32 કરોડના ખર્ચે નિર્મિત આશીર્વાદ માનવ મંદિરનું લોકાર્પણ કરાયું
કામરેજના ધોરણપારડી ખાતે માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટ તથા શહેરના શ્રેષ્ઠી, સમાજસેવકો અને દાતાઓના સહયોગથી રૂપિયા 32 કરોડના ખર્ચે નવનિર્મિત આશીર્વાદ માનવમંદિરનું લોકાર્પણ કેન્દ્રીય મત્સ્યોધોગ અને પશુપાલન મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, સુરતની ભૂમિ કર્ણની ભૂમિ અને ભામાશાની ભૂમિ તરીકે જગવિખ્યાત છે. સેવાના પ્રકલ્પોને જનસેવા માટે અર્પવાની અજબની તાકાત સુરતની ધરતીમાં છે. ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં ઘર-ઘર સદાવ્રત સમાન છે.
અહીં અતિથીઓને ભગવાનની ઉપમા અપાય છે. એટલે જ ગુજરાતની ધરતીની સુવાસ કંઈક અલગ છે. સમગ્ર દેશમાં દાનવીર ભૂમિ તરીકે ઓળખાતી આ સુરતની ધરતી છે. જ્યાં દાનની વાત આવે તો હંમેશા અગ્રેસર હોય છે. રક્તદાન, નેત્રદાન અને હવે અંગદાનમાં સુરત મોખરે રહ્યું છે.

વધુમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, સેવાજ્ઞની આહુતિથી સુરત ભૂમિ પાવન બની છે. સૌરાષ્ટ્ર જેવા ગુણીયલ પ્રદેશની સેવા પરાયણતા પરત્વે જીવન જીવી ત્યા્ગ અને ધર્મનો સુમેળ સાધી ગુર્જરધરાની અસ્મિતાને ધર્મ ધ્વજાની ફોરમને સતદેવીદાસ અને અમરમાંએ પરગણામાં વહેતી કરી હતી. તેવી જ રીતે સુરતમાં માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આશીર્વાદ માનવમંદિરમાં સેવાની જ્યોતિ પ્રજ્વલિત થઈ છે જે કાયમ અંખડ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
નોંધનીય છે કે, માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 20 વર્ષમાં 2350થી વધુ પ્રભુજીઓને સ્વસ્થ કરીને પરિવાર સાથે મિલન કરાવ્યું છે. હાલ કામરેજ ખાતે નિવનિર્મિત આર્શીવાદ માનવમંદિરમાં કુલ 585 મનોદિવ્યાંગ આશ્રય લઈ રહ્યા છે
આ પ્રસંગે પૂર્વ શિક્ષણમંત્રી નાનુભાઈ વાનાણી, પ્રવીણભાઈ ખેની, મનહરભાઈ કાકડીયા, મનહરભાઈ સાસપરા, સેવક જેરામભાઈ, શ્રીશ્રી 108 તપોનિષ્ઠ શ્રી મહંત સંપૂર્ણાનન્દ બ્રમ્હચારી, વિવિધ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સમાજ શ્રેષ્ઠીઓ સહિત રાજસ્વી અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ તેમજ શહેરીજનોને ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
