂજ ઉદ્યોગકારો, સામાજિક આગેવાનો આવી ઉદ્દાત ભાવના સાથે તેમજ નિઃસ્વાર્થભાવે લગ્નોત્સવ યોજે છે. લગ્ન બાદ પણ મહેશભાઈને દીકરીઓની ચિંતા કરીને સામાજિક જવાબદારી નિભાવવાનું કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
પાટીલે ઉમેર્યું કે, સવાણી પરિવારને આંગણે આ અતિ વિશિષ્ટ સમૂહલગ્નનું આયોજન છે. સગો પિતા ન કરે દીકરીઓની એટલી ચિંતા મહેશભાઈ અને સવાણી પરિવાર કરે છે. પિતા વિનાની પુત્રીઓના પિતા એટલે મહેશભાઈ એવી ઓળખ બની ગઈ છે.
મેયર દક્ષેશભાઈ માવાણીએ હતું કે, સવાણી પરિવારે પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરવાની ઉમદા અભિગમે અનેક ઉદ્યોગકારો, સમાજ શ્રેષ્ઠીઓને પ્રેરણા પૂરી પાડી છે. હું પોતે એક સ્વયંસેવક તરીકે આ પરિવારના આયોજનના પ્રથમ દિવસથી જોડાયેલા છે. આ તમામ દીકરીઓ પ્રત્યેની આજીવન જવાબદારી નિભાવનાર મહેશભાઈ સવાયા પિતા બની રહ્યા છે.
આ પ્રસંગે પી.પી. સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, બે દીકરીઓથી શરૂ કરેલો લગ્નોત્સવ આજે ૧૨મો લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે. ૨૨ દીકરીઓ સિવાયની તમામ દીકરીઓને માતા-પિતા કે ભાઈ પણ નથી. જેથી આ સમારોહને માવતર નામ આપ્યું છે. આ સમુહ લગ્ન સમારોહના માધ્યમથી પિતા તરીકેની જવાબદારી વહન કરવાનું કાર્ય કર્યું છે. દીકરીઓને શિખામણ આપતા કહ્યું કે, સૌને સાથે રાખીને પરિવારને એક તાંતણે બાંધી રાખજે. સૌને સાથે રાખી એક અને નેક બની પરિવારની તમામ જવાબદારીઓ અને દામ્પત્યજીવનને ઉજાળજે.
હજારો દીકરીઓના પાલક પિતા મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, આ વર્ષે ૭૫ પૈકી ૩૫ દીકરી એવી છે જે અનાથ છે, જેના માતા-પિતા કે ભાઈ પણ નથી. ૨૫ એવી દીકરી છે જેની મોટી બહેન આ પહેલા અમારા જ લગ્ન મંડપમાં પરણી ચૂકી છે. બે દીકરી તો મૂકબધિર છે. એક નેપાળ અને એક ઓડિશા અને બે દીકરી ઉત્તરપ્રદેશથી દામ્પત્યજીવનની શુભ શરૂઆત કરવા સુરત આવી છે.
પી.પી.સવાણી પરિવાર પિતાની છત્રછાયા ગુમાવનાર હજારો બાળકોના શિક્ષણ, આરોગ્ય અને લગ્નની સંપૂર્ણ જવાબદારી નિભાવે છે. મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, અમે માત્ર કન્યાદાન કરી ને કે કરિયાવર આપતા નથી, પણ પિતાની જવાબદારી હું નિભાવું છું. જેમાં માત્ર લગ્ન જ નહીં પણ એના પરિવારની પણ તમામ જવાબદારી હોય છે.
આ વેળાએ દેશના પ્રખ્યાત થ્રી ડી આર્ટિસ્ટ હસમુખ માણિયાએ સવાણી પરિવારના મોભી વલ્લભભાઈ સવાણીનું આબેહૂબ થ્રીડી પેઈન્ટીંગ બનાવ્યું હતું. આ ચિત્રની ભેટ વલ્લભભાઈને આપવામાં આવી હતી.
આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, મેયર દક્ષેશભાઈ માવાણી, ધારાસભ્ય સર્વ સંગીતાબેન પાટીલ અને પ્રવીણભાઈ ઘોઘારી, એન્ટી ટેરીરિસ્ટ ફ્રન્ટના એમ.એસ.બિટ્ટા, પ્રયોશા પ્રતિષ્ઠાન- ડાંગના પી.પી.સ્વામી, સવાણી પરિવારના મોભી વલ્લભભાઈ સવાણી, સહિત અનેક મહાનુભાવો, સાજન માજન ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
